Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 17 to 20)
હે ઈમાનવાળાઓ ! જયારે તમે નમાઝ અદા કરવા માટે ઉભા થાવ, તો તમારા મોઢા તથા હાથ કોણીઓ સુધી ધોઈ લો, તમારા માથા પર (ભીનો) હાથ ફેરવી લો, અને તમારા પગ ઘૂંટીઓ સુધી ધોઈ લો. અને જો તમે (વીર્યસ્ખલનના લીધે) નાપાક હોવ તો, આખુ શરીર પાક કરો. (અલ માઈદહ-૬)
આ આયતે કરીમા અલ્લાહપાકની મહાન ભેટ છે. જેમા અલ્લાહ તઆલાએ તંદુરસ્તીનું રહસ્ય છતુ કર્યું છે. આટલું જ નહીં વુઝૂ તથા ગુસલને ફર્ઝ તથા ઈબાદતો માટે પૂર્વ શરત ઠરાવીને સવાબનો કાયમી દરવાજો પણ ઉઘાડી દીધો છે. મતલબ એ કે શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ આધ્યાત્મિક પ્રગતિ પણ પ્રાપ્ત થતી રહે.
કુર્આન શરીફ જે સમસ્ત માનવઓના વ્યક્તિગત સામૂહિક જીવનનો પાયો છે, તેમાં જે આદેશો આપવામાં આવ્યા છે, તેનો આશય ફકત એ છે કે, માનવસમાજ સુખી થાય. વુઝૂ તથા ગુસલ સબંધી ઉપરોકત આયતમાં તેની બરકતો બયાન કરવામાં આવી છે, અને તંદુરસ્તી બાબતે જે ફાયદાઓ તેનાથી મળી રહે છે, તેના પ્રતિ ઈશારાઓ કરવામાં આવ્યા છે.
આજે સામાન્ય ભણેલો–ગણેલો શખ્સ પણ વૈજ્ઞાનિક હકીકત જાણે છે કે, લોહીની ધમનીઓ બે રીતે કામમાં આવે છે : (૧) તેના વડે હૃદય દ્વારા ફેંકાતું લોહી સમગ્ર શરીરમાં પહોંચે છે, (ર) ત્યાર પછી જે વપરાયેલ લોહી હૃદય સુધી પહોંચે છે, તે ધમનીઓ દ્વારા જ પહોંચે છે.
લોહીની આ ધમનીઓ બરાબર કામગીરી બજાવતી રહે, તો અપ–ડાઉનની આ વ્યવસ્થા સારી રીતે ચાલતી રહે છે. મતલબ એ કે, માણસ સ્વસ્થ રહે છે તથા લોહીનું દબાણ સામાન્ય રહે છે.
પરંતુ જો રુધિરાભિસરણની આ વ્યવસ્થામાં જરા સરખી પણ ગરબડ થાય, તો તેની સીધી અસર સ્વાસ્થ્ય ઉપર પડે છે. કારણ કે લોહી હૃદયથી નસોમાં જાય છે, અને નસોમાંથી ફરી પાછુ હૃદયમાં આવે છે. આ રકતવાહિનીઓ સમગ્ર શરીરમાં ફેલાયેલી છે. તેમાં કેટલીક નસો અત્યંત બારીક હોય છે. જો હૃદયથી તેનુ અંતર વધારે હશે અને લોહી પહોંચવાની વ્યવસ્થામાં પણ ખામી ઉત્પન્ન થઈ હશે, તો આવી નસોમાં બરડતા આવી જાય છે. જેના કારણે અનેક બીમારીઓ જન્મે છે.
