વુઝૂની ફઝીલત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 16-17)

માણસ જ્યારે કોઈ અમીર અથવા માલદારની મુલાકાતે જાયછે, તો સૌથી પહેલાં તે પોતાના શરીર અને કપડાંની સફાઈનો ખ્યાલ કરે છે. એવું ન થાય કે મેલા (ગંદા) કપડાં કે બદનને જોઈ શરમાવવું પડે. ત્યારે એક મુસલમાન નમાઝના વખતે કોઈ અમીર કે રઈસ (રાજવી, શાસક)ની મુલાકાતે જતો નથી, પણ એક મહાન શહેનશાહ, માલિકે હકીકી, અલ્લાહ જલ્લ શાનહુની આગળ તેની શાને રહીમી તથા કરીમીથી મહેરબાની, માફી અને રહમતની ઉમ્મીદ રાખી તેની બંદગી કરવા ઉભો રહે છે. ત્યારે તેના દરબારમાં હાજરી આપવા માટે તેમજ તેની ઈબાદત માટે પવિત્રતા અને સ્વચ્છતા જરૂરી છે. તે સફાઈ અને પાકીઝગી માટે અલ્લાહપાકે એક આસાન તરીકો આપણને બતાવી આપ્યો છે, જેનું નામ વુઝૂ છે. વુઝૂમાં જાહેરી રીતે હાથ, પગ, મ્હોં ધોવામાં આવે છે, પણ આ જાહેરી (બાહ્ય) પાકીની અસર બાતિની (અંદરની) પાકી સુધી પહોંચે છે. અને વુઝૂ પુરૂં કર્યા પછી દિલમાં સફાઈ અને રોશની (નૂરાનિયત) દેખાય છે. વુઝૂમાં અલ્લાહ તઆલાએ આપણા માટે ઘણી બરકતો અને સવાબ રાખ્યો છે.

નમાઝ પઢવા પહેલાં પ્રથમ વુઝૂ કરવુ જરૂરી છે. હદીષ શરીફમાં છે કે, “જન્નતની ચાવી નમાઝ છે, અને નમાઝની ચાવી વુઝૂ.” (મિશ્કાત શરીફ) નબીએ કરીમ (સલ.)ની હદીષોમાં વુઝૂના ઘણા ફઝાઈલ આવ્યા છે, જેમ કે, “વુઝૂમાં શરીરના જે ભાગો અને અવયવો ધોવામાં આવે છે, તે અવયવોથી થતા ગુનાહ વુઝૂની બરકતથી માફ થઈ જાય છે.” (મુસ્લિમ શરીફ)

બીજી હદીષ શરીફમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, કિયામતના દિવસે હું મારી ઉમ્મતને ઓળખી લઈશ. કોઈએ અર્ઝ કરી : યા રસૂલલ્લાહ (સલ.) ! આટલા બધા લોકોમાંથી આપ કેવી રીતે ઓળખી શકશો ? આપ (સલ.)એ ફરમાવ્યું કે, મારી ઉમ્મતની ઓળખાણ એ હશે કે વુઝૂના લીધે તેઓના ચહેરા અને હાથ-પગ નૂરથી ચમકતા હશે. (મિશ્કાત શરીફ)

આપ (સલ.)એ ફરમાવ્યું કે, “જે માણસ સારી રીતે વુઝૂ કરે અને વુઝૂ કર્યા પછી અશ્હદુ અલ્લા ઈલાહ ઈલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્‌ અબ્દુહુ વ રસૂલુહ પઢે, તેના માટે જન્નતના આઠે દરવાજા ખોલી દેવામાં આવશે. તે જે દરવાજાથી ચાહે જન્નતમાં ચાલ્યો જાય.” (મુસ્લિમ શરીફ)

બીજી હદીષમાં છે કે, જે માણસ વુઝૂ કર્યા પછી સૂરએ કદ્ર (ઈન્ના અન્ઝલ્નાહુ) પઢે, તો તે સિદ્દીકીનમાંથી થશે. (એટલે તેને ઘણો મોટો સવાબ મળશે.)

આ ઉપરથી જણાયું કે, સારી રીતે (સુન્નત તરીકા મુજબ) વુઝૂ કરવામાં કેટલો બધો સવાબ અને ફાયદો છે.

Log in or Register to save this content for later.