Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 65 to 68)
- રમઝાન શરીફ, બન્નેવ ઈદના દિવસો અને બકરી ઈદ પછીના ત્રણ દિવસ (૧૧, ૧ર, અને ૧૩ ઝિલ્હજ્જ) કુલ પાંચ દિવસો સિવાય જ્યારે દિલ ચાહે ત્યારે નફલ રોઝો રાખી શકે છે. જેટલા વધુ રોઝા રાખે તેટલો વધારે સવાબ થશે. નફલ રોઝાની નિય્યત કરી લીધા પછી તે વાજિબ થઈ જાય છે. અને રોઝો રાખ્યા પછી ફરી તે રોઝાને તોડ્યો, તો હવે તે રોઝાની કઝા રાખવી પડશે. પણ જો કોઈએ રાત્રે રોઝો રાખવાનો ઈરાદો કર્યો અને સુબ્હે સાદિક થવા પહેલાં તેનો ઈરાદો બદલાઈ ગયો અને રોઝો રાખ્યો નહીં, તો તેની કઝા વાજિબ થશે નહીં. નફલ રોઝાની નિય્યત પણ અડધા દિવસથી પહેલાં કરી શકાય છે.
- મુહર્રમની ૧૦મી તારીખે રોઝો રાખવો મુસ્તહબ છે. તેનો ઘણો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, રમઝાન પછી મુહર્રમના રોઝા દરેક રોઝાઓથી અફઝલ છે. આશૂરાનો રોઝો ગયા એક વર્ષના ગુનાહોનો કફ્ફારો થઈ જાય છે. (મુસ્લિમ) અને જો ૯મી અને ૧૦મી મુહર્રમના બન્નેવ રોઝા રાખે અથવા ૧૦મી મુહર્રમ સાથે ૧૧મી તારીખનો પણ રોઝો રાખે તો બેહતર છે.
- અરફાના દિવસે એટલે કે, ૯મી ઝિલ્હજ્જનો રોઝો રાખવાનો બહુ મોટો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, અરફાના દિવસનો રોઝો રાખવાથી આગલા એક વર્ષના અને પાછલા એક વર્ષના ગુનાહ માફ થઈ જાય છે. (મુસ્લિમ) ૧લી ઝિલ્હજ્જથી ૯મી તારીખ સુધી રાખે તો પણ સારૂં છે, અને ઘણો સવાબ છે.
- શબે બરાત એટલે કે, શઅબાન મહિનાની ૧પમી તારીખે પણ રોઝો રાખે તો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શઅબાન મહિનામાં વધુ રોઝા રાખતા હતા. અને ફરમાવતા હતા કે, લોકો આ મહિનાથી ગાફિલ છે. આ મહિનાની ૧પમી રાત્રે બંદાઓના અમલો પેશ થાય છે. મારી તમન્ના છે કે, જ્યારે મારા અમલો પેશ થાય, તો મારી ગણત્રી રોઝદારોમાં થાય. (બયહકી શરીફ) બીજી હદીષ શરીફમાં છે કે, જ્યારે શઅબાનની ૧પમી રાત આવે ત્યારે રાતના કિયામ કરો. એટલે કે, નફલ પઢો અને દિવસે રોઝો રાખો. આ રાત્રે અલ્લાહ તબારક વ તઆલા સૂર્યાસ્ત પછી આસ્માની દુનિયામાં આવી ફરમાવે છે કે, છે કોઈ મગફિરત ચાહનાર કે તેને બખ્શી દેવામાં આવે, છે કોઈ રોઝી માંગનાર કે તેને રોઝી આપવામાં આવે, છે કોઈ મુસીબતમાં ગિરફ્તાર કે તેને આફિયત આપવામાં આવે. આવી રીતે સવાર સુધી ફરમાવતા રહે છે. (ઈબ્ને માજહ)
- ઈદુલ ફિત્ર પછી શવ્વાલ મહિનામાં છ રોઝા રાખવાનો પણ ઘણો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, જેણે રમઝાનના રોઝા રાખ્યા, ફરી છ રોઝા શવ્વાલના પણ રાખે, તો જાણે તેણે હંમેશ રોઝા રાખ્યા. (મુસ્લિમ) બીજી હદીષમાં છે કે, છ રોઝા શવ્વાલના મળી એક વર્ષના રોઝા થઈ જાય છે. (બયહકી) મતલબ કે રમઝાનના અને શવ્વાલના છ રોઝા મળીને એક વર્ષ પુરા રોઝા રાખવાનો સવાબ મળે છે. શવ્વાલ મહિનામાં ઈદનો દિવસ છોડીને ક્યારેય પણ રાખે. જોઈએ તો લગાતાર રોઝા રાખે અથવા છૂટા છૂટા રાખે.
