Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 98 to 102)
ઝકાત ઇસ્લામનો એક મહત્વરપૂર્ણ આદેશ (ફર્ઝ) છે. ઝકાત દરેક માલ પર નથી, બલ્કે કેટલીક ખાસ ખાસ ચીજો પર છે. ખાણ પેદાશોમાંથી માત્ર સોના અને ચાંદી પર ઝકાત જરૂરી છે. અલબત્ત, વ્યાપારની સ્થિતિ અપવાદરૂપ છે. વ્યાપાર કોઈપણ વસ્તુનો કરવામાં આવે તે ઝકાતનો માલ છે અને તેની ઉપર ઝકાત જરૂરી હશે.
આ સંદર્ભે એક મહત્વપૂર્ણ સમસ્યા જે વર્તમાનકાળમાં જન્મી છે, એ છે કે, કેટલાક લોકો પોતાની સંપત્તિની સુરક્ષા માટે તથા ટેકસથી બચવા માટે રોકડ રકમને હીરા-ઝવેરાતના સ્વરૂપે ફેરવી નાંખે છે. આ સ્વરૂપ બદલી નાંખવાનો હેતુ ભલે વ્યાપાર નથી હોતો, પરંતુ તે રૂપિયા-રકમનું બદલાયેલું રૂપ છે. એટલે શું આવા હીરાઝવેરાત પર ઝકાત જરૂરી હશે ? એક મંતવ્ય એ છે કે, તેની પર ઝકાત નહીં હશે. કારણકે શરીઅતે વિશેષ ચીજો પર ઝકાત જરૂરી ઠરાવી છે અને હીરા-ઝવેરાત તે ચીજો પૈકી નથી. જ્યાં સુધી રોકડ રકમનું બીજુ રૂપ ધારણ કરવાની વાત છે, તો રૂપિયાથી તો જમીન પણ ખરીદી શકાય છે, મકાન ખરીદી શકાય છે અને બીજા ઘણા બધા સ્વરૂપે રકમને ફેરવી શકાય છે. જો હીરા ઉપર ઝકાત ઠરાવવામાં આવશે, તો પછી ઝકાત માટે કોઈ પૂર્વ નિર્ધારિત માલની વિશેષતા બાકી નહીં રહેશે. જે શરીઅતની મન્શા (ચાહત) વિરૂદ્ધ છે. એટલે જ ઇસ્લામી કાયદાશાસ્ત્રના ગ્રંથો (કુતુબે ફિકહ)માં સ્પષ્ટતા મળે છે કે, હીરા ઉપર તે વખતે ઝકાત જરૂરી છે, જ્યારે તેને વ્યાપારની નિય્યતથી ખરીદયા હોય. જો આવું ન હોય તો તેની પર ઝકાત નથી. (આલમગીરી : ૧/૧૮૦) આ જ બહુમતિ વિદ્વાનોનું મંતવ્ય છે.
બીજુ મંતવ્ય એ છે કે, રોકડ રૂપિયાથી હીરા એટલા માટે ખરીદવામાં આવ્યા છે કે, પેલી રોકડ રકમ સુરક્ષિત રહે. હીરાને હીરા ખાતર ખરીદવામાં નથી આવ્યા. એટલે કે તે રોકડ રકમ જ છે, જે એક બદલાયેલા સ્વરૂપે મૌજૂદ છે. એ કારણે તેની ઉપર પણ ઝકાત જરૂરી હોવી જોઈએ. આ લખનારના મતે પહેલુ મંતવ્ય વધારે દમદાર છે. અને આ બીજુ મંતવ્ય વધારે સાવચેતીપૂર્વકનું છે. એ કારણે એવા હીરા-ઝવેરાત જે વપરાશ માટે નથી, બલ્કે મૂડીને સાચવવા માટે ખરીદવામાં આવ્યા છે, તેની ઝકાત અદા કરી દેવી જ બેહતર છે.
માલથી માલ પ્રાપ્ત કરવાની બે રીતો છે. એક વ્યાપાર કરીને અને બીજી ભાડે આપીને. વ્યાપાર એ છે કે, કોઈ વસ્તુ આપીને તેની પર નફો મેળવવામાં આવે. દા.ત. જો તમે દસ રૂપિયાની પેન બાર રૂપિયામાં વેચો છો, તો પેન (કલમ)થી વંચિત હોવાની સ્થિતિને સહન કરીને તેની પર બે રૂપિયાનો નફો તમે રળો છો, આ વ્યાપાર છે. વ્યાપારના માલ પર ઝકાત જરૂરી છે. ભલને તે માટી કે જમીન જ કેમ ન હોય ? અને કોઈ વસ્તુ પર પોતાની માલિકી યથાવત્ રાખીને તેનાથી બીજાને ફાયદો ઉઠાવવાની વ્યવસ્થા કરી દેવામાં આવે તો તેને ભાડા પેટે આપવું કહેવાય છે. દા.ત. મકાન, વાહન વિગેરે ભાડા પર આપવામાં આવે. માલિકની માલિકી આ ચીજો પર બાકી રહે છે અને ભાડાના સ્વરૂપે તે તેનાથી નફો મેળવે છે. આવી ચીજો પર ઝકાત નથી, બલ્કે તેની આવક (ભાડા) પર ઝકાત છે.
