બેનમાઝી રસૂલુલ્લાહ (સલ.)ની નજરમાં

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 10)

હદીષોથી જણાય છે કે, આપ (સલ.) નમાઝ ન પઢવાને કુફ્રની વાત અને કાફિરોની રીત ઠેરવતા હતા અને ફરમાવતા હતા કે, જે માણસે નમાઝ છોડી, તેનો દીનમાં કંઈ ભાગ નથી. જેમકે એક હદીષશરીફમાં રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, “બંદા અને કુફ્રની વચ્ચે નમાઝ છોડવાનું જ અંતર છે.” (મિશ્કાત શરીફ)

મતલબ કે બંદો અગર નમાઝને છોડી દેશે, તો કુફ્રની સાથે ભળી જશે. અને તેનું આ કૃત્ય કાફિરો જેવું કૃત્ય લેખાશે. એક બીજી હદીષમાં છે કે, જે નમાઝ પઢતો ન હોય, તેનો ઇસ્લામમાં કોઈ પણ ભાગ નથી. (દુર્રે મન્સૂર)

નમાઝ પઢવી કેવી મહાન દૌલત અને કેવી નેકબખ્તી છે, અને નમાઝ છોડી દેવી કેવી ભારે બરબાદી અને કેવી બદબખ્તી છે, એનો માપ કાઢવા માટે રસૂલુલ્લાહ (સલ.)ની આ એક હદીષ જુઓ :

એક દિવસ રસૂલુલ્લાહ (સલ.)એ નમાઝ વિશે તાકીદ કરતાં ફરમાવ્યું કે, “જે કોઈ નમાઝને સારી રીતે અને પાબંદી સાથે અદા કરશે, તો તે (નમાઝ) કયામતમાં તેના માટે નૂર થશે અને તેના માટે (ઈમાન અને ઇસ્લામની) દલીલ થશે, અને છૂટકારાનું કારણ બનશે. અને જે કોઈ તેને ધ્યાનપૂર્વક અને પાબંદી સાથે અદા નહીં કરે, તો તેના માટે ન તો નૂર થશે અને ન દલીલ બનશે અને ન તેને અઝાબથી છોડાવશે. વળી, તે માણસ કિયામતમાં કારૂન, ફિરઔન, હામાન તથા ઉબય બિન ખલ્ફના સાથે હશે.” (મિશ્કાત શરીફ)

ભાઈઓ ! આપણામાંથી દરેકે વિચારવું જોઈએ કે, જો આપણે સારી રીતે નિયમસર પાબંદી સાથે નમાઝ પઢવા ટેવાયા નહિં, તો પછી આપણો હશ્ર, આપણું પરિણામ શું થનાર છે ?

Log in or Register to save this content for later.