Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 71 to 73)
એ વાતથી આપણે બધા વાકેફ જ છીએ કે, કોઈ પણ કામ કે ઈબાદત અદબો અને શર્તો ધ્યાને રાખી કરવામાં આવે તો તેમાં પ્રાણ ફુંકાય જાય છે. તે કામ અને ઈબાદત વધુ ફળદાયી તથા વધારે સવાબવાળુ બની જાય છે. ઝકાતમાં પણ અદબો ધ્યાને લેવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. એ અદબો નીચે મુજબ છે :
- ઝકાત જાહેરમાં અથવા કોઈ જુએ એ રીતે આપવા કરતાં ચૂપકેથી આપવું વધુ સારૂં છે. એમાં ઈખ્લાસ વધુ છે. (અલ્ બકરહ : ર૭)
- રિયાકારી, દેખાવ, નામના મેળવવા ખાતર ઝકાત ન આપે અને બની શકે ત્યાં સુધી પોતાના દિલમાંથી પણ આવા વિચારો કાઢી નાંખવાની કોશિષ કરે.
- કોઈને સદકો, ઝકાત આપ્યા પછી એહસાન ન જતાવે. એટલે કે આ ઉપકારનું વર્ણન જીભ પર ન લાવે અને યાદ પણ ન દેવડાવે. જેમ કે કુર્આન શરીફમાં છે : “હે ઈમાનવાળાઓ ! પોતાની ખયરાતને ઉપકાર જતાવી અથવા ઈજા પહોંચાડી બરબાદ કરો નહીં, તે માણસની માફક જે પોતાનો માલ લોકોને દેખાડવા અર્થે ખર્ચ કરે છે. અને તે અલ્લાહપાક પર તેમજ કિયામતના દિવસ પર ઈમાન રાખતો નથી.” (સૂરએ બકરહ્ : ર૬૪)
- ઝકાત આપ્યા પછી એના ઉપર એહસાન ન રાખે. એહસાન (ઉપકાર) રાખવાનો મતલબ એ છે કે, ઝકાત આપ્યા પછી પોતાના દિલમાં એમ સમજવું કે, મેં એને માલ આપ્યો છે, જેથી તે મારા તાબા હેઠળ રહે, જરૂરતના સમયે મારી ચાકરી કરે અને મારા કામોમાં સાથ આપે.
- સારો અને હલાલ માલ મોહતાજ માણસને આપવો જોઈએ. શંકાસ્પદ માલ અલ્લાહના રસ્તામાં આપવાથી અલ્લાહપાકની નિકટતા પ્રાપ્ત થતી નથી. અલ્લાહપાક ફરમાવે છે : હે ઈમાનવાળાઓ ! પોતાની કમાણીમાંથી ચોખ્ખી (પવિત્ર) વસ્તુ તથા અમે જમીનમાંથી જે ચીજો તમારા માટે ઉત્પન્ન કરી છે, તેમાંથી (નેક કામમાં) આપ્યા કરો અને તેમાંથી એવી રદ્દી ચીજ આપવાનો ઈરાદો પણ ન કરો કે જેને તમે પોતે પણ આંખમિચામણાં કર્યા વિના લઈ શકો નહીં. (સૂરએ બકરહ : ર૬૭)
ઝકાત એવા નેક અને સારા લોકોને શોધીને આપવામાં આવે કે જેઓ પોતાની ખરાબ આર્થિક પરિસ્થિતી અને ગરીબીને ઢાંકીને ફરે છે. અને એવી ખુદ્દારીથી રહે છે કે, પોતાની હાલત કોઈની સામે જાહેર થવા દેતા નથી. અને પોતાની આર્થિક ખરાબ સ્થિતિ પર સબ્ર કરી જીવન વિતાવે છે. હકીકતમાં આવા જ લોકો મોહતાજ અને ગરીબ છે. કુર્આન શરીફમાં છે : (ખયરાત તો) તે ગરીબોનો હક છે કે જેઓ અલ્લાહ તઆલાની રાહ (દીની સેવા)માં રોકાયેલા હોય. તે લોકો (રોજી મેળવવા) દેશમાં ક્યાંય જઈ શકતા નથી તેમજ તેઓના સવાલ નહીં કરવાના કારણે અજાણ્યો માણસ તેઓને ધનવાન માને છે. (પણ) તમે તે લોકોના મુખ પરથી જ તેઓને ઓળખી શકો છો. તેઓ લોકો પાસે (ભિખારીઓની જેમ) અડીને માંગતા નથી. અને તમે જે કંઈ માલ (તેઓની સેવા અર્થે) ખર્ચ કરશો, તો બેશક અલ્લાહપાક તેને ખૂબ જાણે છે. (સૂરએ બકરહ : ર૭૩)
- ઝકાત એવા લોકોને આપવામાં આવે જે નેક, પરહેઝગાર અને દીનદાર હોય. આમ તો કોઈ પણ ગરીબ મુસલમાનને ઝકાત આપવાથી ઝકાત અદા થઈ જાય છે, પરંતુ નેક, પરહેઝગાર, દીનદાર લોકોને ઝકાત આપવી વધારે સારૂ અને શ્રેષ્ઠ છે. એવા લોકોની દુઆઓ આપણા માટે ઘણી બધી મુસીબતોથી છૂટકારાનો ઝરીયો બની જાય છે.
- ઝકાત લેવાવાળો પણ એમ સમજે કે તે આ માલદારો મારફત અલ્લાહપાક પાસેથી લઈ રહ્યો છે.
- એવા લોકોની પાસેથી સદકા, ખયરાત અને ઝકાતનો માલ લે, જેઓની કમાણી હલાલ છે. અને એ લોકો હરામ અને નાજાઈઝ રીતે માલ કમાતા નથી.
- લેવાવાળાએ જરૂરત જેટલી માત્રામાં જ લેવું જોઈએ. બેંક બેલેન્સ બનાવવા અને પૈસા વધારવા ખાતર ભેગું ન કરે. (ઝકાતની અહમિયત : પેજ-ર૩/ર૪ ટૂંકાવીને, કિતાબુલ ફતાવા : ૩૧૩-૩૧૪/૩)