Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 91 to 97)
Views:
252
- જે કોઈ માલદાર માણસ કે જેના ઉપર ઝકાત વાજિબ છે, વર્ષ પુરૂ થાય તે પહેલાં ઝકાત આપી દે. અને વર્ષ પુરૂ થવાની રાહ જુએ નહીં તો એ પણ જાઈઝ છે. ઝકાત અદા થઈ જશે. તેમજ જો કોઈ માલદાર માણસ કેટલાક વર્ષની ઝકાત અગાઉથી આપી દે, તો પણ દુરૂસ્ત છે. પરંતુ જો કોઈ વર્ષે માલ વધી ગયો, તો તે વધારાના માલની પણ ઝકાત આપવી પડશે.
- જ્યારે માલ ઉપર પુરૂ વર્ષ થઈ જાય, તો તરત જ ઝકાત આપી દેવી જોઈએ. નેક કામમાં ઢીલ કરવી ઠીક નથી. મૌતનો કોઈ ભરોસો નથી કે, ક્યારે આવી જાય અને એનો બોજો પોતાના માથે રહી જાય. જો વર્ષ પુરૂ થયા પછી ઝકાત આપી નહીં અને તે અહીં સુધી કે બીજુ વર્ષ પણ પુરૂ થઈ જાય, તો ગુનેહગાર થશે. તૌબા કરી બન્ને વર્ષની ઝકાત આપી દે, બાકી રાખે નહીં.
- ઝકાત આપતી વખતે એની નિય્યત કરવી જરૂરી છે. એટલે કે એવો ઈરાદો હોય કે, હું આ માલ ઝકાતમાં આપું છું. જો ઝકાતના ઈરાદા વગર જ કોઈને રૂપિયા આપી દીધા અને આપ્યા પછી તેને ઝકાતના હિસાબમાં ગણી લીધા, તો ઝકાત અદા થશે નહીં. અને જેટલું આપ્યુ હશે, તેનો સવાબ અલગથી મળશે. પરંતુ જો ઝકાતના ઈરાદા કે નિય્યતથી તેના રૂપિયા કે માલ અલગ કાઢી રાખ્યો હોય અને તેમાંથી આપતી વખતે નિય્યત કરવી ભૂલી જવાય, તો ઝકાત અદા થઈ જશે.
- જેને ઝકાત આપવામાં આવે તેને એમ કહેવુ જરૂરી નથી કે આ માલ ઝકાતનો છે. હકદાર સમજી વગર કહ્યે પણ આપી શકે છે. બલ્કે કોઈ માણસ ઉછીના પૈસા લેવા આવ્યો અને તેને એ વાતની ખબર છે કે, તે ગરીબ અને મુફલિસ છે, અને તે કરજ અદા કરી શકે તેમ નથી, તેવા માણસને કરજના નામે ઝકાતના પૈસા આપી દીધા અને દિલમાં આપતી વખતે નિય્યત કરી લીધી કે ઝકાત આપું છું, તો પણ ઝકાત અદા થઈ જશે. અગર તે (લેનાર) એમ સમજે કે, કરજ આપેલ છે. એવી જ રીતે એવા ગરીબ માણસને બક્ષિસ કે ઈનામ તરીકે અથવા ગરીબના બાળકોને ઈદીના નામે પણ આપી દીધું અને આપતી વખતે દિલમાં ઝકાતની નિય્યત કરી લીધી, તો પણ ઝકાત અદા થઈ જશે.
- જો કોઈ ગરીબ માણસ ઉપર પચાસ રૂપિયા લેણાં નીકળે છે, અને તેણે ઝકાતની નિય્યતથી પોતાનું લેણું માફ કરી દીધું, તો ઝકાત અદા થશે નહીં. પરંતુ જો તે માણસને ઝકાતની નિય્યતથી પચાસ રૂપિયા આપ્યા, તો ઝકાત અદા થઈ જશે. હવે એ જ રૂપિયા પોતાના લેણામાં તેનાથી લઈ લેવા દુરૂસ્ત છે.
- ઝકાતનો માલ આપવામાં તેના કોઈ હકદારને જ્યાં સુધી માલિક બનાવવામાં ન આવે, ત્યાં સુધી ઝકાત અદા થશે નહીં. હાજત- મંદને માલિકીની રીતે આપી દેવામાં આવે, ત્યારે દુરૂસ્ત થશે.
