Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 62 to 68)
માનવીય સમાજમાં અમુક લોકોનું માલદાર હોવું તથા અમુક લોકોનું ગરીબ હોવું એ સાહજીક બાબત છે. એટલે દરેક સમાજની એ બુનિયાદી ફરજ છે કે, તેના ધનવાનો પોતાના ગરીબ ભાઈઓની આર્થિક મદદ કરે. અને એ હેતુ માટે પોતાની સંપત્તિનો એક ભાગ દાન માટે અલગ કરે.
ઇસ્લામ પહેલાના આકાશી ધર્મોમાં પણ ઝકાત-સદકાતના આદેશો આપવામાં આવ્યા છે. કુર્આન મજીદનું વર્ણન છે કે, હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામ પોતાના ઘરવાળાઓને નમાઝ તથા ઝકાતનો આદેશ આપતા હતા. (સૂ.મરયમ : પપ) હઝરત યઅકૂબ અલયહિસ્સલામના પૂત્રો (બની ઈસ્રાઈલ)થી ખુદાપાકે જે વાતોનો કરાર લીધો, તેમાં નમાઝની સાથો-સાથ ઝકાતનો પણ ઉલ્લેખ હતો. (સૂ.બકરહ : ૩) હઝરત ઈસા અલયહિસ્સલામે પણ એલાન ફરમાવ્યું કે, મને જીવનભર નમાઝ અદા કરવાની તથા ઝકાત આપવાની સુચના આપવામાં આવી છે. (સૂ.મરયમ : ૩૧)
ભલે બાઈબલમાં માનવીય હસ્તક્ષેપના કારણે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે, પરંતુ તે છતાં તેમાં ક્યાંક અસ્પષ્ટ કે સ્પષ્ટપણે દાન કરવાની વાત જોવા મળે છે. જુના કરારમાં અન્ન તથા જાનવરોમાં દસમો ભાગ જરૂરી ઠરાવવામાં આવ્યો છે. (અહબાર : ર૭, ૩× ર૦)
અન્ય ધર્મોમાં પણ મન્નત-બાધા, કુર્બાની-બલિ અને દાનની વિભાવના મૌજૂદ છે. સારાંશ કે, માનવસેવા, ગરીબોની મદદ અને જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરવી વિશ્વના તમામ ધર્મો તથા માનવસ્વભાવનો એક સહિયારો વારસો છે. જેને ઇસ્લામે માત્ર યથાવત્ જ ન રાખ્યો, બલ્કે તેને ખુદાપાકની બંદગીનો દરજ્જો આપી દીધો. અને તેની મહત્વતા વધારવાની સાથોસાથ માનવજાત સમક્ષ તેની એક સુસંગઠિત વ્યવસ્થા રજૂ કરી.
ઇસ્લામી શિક્ષાઓનું સર્વપ્રથમ તથા આધારભૂત સ્ત્રોત કુર્આન મજીદ છે. કુર્આન મજીદે ઝકાતને મહત્વ આપ્યું છે. તેનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે, તેણે વીસ જગ્યાએ ઝકાતનો ઇસ્લામની સર્વપ્રથમ ફરજ (કર્તવ્ય) નમાઝની સાથોસાથ ઉલ્લેખ કર્યો છે. બત્રીસ સ્થાનોમાં સ્પષ્ટ રીતે “ઝકાત”નો શબ્દ અને પંદર જગ્યાએ “સદકા”નો શબ્દ પ્રયોજાયો છે. અનેક જગ્યાએ ખુદાપાકની રહમત (કૃપા)નો હકદાર બનવા માટે ઈમાન તથા તકવા સહિત ઝકાતની અદાયગીને પણ શરતરૂપે ઠરાવવામાં આવી છે. (સૂ.અઅ્રાફ : ૧૬પ) તેમજ કહેવામાં આવ્યું છે કે, ઝકાત તમારા માલમાં કમીનું કારણ ન બને, બલ્કે બરકત તથા વૃધ્ધિનું નિમિત્ત બનશે. (સૂ.રૂમ : ૩૯) આખિરતમાં તેનો જે સવાબ છે, તેને અલ્લાહપાકે એમ દર્શાવ્યું છે :
“અલ્લાહ તઆલાના માર્ગે દાન તરીકે ખર્ચ કરનારાઓનું ઉદાહરણ તે વાવવામાં આવેલ બી જેવું છે, જેમાંથી સાત ડૂંડાં ઉગી નીકળી આવે. અને દરેક કણસલામાં સો-સો દાણા હોય. અલ્લાહ તઆલા જેના માટે ઈચ્છે છે, તેના માટે સવાબ બેગણો કરી આપે છે. અને તે મહાન તથા જ્ઞાની છે.” (અલ બકરહ : ર૬૧)
જે લોકો ઝકાત અદા ન કરે અને ગરીબોનો હક્ક અદા કરવામાં ઠાગાઠૈયા કરે છે, તેઓ માટે આવા જ પ્રકારની ખતરનાર સજાનો પણ કુર્આને ઉલ્લેખ કર્યો છે. કુર્આને કરીમમાં છે :