ધમનીઓ તથા બારીક નસોને યોગ્ય સ્થિતિમાં રાખવા અને તેમાં ઉત્પન્ન થતી બરડતાને રોકવા માટે સૌથી ફાયદાકારક ક્રિયા એ છે કે, તેમને વિસ્તરવાની તથા સંકોચાવાની કસરત પાબંદીપૂર્વક કરાવવામાં આવે. એક સામાન્ય નિયમ છે કે, શરીર ગરમીથી વિસ્તરે છે અને ઠંડીથી સંકોચાય છે. આ નિયમ મુજબ રકતવાહિનીઓને પેલી કસરત કરાવી શકાય એમ છે. જો નિયમિત પાણીનો ઉપયોગ કરવામાં આવે તો જે રકતવાહિનીઓ હૃદયથી દૂર છે અથવા જે નસો સખત થઈ ગઈ છે, તે ધીરે ધીરે નરમ થશે અને મજબૂત પણ. પાણી તે નસોને ખોલી નાંખશે અને પહોળી કરશે. અને તે બધા જ વિકારો જે અયોગ્ય આહાર–વિહારના કારણે નસોમાં ઉત્પન્ન થયા છે અથવા લોહીની ધીમી ગતિના કારણે નસો વસુકાઈ ગઈ હોય, તો પાણીના યોગ્ય ઉપચાર પછી બધી જ તકલીફો દૂર થઈ જશે. વૂઝૂ દ્વારા અલ્લાહ તબારક વ તઆલાએ રુધિરાભિસરણની આ વ્યવસ્થાને યથાવત્ રાખીને માનવીય તંદુરસ્તીનો પ્રબંધ કર્યો છે. વુઝૂ વડે શારીરિક નિર્બળતા, માનસિક બીમારીઓ તેમજ ચેતાતંત્રનો થાક દૂર થાય છે. જેનું કારણ સામાન્યતઃ મગજની નસોની બરડતા હોય છે.
વૂઝૂ તથા ગુસલની બરકતો અગણિત છે. તેનો એક મહત્વપૂર્ણ ફાયદો એ છે, કે અલ્લાહપાકે લોહીમાં જે સંરક્ષણાત્મક વ્યવસ્થા ઊભી કરી છે, વુઝૂ તથા ગુસલ દ્વારા તેને બળ મળે છે. આપણા લોહીમાં લાલ કણોની સાથોસાથ સફેદ કણો પણ હોય છે. માનવીય શરીરમાં જ્યારે કોઈ જીવાણું પ્રવેશે છે, તો સફેદ કણો તેનો પ્રતિકાર કરી તેને મારી નાંખે છે. સફેદ કણોની આ વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તથા તેમાં વિસ્તરણ તથા સંકોચન કેવી રીતે થાય છે, હજુ સુધી ચોક્કસપણે તેની બાબતે આપણને માહિતી નથી. પરંતુ વિશ્વાસપૂર્વક કહી શકાય કે, ગરમી તથા ઠંડકનો એટલે કે વિસ્તરણ તથા સંકોચનની વ્યવસ્થાનો તેની પર પ્રભાવ પડે છે.
ગુસલ તથા વુઝૂના મૂલ્યવાન ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે, તે વડે ચામડીના રોગોથી પણ સુરક્ષા થાય છે. જો કોઈ એમ કહે કે હાથ, પગ અને મોઢું તો બધા જ ધુએ છે, તો પછી વુઝૂ તથા ગુસલની શી મહત્વતા છે ? તો એ સમજવું રહ્યું કે, મુસલમાન આ કાર્યને પાબંદીથી ઈબાદત સમજીને કરે છે. એટલે તે એક જાતની વ્યવસ્થિત ક્રિયા બની જતી હોય છે, જેને અન્ય ધર્મીઓ કયારેય અમલમાં લાવી શકતા નથી.
સારાંશ એ કે, વૂઝૂ તથા ગુસલ અલ્લાહપાકની મહાન નેઅમતો છે. તેને ફર્ઝ કરી અલ્લાહ તઆલાએ સમગ્ર મુસ્લિમો બલ્કે સમગ્ર માનવજાત પર એહસાન કર્યું છે. આ કારણોસર જ સ્વયં અલ્લાહ તઆલાએ ઉપરોકત આયતમાં આગળ એમ કહૃાું છે (કે આ આદેશ એટલા માટે છે) ‘‘કે અલ્લાહ તઆલા તમારી ઉપર પોતાની નેઅમત પરિપૂર્ણ કરે.
વુઝૂ તથા ગુસલ વડે પણ અલ્લાહ તઆલાએ પોતાના પાલનહાર હોવાની સાબિતી આપી છે. વુઝૂ તથા ગુસલના આદેશો માનવજાત પ્રત્યે ખુદાની રહમતનો પયગામ છે.
Log in or Register to save this content for later.