- જો કોઈ સાહિબે નિસાબ માણસે હજ્જની નિય્યતથી રૂપિયા જમા કરીને રાખ્યા હતા, એવામાં વર્ષાન્તે ઝકાત આપવાનો સમય આવી ગયો, તો એના ઉપર હજ્જ માટે પોતાની પાસે રાખેલીબધી જ રકમની ઝકાત વાજીબ થશે.(કિતાબુલ મસાઈલ : ૧૩૭/ર)
- જો કોઈ માણસે હજ્જના ઈરાદાથી હજ્જ કમિટીમાં બધી જ રકમ જમા કરી આપી. જમા કરાવ્યા બાદ અને હજમાં જવા પહેલાં ઝકાત આપવાનો સમય આવી ગયો, તો જમા થયેલ રકમમાંથી ફ્લાઈટનું ભાડુ, મુઅલ્લિમ ફી અને બીજા જરૂરી ખર્ચા જેટલી રકમ બાદ કરીને સઉદી રિયાલમાં આ વ્યક્તિને જે રકમ મળવાની છે, એની ઝકાત આપવી પડશે. (કિતાબુલ મસાઈલ : ૧૩૮)
- સ્ત્રીને પોતાના બાપના ઘરેથી જે ઘરેણાં આપવામાં આવે છે, એની ઝકાત એ સ્ત્રી પર વાજિબ છે. અને સાસરેથી જે ઘરેણાં આપવામાં આવે છે, તો સાસરી પક્ષેથી ઘરેણાંની માલિક સ્ત્રીને બનાવી દે, તો ઝકાત સ્ત્રી પર વાજિબ થશે. અને જો માલિક બનાવી નથી, ફક્ત પહેરવા માટે આપ્યા છે, તો એની ઝકાત એના પતિ પર વાજિબ થશે. (ફતાવા ઉસ્માની : ૪ર/ર)
- જે ઘરેણાં સ્ત્રીની માલિકીના છે અને નિસાબ જેટલા છે, તો એની ઝકાત એ સ્ત્રી પર જ વાજિબ છે. અગર પતિ પોતાની પત્ની તરફથી ઝકાત આપી દે અથવા પત્ની પતિ પાસેથી લઈને અદા કરે અથવા પતિ એને જે કંઈ ખર્ચ આપે છે એમાંથી બચાવીને ઝકાત આપી દે, તો જાઈઝ છે. અને જો એનાથી કોઈ રીતે અદા ન થાય, તો એ સોના-ચાંદીના ઘરેણાંમાંથી જેટલા ગ્રામ ઝકાત વાજિબ થતી હોય, એટલું ઘરેણું ઝકાતમાં આપવું પડશે. (મસાઈલે ઝકાત : ૮૯)
- બેંકની ફિક્સ ડીપોઝીટ, સેવિંગ્સ સર્ટી, પ્રાઈઝ બોન્ડ અને ઈન્સ્યુરન્સ, આ બધા જ લાભો વ્યાજુ કર્ઝ છે. જેથી મુદ્દલ રકમપર ઝકાત ફર્ઝ છે. અને વધારાની મળેલ રકમ (વ્યાજ) હરામ હોવાને કારણે સવાબની નિય્યત કર્યા વગર એનો સદકો કરવો વાજિબ છે. (મસાઈલે ઝકાત : ૧૩૩)
- આજકાલ નાબાલિગ છોકરીઓના ભાવિ ખર્ચને સામે રાખીને શાદીના ઘરેણાં વર્ષો પહેલાં બનાવી લેવામાં આવે છે. તો અગર એ ઘરેણાંના માલિક માં-બાપ છે, તો જો નિસાબ બરાબર હશે તો એની ઝકાત માં-બાપ પર વાજિબ છે. અને જો તેની માલિક છોકરીઓને બનાવી દીધી, તો જ્યાં સુધી છોકરી નાબાલિગ છે, ઝકાત વાજિબ નથી. બાલિગ થયા પછી નિસાબની માલિક હશે તો ઝકાત વાજિબ થઈ જશે. (મસાઈલે ઝકાત : ૯૩)
- અમૂક લોકો અમૂક સમયે ખાસ મસ્લેહતને લઈ સોના-ચાંદીના બનાવટી અવયવો વાપરે છે. જેમકે નાક, સોના-ચાંદીના દાંત, દાંતના કાણામાં ચાંદી ભરવી, સોનાના તારથી દાંત બાંધવા, વગેરે. એમાં અમૂક અંગોની બનાવટ એ પ્રકારની હોય છે કે તેને આસાની અને સહેલાયથી કાઢી શકાય છે. જ્યારે અમૂક અવયવોમાં આ ધાતુ એ રીતે લગાવવામાં આવે છે કે, એને સહેલાયથી કાઢી ન શકાય. તો જે અવયવો કાઢી શકાય છે, એમાં ઝકાત વાજિબ થશે અને જે કાઢી શકાય એમ નથી, એમાં ઝકાત વાજિબ નથી. (જદીદ ફિકહી મસાઈલ : ર૦૮-ર૦૯/૧)