“જે દિવસે સોનું-ચાંદી આગમાં ગરમ કરવામાં આવશે, પછી તેના વડે કપાળ પર તથા પડખા પર અને પીઠ પર ડામ દેવામાં આવશે. અને કહેવામાં આવશે કે, આ જ છે તે માલ, જે તમે તમારા માટે એકત્ર કર્યો હતો. તો હવે આ માલનો સ્વાદ ચાખો.” (અત્તૌબા : ૩પ)
ક્યાંક એમ ફરમાવવામાં આવ્યું કે, તે માલનો હાર બનાવી અઝાબરૂપે તેના ગળામાં પહેરાવી દેવામાં આવશે. (સૂરહ આલિ ઈમરાન : ૧૮) સાચી વાત એ છે કે, ઇસ્લામ જેને સદ્કાર્ય કહે છે, તેમાં નમાઝ પછી જેટલી તાકીદપૂર્વક તથા ભારપૂર્વક કુર્આને ઝકાત તેમજ સદકાનો ઉલ્લેખ કર્યો છે. તેવો ભારપૂર્વક ઉલ્લેખ અન્ય કોઈ અમલનો કર્યો નથી.
અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઝકાતને ઇસ્લામના ચાર સ્તંભો (અરકાન) પૈકી બીજા નંબરના સ્તંભનો દરજ્જો આપ્યો છે. પહેલા ક્રમે નમાઝ છે. અને ક્યારેક આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જે વાતો પર બૈઅત લીધી, તેમાં ઝકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. (બુખારી શરીફ : ૧/૧૮૮)
ઝકાત અદા ન કરવાની સજારૂપે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જે વઈદો દર્શાવી છે, તે ધ્રુજારી દેનારી છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, જે માલની ઝકાત આપવામાં ન આવી હશે, તે ઝેરી સાપનું રૂપ ધારણ કરી ગળાનો હાર બની જશે અને કરડતો રહેશે. (બુખારી શરીફ) જે જાનવરોની ઝકાત અદા કરવામાં ન આવી હશે, તે જાનવરો તેના શરીરને કચડી નાંખશે. (બુખારી શરીફ)
બે સન્નારીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સેવામાં હાજર થઈ. તેમના હાથોમાં સોનાના કંગન હતા. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, એમની ઝકાત અદા કરી દીધી છે ? તેણીઓએ નકારમાં જવાબ આપ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : “શું તમને એ વાત ગમશે, કે તમને આગના કંગન પહેરાવવામાં આવે ?” ત્યાર પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઝકાત આપી દેવાની સૂચના આપી. (તિરમિઝી : ૧/૧૩૮)
તદુપરાંત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ દુન્યામાં પણ ઝકાત આપવા પર ખુશખબરી આપી છે, અને ન આપવા પર અલ્લાહ તઆલાની પકડનો ઉલ્લેખ કર્યો છે. ફરમાવ્યું કે, સદકો બૂરા અંજામ (કુફ્રની મૌત)થી બચાવે છે, ઉંમરમાં વધારો કરે છે. (અત્તરગીબ વત્તરહીબ : ૧૬૧) સિત્તેર મુસીબતોના દ્વાર બંધ કરે છે, બલાઓ તેનાથી ટળી જાય છે. (મિશ્કાત : ૧/૧૬૭)
જે માલની ઝકાત આપવામાં ન આવી હોય તો ઝકાતના માલની સાથો-સાથ મૂળ માલ પણ બરબાદ થઈ જાય છે. (મિશ્કાત શરીફ, કિતાબુઝ ઝકાત) જે લોકો ઝકાત નથી આપતા, તેમના પર દુકાળ ત્રાટકે છે.(અત્તરગીબ વત્તરહીબ)
અન્ય એક હદીષ શરીફમાં છે કે, જે લોકો ઝકાત અદા નહીં કરે, તેઓને વરસાદથી મહરૂમ (વંચિત) કરી દેવામાં આવશે. જો તે વસ્તીમાં જાનવરો ન હોય તો કદાચ તેમના ઉપર જરા પણ વરસાદનહીં વરસે. ઉપરોક્ત હદીષોથી ફલિત થાય છે કે, ઉમ્મતની બરબાદી તથા આર્થિક તંગીનું એક મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે, ઉમ્મત ઝકાત અદા કરવામાં ગફલત કરી રહી છે.
