Chapter : ઇદની નમાઝ અને તેના મસાઇલ
(Page : 135 to 140)
- રમઝાનુલ મુબારક પછી શવ્વાલ મહિનાની પહેલી તારીખે જે ઈદ હોય છે, તેને ઈદુલ ફિત્ર કહે છે. અને ઝિલ્હજ્જ મહિનાની દસમી તારીખે જે ઈદ હોય છે, તેને ઈદુલ અદહા (બકરહ ઈદ પણ) કહે છે. ઇસ્લામમાં એ બન્ને દિવસ ખુશીના દિવસ છે. એ બન્ને ઈદના દિવસે બબ્બે રક્અત નમાઝ પઢવી વાજિબ છે.
- જે લોકો ઉપર જુમ્આની નમાઝ ફર્ઝ છે, તેઓની ઉપર ઈદની નમાઝ પણ વાજિબ છે. એટલે કે ખુત્બા સિવાય જુમ્આની નમાઝ અદા થવાની અને વાજિબ થવાના માટે જે જે શરતો ઉપર લખવામાં આવી છે, તે દરેક શરતો બન્ને ઈદોની નમાઝ માટે પણ છે. જુમ્આની નમાઝ માટે ખુત્બો ફર્ઝ છે, અને તે નમાઝ પહેલાં પઢવુ શર્ત છે. જ્યારે બન્ને ઈદોની નમાઝમાં ખુત્બો ફર્ઝ નથી, બલ્કે સુન્નત છે. અને નમાઝ પછી પઢવામાં આવે છે. ઈદનો ખુત્બો જુમ્આની જેમ સાંભળવો વાજિબ છે. એટલે કે તે વખતે બોલવુ, નમાઝ પઢવી, તસ્બીહ પઢવી એ બધુ હરામ છે.
- બન્ને ઈદોની નમાઝમાં સામાન્ય તકબીરો ઉપરાંત બીજી ૬ તકબીરો કહેવી વાજિબ છે. ઈદની નમાઝનો તરીકો એ છે કે, પહેલાં નિય્યત કરે કે, હું બે રક્અત નમાઝ વાજિબ ઈદુલ ફિત્રની યા ઈદુલ અદહાની ૬ વધારાની તકબીરો સાથે પઢું છું, આ ઈમામની પાછળ, મોઢુ મારૂં કઅબા શરીફ તરફ, વાસ્તે અલ્લાહના. એ પછી જ્યારે ઈમામ તકબીરે તહરીમહ કહે ત્યારે મુક્તદી ‘અલ્લાહુ અકબર’ કહીને હાથ બાંધી લે અને “સના” (સુબ્હાનકલ્લાહુમ્મ) પુરી પઢે. હવે ઈમામ તકબીર કહે ત્યારે મુક્તદી પણ બન્ને હાથ કાનો સુધી ઉઠાવતાં “અલ્લાહુ અકબર” કહી બન્ને હાથ છોડી દે. ફરી બીજી વખત ઈમામ તકબીર કહે ત્યારે બન્ને હાથ કાનો સુધી ઉઠાવી “અલ્લાહુ અકબર” કહે અને હાથ છોડી દે. ફરી ત્રીજી વખત ઈમામ તકબીર કહે ત્યારે બન્ને હાથ કાનો સુધી ઉઠાવી“અલ્લાહુ અકબર” કહે અને હાથ બાંધી લે. હવે ઈમામ કિરાઅત પઢશે, તે સાંભળે અને કિરાઅત પુરી કર્યા પછી બીજી નમાઝોની જેમ રુકૂઅ, કવમહ, સિજદહ વિગેરે કરી બીજી રક્અત માટે ઉભા થાય. જ્યારે ઈમામ બીજી રક્અતમાં કિરાઅત પુરી કરી તકબીર કહે ત્યારે મુક્તદી “અલ્લાહુ અકબર” કહેતાં બન્ને હાથ કાનો સુધી ઉઠાવી છોડી દે. તેવી જ રીતે બીજી તકબીરમાં પણ “અલ્લાહુ અકબર” કહેતાં બન્ને હાથ કાનો સુધી ઉઠાવી છોડી દે. ફરી ત્રીજી તકબીરમાં પણ “અલ્લાહુ અકબર” કહેતાં બન્ને હાથ કાનો સુધી ઉઠાવી છોડી દે અને ચોથી તકબીર જ્યારે ઈમામ કહે ત્યારે હાથ ન ઉઠાવતાં “અલ્લાહુ અકબર” કહેતાં રુકૂઅમાં ચાલ્યા જાય અને બીજી નમાઝની જેમ જ રુકૂઅ, સિજદહ, આખરી કાએદહ વિગેરે કરી ઈમામની સાથે નમાઝ પૂરી કરે.