- શાદી માટે રૂપિયા, સોનુ-ચાંદી વગેરે નિસાબ જેટલું ભેગું કરવામાં આવે, તો એના ઉપર પણ ઝકાત વાજિબ થશે. હા, જોમાં-બાપ છોકરીઓને એ ઘરેણાંની માલિક બનાવી દે અને છોકરીઓ પાસે નિસાબ બરાબર ઘરેણાં ન હોય, તો ઝકાત વાજિબ થશે નહીં. (કિતાબુલ ફતાવા : ૩૩૭/૩)
- હોસ્પિટલો, ફાઉન્ડેશન, ચેરીટી અને લોકસેવા કરતી સંસ્થાઓમાં જે ઝકાત આપવામાં આવે છે, તે આવી સંસ્થાઓમાં જમા (બેલેન્સ) રહે છે. એના માલિક ઝકાત આપવાવાળા જ રહેશે. અને ચેરીટી, ફાઉન્ડેશન અને લોકસેવા કરતી સંસ્થાઓના સભ્યો ઝકાત આપવાવાળાઓ તરફથી વકીલ છે. જો આ સંસ્થાઓ સહી હકદારને ઝકાત આપશે, તો ઝકાત અદા થશે. નહીંતર ઝકાત પવાવાળાઓની ઝકાત અદા થશે નહીં. (મસાઈલે ઝકાત : ર૦૧)
- કાર, ગાડી, કારોબાર, દુકાન વગેરેના ઈન્સ્યોરન્સમાં જે રકમ જમા કરવામાં આવે છે, એ રકમનું પરત મળવું અચોક્કસ છે. એટલે એના ઉપર ઝકાત વાજીબ થશે નહીં. પરંતુ લાઈફ ઈન્સ્યોરન્સ (જીવન વીમો)ની રકમ પરત મળે જ છે. એટલે એમાં જમા થયેલ બધી રકમ પરત મળ્યા બાદ વિતેલા વર્ષોની ઝકાત પણ આપવી પડશે અને (અત્યાર સુધી જમા કરાવેલ) અસલ રકમની ઉપર જે કંઈ વધારાની રકમ મળે છે, તે વ્યાજ અને હરામ છે. એટલે એના ઉપર ઝકાત વાજીબ થશે નહીં.(કિતાબુલ મસાઈલ : ૧૩૯/ર) અને એ વધારાની રકમનો સવાબની નિય્યત વગર સદકો કરવો જરૂરી છે.
- કોઈ માણસનો ટ્રાવેલ્સનો કારોબાર છે, અને એની કાર, લક્ઝરી કે ટ્રકો વગેરે ભાડેથી ચાલે છે, તો આ ગાડીઓની ચાલુ કિંમત પર ઝકાત વાજીબ થશે નહીં. પરંતુ એના મારફત જે કંઈ આવક થાય છે, એના ઉપર ઝકાત આપવી પડશે. (કિતાબુલ મસાઈલ : ૧૪૦/ર)
- કોઈ વસ્તુ કર્ઝના બદલામાં ગીરો મૂકી, તો જ્યાં સુધી તે ગીરો રાખનારના કબ્જામાં રહેશે, એની ઝકાત (ગીરો રાખનાર અને ગીરો મૂકનાર) બન્નેમાંથી કોઈના ઉપર વાજીબ થશે નહીં. અને જ્યારે ગીરો મૂકનાર કર્ઝ ચૂકવીને પોતાની ગીરો વસ્તુ છોડાવશે ત્યારે પણ તે વસ્તુની ઉપર વિતેલા વર્ષોની ઝકાત આવશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૧પ૦/ર)
- ઝકાતની રકમ અલગ કરીને મૂકી હતી અને હજુ કોઈ મોહતાજ માણસને આપી ન હતી, તો તે માણસને આ રકમમાં અદલ-બદલ કરવાનો અધિકાર છે. ચાહે તો આ રકમ પોતાની જરૂરતમાં ખર્ચીને એની જગ્યાએ એટલી જ બીજી રકમ આપી દે અથવા પોતાના ખિસ્સામાંથી ઝકાતની રકમ આપીને (અલગ ઝકાતની જે રકમ મૂકી છે) તેમાંથી લઈ લે. (કિતાબુલ મસાઈલ : ૧પ૩)
