Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 52 to 54)
- કોઈપણ કારણે કે ઉઝર વગર રમઝાનનો એક પણ રોઝો છોડી દેવો દુરૂસ્ત નથી, બહુ મોટો ગુનોહ છે. કોઈ એમ સમજીને છોડે નહીં કે પછી કઝા રાખી લઈશ. કારણકે હદીષ શરીફમાં છે કે, “રમઝાનના રોઝાના બદલામાં જો આખુ વર્ષ પણ રોઝા રાખે, તો પણ તેને એટલો સવાબ નહીં મળે, જેટલો કે રમઝાનનો એક રોઝો રાખવાથી મળે છે.”
- જો કોઈએ પોતાના ગુનાહના કારણે કમનસીબે રોઝો રાખ્યો નથી, તો લોકોની સામે કંઈ ખાય-પીએ નહીં, તેમજ એમ પણ કહે નહીં કે, આજે મારો રોઝો નથી. કેમકે ગુનોહ કરીને તે જાહેર કરવું, એ પણ એક ગુનોહ છે. જો તે લોકો આગળ જાહેર કરશે, તો બેવડો ગુનેહગાર થશે. એક તો રોઝો ન રાખવાનો અને બીજો લોકો આગળ જાહેર કરવાનો. બીજી આ વાત જે પ્રચલિત છે કે, “ખુદાપાકથી ચોરી નથી, તો બંદાઓથી શી ચોરી” એ ખોટી, ઉદ્ધતાઈભરી અને ભયંકર વાત છે. એટલું જ નહીં, પણ જેમને રોઝો ન રાખવાની છૂટ હોય અને જેણે કોઈ ઉઝરથી રોઝો છોડ્યો હોય, તેમણે પણ રમઝાનની તઅઝીમ કરવી જોઈએ અને તેઓએ પણ વિના સંકોચે સૌની સામે ખાવું-પીવું ન જોઈએ.
- કોઈ કારણથી જે રોઝા જતા રહ્યા હોય, તો રમઝાન પછી જેમ બને તેમ જલ્દીથી તેની કઝા કરી લેવી જોઈએ. ઝિંદગીનો કોઈ ભરોસો નથી, ક્યારે મૌત આવી જાય અને પોતાના ઉપર ફર્ઝ બાકી રહી જાય. વગર ઉઝરે કઝા રોઝા રાખવામાં વાર લગાડવી ગુનોહ છે. જોઈએ તો બધા રોઝા એક સાથે રાખે અથવા તો થોડા થોડા કરીને રાખે, બન્નેવ રીતે રાખવા જાઈઝ છે. કઝા રોઝાની નિય્યત રાતથી જ એટલે કે સુબ્હે સાદિક પહેલાં કરવી જરૂરી છે. સવાર થઈ ગયા પછી નિય્યત કરશે, તો રોઝો નફલ થશે અને કઝા રોઝો ફરીથી રાખવો પડશે.
- જો કોઈ બીમારીથી સારો ન થયો અને તેમાં જ ગુજરી ગયો અથવા મુસાફરીમાં મરી ગયો, તો જેટલા રોઝા તે બીમારીના કારણે અથવા મુસાફરીના કારણે છોડી દેવાયા હશે, તેની કઝા તેના ઉપર વાજિબ નથી. કેમકે તેને કઝા રોઝા રાખવાનો મોકો મળ્યો નથી. પણ જો તે બીમારીથી સારો થઈ ગયો અને મુસાફરી કરીને ઘરે પાછો આવી ગયો, અને તેને કઝા રોઝા રાખવાનો વખત મળ્યો હતો, તો તેને જેટલા રોઝા રાખવાનો વખત મળ્યો હશે, તેટલા રોઝાની કઝા તેના ઉપર વાજિબ થશે. જો કઝા રોઝા રાખ્યા નથી, તો આ પ્રમાણે પોતાના ઉપર જેટલા રોઝાની કઝા બાકી રહેતી હોય, તો તેનો ફિદયો આપવા માટે તેણે મરતી વખતે વસિય્યત કરવી વાજિબ છે, જ્યારે કે તેની પાસે માલ હોય.
- કોઈના ઉપર રોઝાની કઝા બાકી છે, અને તે મરતી વખતે વસિય્યત કરી જાય કે, મારા રોઝાઓના બદલામાં ફિદયો આપી દેજો. ત્યારે તેના છોડેલા માલના ત્રીજા ભાગમાંથી તેનો ફિદયો અદા કરવો તેના વાલીઓ ઉપર લાઝિમ છે. મરનારે વસિય્યત કરી ન હોય, છતાં વારસદારો પોતાના તરફથી ફિદયો આપે તો પણ જાઈઝ છે. પણ તેમાં નાબાલિગ વારસદારોનો માલ શામેલ ન થવો જોઈએ.
- દરેક રોઝાનો એટલો જ ફિદયો છે, જેટલો કે એક વખતની નમાઝનો છે. એવી રીતે એક રોઝાના બદલામાં પોણા બશેર અડધો છટાંક ઘઉં (૮૦ તોલાના શેરના હિસાબે) આપે. પણ બચાવ અર્થે પુરા બશેર ઘઉં આપે અથવા એટલા અનાજના બદલામાં તેની કિંમતના પૈસા આપે તો પણ દુરૂસ્ત છે.
જો કોઈ એટલો ઘરડો થઈ ગયો હોય કે રોઝા રાખવાની શક્તિ તેમાં રહી નથી અથવા એવો બીમાર છે કે, હવે સારા થવાની તેને આશા નથી અને રોઝો રાખવાની પણ તાકાત નથી, તો એવી હાલતમાં રોઝાનો ફિદયો આપવો જાઈઝ છે. અને દરેક રોઝાના બદલામાં એક ફકીરને ફિત્રાના સદકા જેટલું અનાજ (પોણા બશેર અડધો છટાંક ઘઉં ૮૦ તોલાના શેરના હિસાબે) આપે અથવા સવાર-સાંજ તેને પેટ ભરીને ખવડાવે. ફરી જો તેમાં રોઝો રાખવાની તાકાત આવી જાય અથવા બીમારી દૂર થઈ જાય, તો તેણે દરેક રોઝા કઝા રાખવા પડશે. અને જે ફિદયો આપ્યો છે, તેનો સવાબ અલગ મળશે.
Log in or Register to save this content for later.