- જો કોઈ માણસ ઈદની નમાઝમાં ઈમામ પહેલી ત્રણ તકબીરો કહી ચૂકે પછી શામેલ થાય, તો તે નિય્યત બાંધવાની સાથે જ એટલે કે તકબીરે તહરીમહ કહી હાથ બાંધી તરત જ ત્રણ વખત હાથ ઉઠાવી તકબીર કહી લે. ઈમામ સાહબ કિરાઅત પઢતા હોય તો પણ.
- જો ઈમામ રુકૂઅમાં હોય તે વખતે રુકૂઅમાં આવીને શામેલ થવાનું હોય ત્યારે જો પાકી ખાત્રી હોય કે ઈમામની સાથે રુકૂઅ મળી જશે, તો નિય્યત બાંધીને ત્રણ વાર હાથ ઉઠાવી તકબીર કહીને રુકૂઅ કરે. અને જો રુકૂઅ ન મળવાની બીક હોય તો રુકૂઅમાં શામેલ થઈ જાય અને રુકૂઅમાં રુકૂઅની તસ્બીહની જગ્યાએ ત્રણવાર હાથ ઉઠાવ્યા વગર તકબીર કહી લે. અને જો તકબીરો પુરી થવા પહેલાં ઈમામ રુકૂઅથી ઉભા થઈ જાય, તો મુક્તદી પણ ઉભો થઈ જાય અને જેટલી તકબીરો રહી જાય તે માફ છે.
- જો પહેલી રક્અત જતી રહ્યા પછી બીજી રક્અતમાં શામેલ થયો હોય તો (ઈમામની નમાઝ પુરી થયા પછી) મસબુક જ્યારે પોતાની પહેલી રક્અત પઢવા ઉભો થાય ત્યારે પહેલાં કિરાઅત પઢે (સના, અલ્હમ્દુ શરીફ, સૂરત) અને કિરાઅત પૂરી કર્યા પછી હાથ કાનો સુધી ઉઠાવી ત્રણ તકબીરો કહે. ત્યાર બાદ રુકૂઅમાં જાય. જો કે કાયદા મુજબ તે તકબીરો પહેલા કહેવી જોઈતી હતી, પરંતુ એવી રીતે કરવાથી તકબીરો વારંવાર થઈ જાય છે, તેથી તેના વિરૂદ્ધ હુકમ આપવામાં આવ્યો.
- જો ઈદની નમાઝમાં આખરી કાએદહમાં પણ જમાઅતમાં શામેલ થઈ ગયો, તો પણ ઈદની નમાઝ મળેલી ગણાશે. અને મસબુક પોતાની નમાઝ ઉભા થઈને (ઈદની નમાઝના તરીકા પ્રમાણે) અદા કરી લે.
- જો કોઈ કારણસર ઈદની નમાઝ ઈદગાહ અથવા મસ્જિદમાં કોઈ જગ્યાએ ન મળી, અને દરેક લોકો નમાઝ પઢી ચૂક્યા હોય તો તે માણસ એકલો ઈદની નમાઝ પઢી શકતો નથી. કારણકે ઈદની નમાઝ માટે જમાઅત શર્ત છે. એવી જ રીતે કોઈ કારણે કોઈની ઈદની નમાઝ તૂટી જાય, ત્યારે પણ એ નમાઝની કઝા પઢી શકતો નથી. અને તેના પર એ નમાઝની કઝા પણ વાજિબ નથી. પરંતુ જો બીજા લોકો તેની સાથે શામેલ થાય, તો ઈદની નમાઝ કઝા નહીં, પણ અદા (નમાઝ) પઢવી વાજિબ છે.
- ઈદની નમાઝ જે જગ્યાએ પઢાય, ત્યાં તે જ દિવસે ઈદની નમાઝ પહેલાં અને ઈદની નમાઝ પછી કોઈ નફલ નમાઝ પઢવી મકરૂહ છે. ઘરમાં પણ ઈદની નમાઝ પહેલાં કોઈ નફલ નમાઝ પઢવી મકરૂહ છે. ઈદની નમાઝ પઢીને ઘેર આવ્યા પછી નફલ નમાઝ પઢવી સુન્નત છે.
- અઝાન તથા ઈકામત બન્ને ઈદોમાં નથી. જો કહેશે તો મકરૂહે તહરીમી થશે.