આ જ હુકમ (આદેશ) તે વસ્તુઓનો પણ છે, જે “કમાણીના સાધનો” કહેવાય છે. દા.ત. સિલાઈ મશીન, પ્રેસ, કોમ્પ્યુટર, લેથ મશીન વિગેરે કે તેમની મૂળ કિંમત પર ઝકાત નથી, બલ્કે તેનાથી જે આવક થાય છે, તેના પર ઝકાત છે. (આલમગીરી : ૧/૧૭ર)
શેર (share)ના મૂળીયા તો બહુ જૂના છે, પરંતુ આજે એનો જેટલો વ્યાપ વધી ગયો છે, તેટલો ભૂતકાળમાં ન હતો. અમૂક શેર તો શુદ્ધ વ્યાપારીક પ્રકારના છે. અર્થાત્ એવી કંપનીઓના શેર છે, જે એક વ્યાપારીક મંડળ છે. જે માલસામાન ખરીદે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. આ શેર પર તો ઝકાત જરૂરી છે, કારણકે તે વ્યાપારનો માલ છે. પરંતુ કેટલાક શેરો એવા છે, જે ઔદ્યોગિક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ કે તેમની પાસે યંત્રો છે, જેનાથી કેટલીક ચીજોનું ઉત્પાદન થાય છે. સૈધ્ધાંતિક રીતે જુઓ તો આવા શેરની મૂળ કિંમત પર ઝકાત જરૂરી ન હોવી જોઈએ. કારણ કે તે કમાણીના સાધન જેવા છે, વ્યાપારના માલ જેવા નથી. માત્ર તેનાથી જે નફો મળે તેના પર ઝકાત હોવી જોઈએ, પરંતુ આજકાલ કંપનીઓ જે પ્રકારની પણ હોય, શેર વ્યાપારી હેતુઓથી જ લેવામાં આવે છે. એટલે ઉલમા (મુસ્લિમ વિદ્વાનો)નો મત એ છે કે, “શેર” બિનશરતી ધોરણે વ્યાપારનો માલસામાન છે. અને તેના પર ઝકાત જરૂરી હશે.
જે લોકોએ એવી નિય્યતે શેર ખરીદયા હશે કે શેરને વેચ્યા વગર કંપનીથી જે નફો મળશે તેનાથી લાભ ઉઠાવીશું, તેઓએ ઝકાત તે કિંમતને ધ્યાનમાં રાખીને અદા કરવી પડશે, જે કિંમત કંપની સ્વીકારે છે. અને જે લોકોએ શેર એટલા માટે લીધા છે કે, કિંમતો જ્યારે વધશે ત્યારે તેને વેચી દઈશું, એ લોકોએ હાલની બજાર કિંમતના હિસાબથી ઝકાત અદા કરવી પડશે. દા.ત. કંપનીની નજરમાં એક શેરની કિંમત રપ રૂપિયા છે અને માર્કેટમાં રપ૦ રૂા. તો પહેલી સ્થિતિમાં રપ રૂા. અને બીજી સ્થિતિમાં રપ૦ રૂા. ના હિસાબથી ઝકાત જરૂરી હશે.
આ હુકમ શેર માટે છે. “બોન્ડઝ”ની હેસિયત કરજના દસ્તાવેજી લખાણની છે. અને તેના પર જે નફો આપવામાં આવે છે, તે વ્યાજ હોવાના લીધે હરામ છે. એટલે જેટલી રકમનો બોન્ડ છે, તેટલી રકમની ઝકાત આપવી પડશે. અને તેના પર જે નફો મળે છે, તે વ્યાજ હોઈ કોઈ જરૂરતમંદને સવાબની નિય્યત વગર આપી દેવા લાયક છે.