- શવ્વાલના ૬ રોઝા લગાતાર ન રાખવા મુસ્તહબ છે. તેમ છતાં લગાતાર રાખે, તો મકરૂહ પણ નથી. (ફતાવા દારૂલ ઉલૂમ : ૪૮૯/૬)
- જો દર મહિનાની ૧૩, ૧૪ અને ૧પમી તારીખના ત્રણ દિવસે રોઝા રાખ્યા કરે, તો જાણે તેણે આખા વર્ષના લાગલગાટ રોઝા રાખ્યા. હુઝૂર (સલ.) એ પ્રમાણે રોઝા રાખ્યા કરતા હતા.
- ર૭ રજબ વિશે લોકોનું એવું મંતવ્ય છે કે, તે હજારી રોઝો છે. અને હજારી રોઝો સમજીને જ રોઝો રાખે છે કે જેથી હજાર રોઝાનો સવાબ મળે. તો એના વિશે જે રિવાયતોમાં વર્ણન છે, તે બધી મનઘડત છે. સહીહ અને ભરોસાપાત્ર નથી. જેથી ર૭ રજબનો રોઝો આશુરાના રોઝાની જેમ સુન્નત છે. હજાર રોઝા બરાબર સવાબની શ્રદ્ધાથી રાખવાની મનાઈ છે.(ફતાવા રહીમિય્યહ : ૮૮/૪)
- જો કોઈ રાતના એ નિય્યત કરીને સૂતો કે સવારમાં નફલ રોઝો રાખવો છે, તો સુબ્હ સાદિક પહેલાં એને નિય્યત બદલવાનો અધિકાર છે. જો સુબ્હ સાદિક પહેલા આંખ ખૂલી ગઈ અને રોઝો ન રાખવાનો ઈરાદો કરી લીધો, તો હવે એના સિરે કંઈ પણ વાજીબ થશે નહીં. પરંતુ જો રાતના રોઝાની નિય્યત કરીને સૂતો અને સવારમાં સુબ્હ સાદિક પછી આંખ ખૂલી, તો હવે એનો રોઝો શરૂ થઈ ગયો. જો તોડી નાંખશે, તો કઝા કરવી પડશે. (આપકે મસાઈલ : ૬૧૪/૪)
- કોઈ માણસ ૯, ૧૦ મુહર્રમના દિવસે નફલ રોઝો રાખે તો તેની સાથે રમઝાનના કઝા રોઝાની નિય્યત ન મિલાવે. ફક્ત રમઝાનના કઝા રોઝાની નિય્યત કરે. નફલ અને કઝા બન્નેની નિય્યત મિલાવવી સહીહ નથી. (આપકે મસાઈલ : ૬ર૧/૪)
આ સિવાય બીજા પણ નફલ રોઝા રાખવાની ફઝીલત હદીષ શરીફમાં બયાન થઈ છે. હદીષ શરીફમાં છે કે, જે માણસે કોઈ રોઝદારને રોઝો ઈફતાર કરાવ્યો, તેને રોઝદારના જેટલો સવાબ મળે છે, અને રોઝદારના સવાબમાં કંઈ ઘટાડો થતો નથી. (તિરમિઝી શરીફ) હઝરત અબૂ હુરૈરહ (રદી.) ફરમાવે છે કે, મને હુઝૂર (સલ.)એ ત્રણ વાતોની વસિય્યત કરી છે : (૧) દર મહિને ત્રણ રોઝા રાખવા, (ર) ચાશ્તની બે રક્અત નમાઝ પઢવી, (૩) સૂવા પહેલાં વિત્રનું પઢી લેવું. (બુખારી શરીફ)
Log in or Register to save this content for later.