પ્રત્યેક ધર્મ એમ તો અલ્લાહ તઆલા સાથે સબંધ સ્થાપવાનો તથા પ્રેમ કરવાનો દાવો કરે છે, પરંતુ ઇસ્લામે બધા ધર્મોની રીતને રદબાતલ ઠરાવી. અને અલ્લાહપાક સાથે પ્રેમપૂર્વક સબંધ સ્થાપવા માટે સર્વપ્રથમ નમાઝ ફર્ઝ કરી. જે એક અત્યંત પવિત્ર તથા અસરકારક ક્રિયા છે. જેમાં માનવીનું પ્રત્યેક અંગ ખુદાપાકના દરબારમાં હાજર થઈ જાય છે. અને બંદગીની ચરમસીમા તો ત્યારે આવે છે, જ્યારે માણસ પોતાનું માથુ જમીન પર નમાવી દે છે.
નમાઝ તો એક હકારાત્મક પ્રક્રિયા છે. અલ્લાહપાકથી પ્રેમ- પૂર્વકનો સબંધ ત્યારે જ પરાકાષ્ઠા પર પહોંચી શકે છે, જ્યારે અલ્લાહપાક સિવાય (ગયરૂલ્લાહ)થી સબંધ વિચ્છેદ થાય. મતલબ કે, સબંધોને ગાઢ કરવા માટે નકારાત્મક પ્રક્રિયા પણ જરૂરી છે. આ વિશ્વમાં જો કોઈ વસ્તુ માનવીના મનને સૌથી વધારે મોહી લે છે, તો તે “માલ” છે. માલની લાલચ માણસને સર્વપ્રથમ અલ્લાહપાકથી દૂર કરે છે. અને જ્યારે માલો-દૌલત આવી જાય છે, તો તેનો એવો નશો ચઢે છે કે, માણસ ઘમંડનો શિકાર થઈ જાય છે. આ ઘમંડ તેના માટે પ્રાણઘાતક ઝેર પુરવાર થાય છે. તેનાથી સ્વાર્થવૃત્તિ જન્મે છે, બલિદાનની ભાવના નષ્ટ થાય છે. અન્ય માનવીના અધિકારોને તે બેકાર સમજવા લાગે છે. પોતાની દૌલત વિશે એવું સમજે છે કે, એ તેણે પોતાની બુધ્ધિબળ કે બાહુબળથી કમાઈ છે.