પ્રોવિડન્ટ ફંડમાં ત્રણ પ્રકારની રકમની ભેળસેળ હોય છે. એક એ જે ખુદ સરકાર પગારમાંથી કાપી લે છે. બીજી, તેના જેટલી ખુદ સરકાર પોતાના તરફથી વધારીને અદા કરે છે તે. ત્રીજી, જે કર્મચારી સ્વેચ્છાએ પોતાના પગારમાંથી વધારાની રકમ કપાવે છે તે. જેથી તેની પી.એફ.ની રકમ વધારેમાં વધારે હોય શકે. આ ત્રણેયમાં જે રકમ સરકાર બળજબરીપૂર્વક કાપી લે છે તે અને જે રકમ સરકાર પોતાના તરફથી વધારો કરીને આપે છે તે. (ભલે બળજબરીપૂર્વક કપાયેલી રકમ પર હોય કે સ્વૈચ્છીક ધોરણે કપાયેલી રકમ પર હોય) તેના પર પાછલા વર્ષોની ઝકાત લાગુ નહીં થશે. જ્યારે રકમ વસૂલ થશે, ત્યાર પછી એક વર્ષ વીતી જાય ત્યારે તેના પર ઝકાત લાગુ થશે. આ મત ભારતીય ઉપખંડમાં મૂફતી મુહમ્મદ શફીઅ્ સાહબ (રહ.)નો છે. (ઇમ્દાદુલ ફતાવા : ર/૪૪-૪૮) કારણકે મજૂરી (પગાર) જ્યાં સુધી હાથમાં નહીં આવે ત્યાં સુધી તેના પર માલિકી જ પુરવાર નથી થતી. અને ઝકાત એવા માલ પર લાગુ થાય છે, જે માલિકીમાં હોય. અલબત્ત, જે રકમ તેણે સ્વૈચ્છિક રીતે જમા કરાવી છે, તે રકમ પર સરકાર કે કંપનીનો કબ્જો ખુદ તેની મરજીથી છે, તો સમજવામાં આવશે કે તેણે પોતાના નાયબ કે વકીલ દ્વારા પેલી રકમ પર કબ્જો કરી લીધો છે. એટલે તેની ઝકાત અદા કરવી પડશે.
વ્યાપારનો માલસામાન જેની ઝકાત અદા કરવાની છે, તેની ત્રણ કિંમતો હોય શકે છે. એક તેની ખરીદ કિંમત, એક તેની હાલની કિંમત અને એક તેની વેચાણ કિંમત. દા.ત. વ્યાપારીએ એક પેન દસ રૂપિયામાં છ મહિના પહેલાં ખરીદી હતી, જો આજે તેને ખરીદવા જાય તો તેની કિંમત બાર રૂપિયા છે અને સામાન્યપણે તેની વેચાણ કિંમત પંદર રૂપિયા છે, તો પ્રશ્ન એ છે કે, તે પોતાની દુકાનમાં કલમનો જે સ્ટોક છે, તેની કિંમત કયા હિસાબથી લગાવીને તેની ઝકાત અદા કરશે ?
આ બાબતમાં ભલે ઇસ્લામી વિદ્વાનો વચ્ચે મતભેદ પ્રવર્તે છે, પરંતુ વધારે સાચો મત ઈમામ અબૂ યૂસુફ (રહ.) તથા ઈમામ મુહમ્મદ (રહ.)નો છે કે, જે દિવસે ઝકાત અદા કરી રહ્યો છે, તે દિવસની કિંમત મુજબ ગણત્રી કરવામાં આવશે. (મરાકીઉલ ફલાહ : ૩૯૧) કારણકે વાસ્તવમાં ઝકાત તરીકે ખુદ કલમ આપવી જરૂરી છે, રૂપિયો નહીં. રૂપિયા તો કલમની અવેજીમાં આપવામાં આવે છે. એટલે જેટલી રકમમાં તે વેપારીને ઝકાતમાં આપવા જરૂરી હોય એવો સામાન મળી શકતો હોય તેટલી રકમ તેની પર ઝકાત રૂપે જરૂરી હશે. મજકૂર ઉદાહરણમાં તેણે કલમની કિંમત ૧ર રૂા. ગણીને તે હિસાબથી ઝકાત કાઢવી જોઈએ.
સોનાનો મૂળ નિસાબ (ઝકાત પાત્ર માત્રા) ર૦ મિષ્કાલ અને ચાંદીનો બસો દિરહમ છે. ભારતના પ્રાચીન વજનિયાઓમાં આનું વજન કેટલું થશે ? આમાં મુસ્લિમ વિદ્વાનો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. પ્રાધાન્ય આપવા લાયક સંશોધનાત્મક મત એ છે કે, સોનાની ઝકાત પાત્ર માત્રા (નિસાબ) સાડા સાત તોલા અને ચાંદીની સાડા બાવન તોલા છે. મૂફતી મુહમ્મદ શફીઅ્ સાહબ (રહ.)એ આ વિષય પર બહુ જ સંશોધનાત્મક પુસ્તક ઉર્દૂમાં અવઝાને શરઈય્યાના નામે લખ્યું છે. આ જ મત મૂફતી અઝીઝુર્રહમાન ઉષમાની (રહ.)નો છે. (જુઓ ફતાવા દારૂલ ઉલૂમ : ૬/૧૩પ) બરેલ્વીઓ ફિકહી મસાઈલમાં મૂળતઃ ઉલમાએ દેવબંદ સાથે સહમત હોય છે, એ કારણે તેઓનો મત પણ આ જ છે. (જુઓ ફતાવા રિઝવિય્યહ : ૪/૪૦૭) આ સાડા બાવન તોલા હાલના વજનમાં ૬૧ર.૩૬૦ ગ્રામ અને સાડા સાત તોલા ૮૭.૪૮૦ ગ્રામ હોય છે.
Log in or Register to save this content for later.