- કોઈ માણસ રમઝાન ઈદના દિવસે સઉદી (અથવા એવા દેશમાં જ્યાં ભારતથી એક-બે દિવસ પહેલાં ઈદ થાય છે) હતો ત્યાં તેણે ઈદની નમાઝ પઢી, ત્યાર બાદ તરત ફ્લાઈટ મારફત ભારત આવી ગયો ત્યારે અહીયાં ઈદ બાકી હતી, તો હવે તેણે એહતેયાત (સાવધાની અને બચાવરૂપે) ઈદની નમાઝ પઢી લેવી જોઈએ. જો ઈદની નમાઝ અહીયાં આવ્યો હોવાથી વાજીબ હશે તો વાજીબ, નહીંતર નફલ અદા થશે. (ફતાવા ઉસ્માની : પ૯૮/૧, ફતાવા રહીમિય્યહ : ૪૬૩/૩)
- કોઈ હનફી શાફિઈ ઈમામ પાછળ નમાઝ પઢે, તો વધારાની તકબીરોમાં પણ શાફિઈ ઈમામનું અનુકરણ કરે. (ઈમામ શાફિઈ રહ.ના મંતવ્ય મુજબ પહેલી રકઅતમાં સાત અને બીજી રકઅતમાં પાંચ તકબીરો છે.) હા, વધારાની તકબીરો સિવાય પણ નમાઝ વચમાં શાફિઈ ઈમામ હાથ ઉઠાવશે (જેને રફએ યદૈન કહે છે), તેમાં અનુકરણ ન કરે.(ફતાવા રહીમિય્યહ : ૪પપ/૩)
- જો કોઈ માણસની ઈદની નમાઝ છૂટી જાય અને કોઈ બીજી મસ્જિદમાં મળવાની શક્યતા હોય, તો ત્યાં જઈને પઢી લે. જો મળવાની શક્યતા નથી, તો તેની કઝા કરવાની નથી. હવે પોતાની સુસ્તી પર ખુદાપાકથી ઈસ્તિગફાર કરે. (કિતાબુલ ફતાવા : ૮૬/ર)
- અગર કોઈ કારણસર જેમકે ખૂબ જ વરસાદ હોય તો એના કારણે રમઝાન ઈદની નમાઝ એક દિવસ પાછળ ઠેલીને બીજા દિવસે પઢવામાં આવે, તો જાઈઝ છે. (કિતાબુલ મસાઈલ : ૪૪ર)
- બકરહ ઈદની નમાઝમાં અનાયાસે કોઈ શરઈ ઉઝર પેદા થઈ જાય, તો અગિયારમી કે બારમી તારીખના પણ પઢી શકાય છે. (કિતાબુલ મસાઈલ : ૪૪૩)
- ઈદગાહમાં ઈદની નમાઝથી પહેલાં અથવા ખુત્બા પછી ચંદો કરવામાં (ડબ્બો કે જોળી ફેરવવામાં) વાંધો નથી. હા, ખુત્બા સમયે એની ઈજાઝત નથી. (કિતાબુલ મસાઈલ : ૪૪૩)
- બન્ને ઈદ અને જુમ્આની નમાઝમાં કોઈ વાજિબ છૂટી જાય અથવા ફર્ઝ ડબલ થઈ જાય અથવા સહ્વના સિજદા માટે કોઈ કારણ બની જાય, તો લોકોની વધારે ભીડના કારણે સહ્વનો સિજદો કરવામાં આવશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૪૪ર)
ઈદગાહ પણ નથી અને મસ્જિદ પણ એટલી નાની છે કે બધા મુસલ્લિઓ ઈદની નમાઝ એકી સાથે પઢી શકે એમ નથી, તો કોઈ ખુલ્લા મેદાનમાં અથવા કોઈ મોટા હોલમાં ઈદની નમાઝ પઢવામાં આવે. અને જો એ પણ ન થઈ શકે તો જેટલા લોકો મસ્જિદમાં આવી રહે તે લોકો મસ્જિદમાં ઈદની નમાઝ પઢી લે અને બાકી રહેતા લોકો માટે બીજી કોઈ જગ્યા (હોલ વગેરે)ની વ્યવસ્થા કરી લેવામાં આવે. કોઈ શરઈ ઉઝર અને મજબૂરી વગર એક જ જગ્યાએ બે-ત્રણ વાર જમાઅત કરવામાં ન આવે.કોશિશ અને મહેનત પછી પણ બાકી રહેતા લોકો માટે બીજી જગ્યાની વ્યવસ્થા ન થાય અને નમાઝનો સમય નીકળી જવાનો ભય છે, તો બીજી વાર એ જ જગ્યા પર નમાઝ પઢી લેવામાં આવે. પણ એમાં ઈમામ બીજો રહેશે, જેણે પહેલી વખત નમાઝ પઢાવી છે, તે નહીં. (ફતાવા રહીમિય્યહ : ૪૬૩-૪૬૪/૩)
Log in or Register to save this content for later.