“ઝકાત” ધનની આ લાલસાને જ ઓછી કરે છે. “નમાઝ” અલ્લાહપાક સાથે સબંધ સ્થાપવાની રીત છે. તો ઝકાત અલ્લાહ તઆલા સિવાયથી સબંધ વિચ્છેદ કરવાનો રસ્તો છે. આ પ્રક્રિયાને“તઝકિયહ્” યાને ચિત્તશુધ્ધિ કહેવામાં આવે છે. તેનાથી જ વિનમ્રતા ઉદ્ભવે છે. ઝકાતનો અમલ બંદાનો એ વિશ્વાસ વ્યક્ત કરે છે કે, તેની પાસે જે કાંઈ છે, તે ખુદાપાક તરફથી ભેટ છે. એમાં ખુદ એની શક્તિની કોઈ ભૂમિકા નથી. આ એ વાતનો એકરાર છે કે, તે ખુદાપાકની ખુશી મેળવવા માટે દુન્યાની દૌલત કુર્બાન કરવા માટે પણ તૈયાર છે. આનાથી ઈમાન (શ્રધ્ધા) તાજુ થાય છે, અને દુન્યાની દૌલત પાક થાય છે. માણસનું અંતરમન પાક થાય છે, અઅ્માલ પાક થાય છે. એટલે તેનું નામ જ “ઝકાત” રાખવામાં આવ્યું છે. જેનો અર્થ જ થાય છે પાકી, પવિત્રતા. કુર્આને કરીમે ઝકાતનો હેતુ શું છે, તે દર્શાવતાં આ મુદ્દા પ્રતિ ઈશારો કર્યો છે કે, “તેમના માલોમાંથી સદકો (ઝકાત) લઈ લો, એનાથી તમે તેમને પાક કરી દેશો.” (સૂ.તૌબા : ૧૦૩)
આ તો ઝકાતનું અધ્યાત્મિક (રૂહાની) પાસુ છે. તેના ભૌતિક તથા આર્થિક ફાયદાઓ તો સુસ્પષ્ટ છે. કોઈ પણ સમાજમાં માલદારોની સાથોસાથ ગરીબો પણ હોવાના જ. ઝકાત સમાજના ગરીબ તથા કચડાયેલા વર્ગને સુરક્ષા પૂરી પાડે છે. અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે બહુ સારી વાત કરી છે કે, જો બધા લોકો ઝકાત અદા કરી દે, તો કોઈપણ માણસને રોટી-કપડાંથી વંચિત રહેવું નહીં પડે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું ફરમાન છે કે, અલ્લાહપાકે માલદારો પર એટલી ઝકાત ફર્ઝ કરી છે કે, તે ગરીબો માટે પૂરતી થઈ જાય. જો અમુક લોકો નિર્વસ્ત્ર તથા ભૂખ્યા હશે, તો એ માલદારોએ ઝકાત ન આપી તે કારણે હશે. એટલે અલ્લાહપાકને એ હક્ક છે કે, આ મામલા વિશે માલદારોથી હિસાબ માંગે અને (ભૂલ જણાય તો) તેઓને અઝાબ આપે.
જે લોકો ઝકાતના હક્કદાર છે, તેમની ગણતરી કરવામાં આવે. ત્યાર પછી જેમના પર ઝકાત જરૂરી છે, તેમની કરવામાં આવે. અર્થાત્ તેમના પર કેટલી ઝકાત આપવી જરૂરી છે, તેની ગણતરી કરવામાં આવે તો અમને વિશ્વાસ છે કે, ઝકાત તમામ ગરીબોની જરૂરિયાત પૂરી કરી દેશે. આંકડાઓની મદદથી કાશ આ દિશામાં કોઈ સંશોધન કરે, તો ઈન્શાઅલ્લાહ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની આ ભવિષ્યવાણી માત્ર શ્રધ્ધા આધારિત નહી રહેશે, બલ્કે વાસ્તવિક્તા બની જશે.
ઝકાત અદા કરવાનો ફાયદો ખુદ માલદારોને એ મળશે કે, ગરીબો (જેમની મહેનત તથા મજૂરીથી જ વૈભવ વિલાસરૂપી દીપ પ્રજ્વલિત રહે છે, અને તેમના પ્રતાપે ઝિંદગીના આરામગૃહમાં વસંત ખીલેલી રહે છે)માં તેમના વિરૂધ્ધ તિરસ્કારની લાગણી નહીં જન્મશે. અને તેઓ તેમને પોતાના હમદર્દ તથા હિતેચ્છુ સમજશે. પશ્ચિમી મૂડીવાદમાં ઝકાત માટે તો ક્યાં કોઈ જગ્યા છે ? ઉલ્ટાનું વ્યાજે ગરીબો તથા મજૂરોની કેડ ભાંગી નાંખી છે. આ વ્યાજ મોહતાજ તથા શ્રમજીવી વર્ગમાં માલદારો વિરૂદ્ધ તિરસ્કારની ભાવના જગાડે છે, અને તેમને ઉશ્કેરે છે. કમ્યુનિસ્ટ ચળવળ આ તિરસ્કારને વાચા આપવા માટે જ ઉભી થઈ. જો કે તે પણ સ્વાર્થી લોકોને લઈ નિષ્ફળ નિવડી. ઇસ્લામે ઝકાત વડે તેનો ઉપાય કર્યો છે. અને સંપત્તિની વહેંચણીમાં સંતુલન સ્થાપવાની કોશિશ કરી છે.
Log in or Register to save this content for later.