- મુસાફિર માણસ જો સાહિબે નિસાબ હોય તો તેના ઉપર પણ ઝકાત વાજીબ છે. કારણ કે ઝકાતની વહેંચણીનું કામ તે પોતાના નાયબ કે વકીલ મારફત પતાવી શકે છે. (મસાઈલે ઝકાત : ૮૬)
- મસ્અલો તો એ જ છે કે, જે માણસ મોહતાજ અને ગરીબ હોય એને ઝકાત આપવી દુરૂસ્ત છે, પરંતુ આજકાલ ગરીબ છોકરીઓની શાદીના નામ પર કાયદેસર ચંદો કરવામાં આવે છે. આમ કરવામાં શરઈ રીતે એ ખરાબી આવી જાય છે કે, પહેલાં એક-બે સખીદાતાઓની મદદથી નિસાબ જેટલી રકમ જમા થઈ જાય છે, પરંતુ ન કરવાના આમ-તેમના રસ્મો રિવાજો અને લાંબીલચક દાવતો (શક્તિથી વધારે માણસોને ખાવા ખવડાવવા) માટે હજુ પણ લોકો સમક્ષ મદદ માટે સવાલ અને ચંદો ચાલુ જ રહે છે. તો એ વાત સારી પેઠે જાણી લેવી જોઈએ કે, નિસાબ જેટલો માલ મળી ગયા પછી વધારાની ઝકાતની રકમ લેવી કોઈ પણ રીતે જાઈઝ નથી. અને આપવાવાળાને જો આ વાતની ખબર હોય તો તેના માટે ઝકાત આપવી પણ દુરૂસ્ત નથી. તેમ છતાં કોઈ માણસે આ રીતે શાદી માટે પૈસાની માંગણી કરનારને આપ્યા વગર છૂટકો જ ન હોય તો ઝકાત સિવાયની લિલ્લાહ) રકમ આપીને મદદ કરે. એમાં જ સાવચેતી છે. (કિતાબુલ મસાઈલ : ૧૮૩/ર)
- કોઈ માણસે માલનો હિસાબ કરીને ઝકાત આપી દીધી (થોડાક દિવસો) પછી ફરી હિસાબ કર્યો, તો (આગલા હિસાબ કરતાં) માલ ઓછો નીકળ્યો, તો ઝકાતમાં જે રકમ વધારે આપી છે, તેને આવતા વર્ષની ઝકાતમાં ગણી શકાય છે.(કિતાબુલ મસાઈલ : ૧૯૬/ર)
- કોઈ માણસે ઝકાતની રકમ અલગ કરીને મૂકી હતી, અને તે ચોરાય ગઈ અથવા કોઈક રીતે વ્યર્થ થઈ ગઈ, તો ઝકાત અદા થઈ નથી, તેણે ફરી ઝકાત આપવી પડશે. (કિતાબુલ મસાઈલ : ૧૯૭/ર)
- ઝકાત આપી છે કે નહીં એમાં શક હોય તો ઝકાત ફરી આપવી જરૂરી છે. (ફતાવા રહીમિય્યહ : ૬૦૦/૩)
- કેવા પ્રકારની માલ-મિલ્કતમાં ઝકાત વાજીબ નથી, એ નીચે દર્શાવ્યું છે :
- રહેવાનું ઘર.
- ભાડે આપવા માટે બનાવેલા ઘરો. (ભાડાની આવકમાં ઝકાત આપવી પડશે.)
- વપરાશના કપડાં, ચાદરો વગેરે.
- ઘરનું રાચરચીલુ (ફ્રીજ, કૂલર, વોશિંગ મશીન વગેરે).
- સવારી (ગાડી, સ્કૂટર, કાર વગેરે).
- સ્વરક્ષણ માટેના હથિયાર.
- ઘરમાં રાખવામાં આવેલો ખાવા-પીવાની વસ્તુઓનો જથ્થો.
- શણગારના વાસણો.
- હીરા-માણેક જે વેપાર માટે ન હોય.
- અભ્યાસની કિતાબો.
- દરેક માણસ માટે તેના કામકાજના વિષયને લગતો સામાન. જેમકે ખેડૂતો માટે ટ્રેક્ટર, ખેતીના ઓજારો, ટ્રાવેલ સંચાલક માટે બસ, લક્ઝરી, કાર, ટ્રક પર ઝકાત નથી. (કિતાબુલ મસાઈલ : ૧૪પ/ર)
Log in or
Register to save this content for later.