વેપાર-ધંધા અને તેના સામાન વિશેના મસાઈલ

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 89 to 91)
  • દુકાન કે ઓફિસના કામ માટેના ફર્નીચર, ફીટીંગ, ટાઈપ જેવા દરેક વાપરવાના સામાન અને સાધન ઉપર પણ ઝકાત નથી. ફક્ત વેપારના માલ ઉપર જ ઝકાત આપવી પડશે.
  • વેપારનો માલ તે જ ગણાશે, જેને વેચવા અને નફો કમાવાના ઈરાદાથી ખરીદ કર્યો હોય. પછી તે ગમે તે જાતનો માલ હોય, તે માલ વેચાયો હોય કે ન વેચાયો હોય.
  • સોનું-ચાંદી તેમજ તેની દરેક વસ્તુઓ, રોકડ નાણું, વેપારના માલ પર ચાલીસમો ભાગ આપે. એટલે કે, ૧૦૦ એ અઢી ટકા લેખે ઝકાત આપવી ફર્ઝ છે. નિસાબનો માલ અથવા તેથી વધારે જેટલો પણ માલ હોય, તેના ઉપર વર્ષે ઝકાત કાઢવી ફર્ઝ છે. ઝકાત ફર્ઝ થવાનું વર્ષ ચાંદના હિસાબે ગણાશે.
  • કોઈની પાસે પાંચ-દસ મકાનો છે. અને તે ભાડે આપે છે, તો એ મકાનો પર ઝકાત નથી. પછી તે ગમે તેટલી કિંમતના કેમ ન હોય. ભાડાની આવકથી પોતાનો ખર્ચ જતાં વર્ષે દહાડે બચેલા નાણાં ઉપર નિસાબ થતાં ઝકાત અદા કરવી પડશે. પણ કોઈ મકાન ખરીદવાનો અને વેચવાનો ધંધો કરતો હોય, તો તેણે એ મકાનોની ઝકાત પણ આપવી પડશે.
  • જો કોઈ વાસણો, ખુરશીઓ, મંડપ, સાયકલો, ગાડીઓ વિગેરે ભાડે આપવાનો ધંધો કરે છે, તેઓની ઉપર એ ભાડે આપવાની ચીજો ઉપર ઝકાત નથી, પરંતુ તેની આવક ઉપર નિસાબ થતાં ઝકાત વાજિબ થશે.
  • ઘર ઉપર ઝકાત એ સમયે વાજિબ થશે, જ્યારે વેપાર-ધંધાનીનિય્યતથી ખરીદવામાં આવે. પરંતુ માણસની નિય્યત વેચવાની ન હોય, બલ્કે ભાડૂતી આપવાનો અથવા બીજા કોઈ ઉપયોગમાં લેવાનો હોય, તો ઘર ઉપર ઝકાત વાજિબ નથી.(કિતાબુલ ફતાવા : ર૭૧/૩)
  • પોલ્ટ્રી ફાર્મ અને મત્સ્યઉદ્યોગ માટે તળાવની જમીન, મકાન અને એને લગતા જરૂરી સામાન પર ઝકાત વાજિબ નથી. એની આવક પર ઝકાત વાજિબ છે. (મસાઈલે ઝકાત : ૧ર૮)
  • ભાડુઆત તરફથી મકાન અથવા દુકાન માલિકને ડિપોઝીટ પેટે જે રકમ આપવામાં આવે છે, એ ડિપોઝીટ પર ઝકાત વિશે ઇસ્લામિક ફિકહ એકેડમી ઈન્ડિયાના નેજા હેઠળ ભારતભરના મૂફતિયાને કિરામે જે બાબતે સહમતિ દર્શાવી તે એ છે કે, આ ડિપોઝીટની રકમની ઝકાત ભાડુઆત પર નથી. અને મકાન માલિક કે દુકાન માલિક જેમણે ડિપોઝીટ પર કબ્જો કર્યો છે, એમના ઉપર વાજિબ થવા વિશે મતભેદ છે. અમુક ઉલમાના મતે મકાન માલિક અને દુકાન માલિક પર ડિપોઝીટની રકમ પર ઝકાત વાજિબ કરવી જોઈએ અને અમુક ઉલમા એના ઉપર પણ વાજિબ કરતા નથી. (ઉલમાએ હિંદકે ફિકહી ફેંસલે : પ૧)
  • આજકાલ એક રિવાજ પાઘડીનો પ્રચલિત છે. દુકાન ભાડે લેતી વખતે પાઘડી પેટે રકમ (કેશ) લેવામાં આવે છે. એ રકમ દુકાન માલિકની માલિકીની હોય છે, ભાડે લેનારની માલિકીની નથી હોતી. તો જે માણસ એ પાઘડીનો માલિક બને એના ઉપર ઝકાત વાજિબ થશે. (મસાઈલે ઝકાત : ૧૧૬)
  • જો હોલસેલ વેપાર હોય તો ઝકાત અદા કરતી વખતે હોલસેલ કિંમતથી હિસાબ કરવામાં આવશે. અને જો રીટેલ વેપાર હોય તો રીટેલ કિંમતથી હિસાબ કરી ઝકાત અદા કરવામાં આવશે. અને જો કોઈ માણસ હોલસેલ અને રીટેલ બન્ને રીતે વેપાર કરતો હોય, તો રીટેલ કિંમતના આધારે ઝકાત અદા કરવી પડશે. જેમાં જરૂરતમંદ લોકોને વધુ ફાયદો પહોંચશે. (જદીદ ફિકહી મસાઈલ : રર૦-રર૧/૧)
  • કોઈ માણસ જમીન કે પ્લોટ ખરીદે, તો ખરીદતી વખતે ત્રણ પ્રકારની નિય્યતમાંથી કોઈ એક હોય છે : (૧) અમૂક સમયે જમીન કે પ્લોટ વેચવાની નિય્યતે ખરીદે છે, તો એમાં દર વર્ષે પ્લોટ અને જમીનની જેટલી માર્કેટ વેલ્યુ હશે, તેના આધારે ઝકાત આપવી પડશે. (ર) અમૂક વાર માણસ રહેવા માટે અને પોતાના વપરાશ માટે જમીન કે પ્લોટ ખરીદે છે, તો એમાં ઝકાત આપવી પડશે નહીં. (૩) અમૂક વાર પ્લોટ ખરીદતી વખતે કોઈ નિય્યત હોતી જ નથી. ન વેચવાની નિય્યત હોય છે કે ન તો પોતે રહેવાની. તો આ હાલતમાં પણ ઝકાત આપવી પડશે નહીં. (મસાઈલે ઝકાત : ૧ર૪)
  • વેપારી પાસે થોડી આવક રોકડી હોય છે અને થોડી ઉધાર, તો વેપારીએ બધી જ (રોકડી અને ઉધાર) આવકની ઝકાત આપવી પડશે. હા, જેટલા રૂપિયા ઉધાર છે એની ઝકાત વસૂલ કર્યા પછી આપી શકે છે. પરંતુ વસૂલ કર્યા પછી વિતેલા વર્ષોની ઝકાત પણ આપવી પડશે. (મસાઈલે ઝકાત : ૧૪૭)
Log in or Register to save this content for later.