Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 61 - 62)
ઝકાત નહીં આપનારાઓનું જે ખરાબ પરિણામ કિયામતમાં થનાર છે, અને જે શિક્ષા તેઓને મળનાર છે, તે એટલી સખત છે કે, તેને સાંભળતાં જ રૂંવાટા ઉભા થઈ જાય છે, અને દિલ ધ્રુજવા લાગી જાય છે. સૂરએ તૌબામાં ઈર્શાદ છે : (અર્થાત્) અને જે લોકો (કંજુસીથી) સોના અને ચાંદીનો ખજાનો એકઠો કરે છે, પણ તેને અલ્લાહપાકના રસ્તામાં ખર્ચ કરતા નથી. (એટલે કે તેઓ પર જે ઝકાત વિગેરે ફર્ઝ છે, તેને અદા કરતા નથી.) તો (હે નબી !) તમો તેઓને દુઃખદાયક અઝાબની ખબર સંભળાવી દો. જે દિવસે તે માલ પર દોઝખની આગ ભડકાવવામાં આવશે. ફરી તે વડે તેઓની પેશાનીઓ તથા પડખાંઓ અને પીઠો ડામવામાં આવશે. (અને કહેવામાં આવશે કે) આ તે જ (માલ અને દૌલત) છે, જેને તમે તમારા માટે ભેગુ કર્યું હતું. તો હવે પોતાની ભેગી કરેલી દૌલતની મજા ચાખો.
હદીષ શરીફમાં પણ ઝકાત નહીં આપનારાઓ માટે આ આયતના મઝમૂન (વિષય)નો ખુલાસો હુઝૂર (સલ.)એ બયાન કર્યો છે. તે ઉપરાંત બીજા પ્રકારના અઝાબોનું પણ વર્ણન થયું છે. હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું : જેને અલ્લાહપાકે માલ આપ્યો અને તેણે ઝકાત આપી નહીં, તો કિયામતના દિવસે તેનો માલ ઝેરી ગંજો સાપ બનીને આવશે અને તેની ગરદનમાં વિંટાઈ જશે. ફરી તે તેના બન્ને જડબાં તોડશે અને કરડીને કહેશે કે, હું જ તારો માલ છું, હું જ તારો ખજાનો છું. (મિશ્કાત શરીફ)
આ ઉપરાંત બીજી અન્ય હદીષોમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, ઝકાત આપવામાં વિલંબ (મોડુ) કરનાર મલઉન (તિરસ્કાર અને ધિક્કારપાત્ર) છે. ઝકાત નહીં આપનારની નમાઝ પણ કબૂલ કરવામાં નથી આવતી. જે માલમાં ઝકાત ભળેલી હોય છે, તે માલ તબાહ થઈ જાય છે. ઝકાત નહીં આપનાર મુનાફિક છે. ઝકાતને રોકવાથી દુકાળ પડે છે. જેવી રીતે કે ઝિના (વ્યભિચાર)થી વબા (પ્લેગની જેમ વ્યાપક રોગચાળો) ફેલાય છે, માલની ઝકાત નહીં આપવાથી માલ અપવિત્ર થઈ જાય છે, અને ઝકાત આપવાથી માલ પવિત્ર થઈ જાય છે. (મિશ્કાત શરીફ)
વળી, આપ (સલ.)એ ફરમાવ્યું કે, તે માણસ ઉપર અફસોસ છે, જે પોતાની અવલાદને તો માલદાર બનાવે, પરંતુ પોતે અલ્લાહ તઆલાની આગળ બૂરો (ખરાબ) બનીને પેશ થાય. (દયલમી)
Log in or Register to save this content for later.