સ્ત્રીઓને લગતા મસાઇલ

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 61 to 63)
  • હેઝ (માસિક) અને નિફાસ (પ્રસુતિ બાદ થતો રક્તસ્ત્રાવ)વાળી સ્ત્રીઓએ રોઝો રાખવો જાઈઝ નથી. પરંતુ પાછળથી કઝા કરવી જરૂરી છે. (કિતાબુલ મસાઈલ : ૭૦/ર)
  • જો કોઈ સ્ત્રી સુબ્હ સાદિક પછી દિવસ દરમિયાન કોઈ પણ સમયે હેઝ (માસિક) અથવા નિફાસથી પાક થઈ, તો એ સ્ત્રી તે દિવસનો રોઝો રાખી શકશે નહીં. પછી તે દિવસના રોઝાની કઝા કરવી પડશે અને સાંજ સુધી રોઝેદારની જેમ રહેવું પડશે. (કિતાબુલ મસાઈલ : ૭૩/ર)
  • રોઝો રાખી લીધા પછી માસિક શરૂ થઈ જાય, તો પણ રોઝો તૂટી જશે. અને એ દિવસની કઝા કરવી પડશે.

        જે સ્ત્રીઓ નિફાસને કારણે રોઝો રાખી શકતી નથી, એમણે ખાવું-પીવું જોઈએ. ખાવું-પીવું બંધ કરવું એના માટે જાઈઝ નથી. કેમકે નિફાસની હાલતમાં રોઝો રાખવો હરામ છે. અને ખાવાપીવાથી રોકાય જવું એ રોઝેદારની આબેહૂબ નકલ (મુશાબેહત) છે. જે એમના માટે જાઈઝ નથી. (કિતાબુલ ફતાવા : ૪૧૮/૩)

        એ જ રીતે માસિકવાળી સ્ત્રીઓએ પણ ખાવું-પીવું બંધ કરવું જોઈએ નહીં. હા, રમઝાનના અદબ-એહતેરામમાં જગજાહેર ખાવું જોઈએ નહીં. (કિતાબુલ ફતાવા : ૪૦૬/૩)

  • રોઝાની હાલતમાં પેશાબની જગ્યાએ કોઈ દવા મૂકવી અથવા તેલ વગેરે નાખવું દુરૂસ્ત નથી. એમ કરવાથી રોઝો તૂટી જશે. કઝા કરવી પડશે. (બેહિશ્તી ઝેવર : ૧૪૦) હા, એમાં એ યાદ રાખવું જોઈએ કે શર્મગાહની બહારના ભાગે દવા લગાવવાથી રોઝો તૂટતો નથી. અંદરના ભાગમાં દવા મૂકવાથી રોઝો તૂટી જાય છે. (નવાકિઝે શૌમસે મુતઅલ્લિક નએ મસાઈલ : ર૦)
  • બીમારીની તપાસ માટે ગર્ભાશયમાં કોઈ મશીન કે ચેકઅપ માટેના ઓઝાર પહોંચાડવામાં આવે અને એના ઉપર દવા અથવા કોઈ વસ્તુ લગાડવામાં આવે, તો રોઝો તૂટી જશે. (નવાકિઝે શૌમસે મુતઅલ્લિક નએ મસાઈલ : ર૦)
  • કોઈ સ્ત્રી ગાફેલ (બેખબર) થઈને સૂતી હતી અથવા બેભાન હતી, એવામાં કોઈએ એની સાથે (ઝબરદસ્તી) સંભોગ કરી લીધો, તો એનો રોઝો તૂટી જશે. ફક્ત કઝા કરવી પડશે અને પુરૂષે કફ્ફારો પણ આપવો પડશે. (બેહિશ્તી ઝેવર : ૧૪૦)
  • કોઈ સ્ત્રી રમઝાનમાં (કે તે પહેલાં) માસિક રોકવાની દવા લઈ લે, જેનાથી માસિક ન આવે, તો તે પાક ગણાશે. અને એના રોઝા પણ સહીહ ગણાશે. આમ રોકવામાં શરીઅત તરફથી કોઈ પાબંદી પણ નથી. આ રીતે દવાથી માસિક રોકવા માટે એટલી શર્ત છે કે, એનાથી સ્ત્રીના સ્વાસ્થ્યને કોઈ હાનિ પહોંચતી ન હોય. (આપકે મસાઈલ : પ૭૦/૪) તેમ છતાં શરીઅત તરફથી માસિકને લઈ છૂટછાટ આપવામાં આવે છે. એટલે સ્ત્રીઓ દવા ન લે અને પછી કઝા કરી લે, તો અલ્લાહપાકથી ઉમ્મીદ છે કે, તેને એટલો જ સવાબ મળે, જેટલો રમઝાનમાં મળે છે. કારણ કે આ કુદરતી કારણ છે.
  • પોતાના મોઢેથી ચાવીને નાના બાળકને કોઈ ચીઝ ખવડાવવી મકરૂહ છે. હા, એની જરૂરત જ પડે અને મજબૂરી અને લાચારી જ હોય તો પછી મકરૂહ પણ નથી. (બેહિશ્તી ઝેવર : ૧૪૦)

આ રીતે બાળક માટે ચાવવા દરમિયાન એ કોળિયો ગળામાં ઉતરી જાય, તો કઝા કરવી પડશે, કફ્ફારો આપવો નહીં પડે. (મસાઈલે રોઝા : ૧ર૦)

Log in or Register to save this content for later.