Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 10-11)
નમાઝ નહીં પઢનારાઓને કિયામતના દિવસે સૌથી પહેલાં જે ઝિલ્લતી અને સખત રૂસ્વાઈ ઉઠાવવી પડશે, તે વિશે કુર્આન મજીદની એક આયત શરીફમાં આ પ્રમાણે વર્ણન છે :
અર્થ : કિયામતના દિવસે (જે ભારે મુસીબતની ઘડી હશે અને જગતના આરંભકાળથી કિયામત સુધીના સૌ માણસો મહશરમાં ભેગા થશે ત્યારે) અલ્લાહ તઆલાની એક ખાસ તજલ્લી પ્રગટશે અને તે સમયે પોકારવામાં આવશે કે, સૌ લોકો અલ્લાહ તઆલાની આગળ સિજદહમાં પડી જાઓ. તો જે ભાગ્યશાળીઓ દુનિયામાં નમાઝો પઢતા હતા, અને અલ્લાહપાકને સિજદો કર્યા કરતા હતા, તેઓ તો તરત જ સિજદહમાં ચાલ્યા જશે, પરંતુ જેઓ તંદુરસ્ત, શક્તિશાળી હોવા છતાં નમાઝ પઢતા ન હતા, તેઓની કમર તે સમયે પાટીયા સમાન સખત કરી દેવામાં આવશે. અને તેઓ કાફિરો સાથે ઉભા રહી જશે, અને સિજદો કરી શકશે નહીં. અને તેઓ પર ભારે હિણપત તથા હલકાઈનો અઝાબ છવાઈ જશે. તેઓની નજરો નીચે ઢળેલી હશે અને તેઓ આંખ ઉઠાવી કંઈ જોઈ શકશે નહીં.
દોઝખના અઝાબ પહેલાં તેઓને ઝિલ્લત અને હલકાઈનો આ અઝાબ મહશરમાં તમામ દુન્યાના લોકો સામે ભોગવવો પડશે. અલ્લાહ તઆલા આપણને સૌને આ અઝાબથી બચાવે, આમીન.
નમાઝ ન પઢનાર માણસ હકીકતમાં એક પ્રકારે ખુદાનો બાગી (દ્રોહી) છે. તેને જેટલો પણ ઝલીલ અને રૂસ્વા કરવામાં આવે અને જેટલી પણ શિક્ષા આપવામાં આવે, બેશક તે તેના જ લાયક છે. ઉમ્મતના કેટલાક ઈમામોના મંતવ્ય મુજબ તો નમાઝને છોડનારા દીનથી બહાર થયેલા અને મુર્તદો સમાન હોઈ કત્લ કરી દેવાને લાયક છે.
ભાઈઓ ! આપણે સૌએ સારી રીતે સમજી લેવું જોઈએ કે, નમાઝ વગર ઇસ્લામનો દાવો દલીલ વિનાનો છે. અને નમાઝ પઢવી જ તે ખાસ ઇસ્લામી અમલ છે, જે અલ્લાહ તઆલા સાથે આપણો સબંધ જોડે છે અને આપણને તેની રહમતના હકદાર બનાવે છે.
Log in or Register to save this content for later.