Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 30 - 31)
સુબ્હે સાદીકથી સૂરજ આથમે ત્યાં સુધી રોઝાની નિય્યતથી ખાવું-પીવું અને પોતાની નફસાની ખ્વાહિશ (સંભોગ) પૂરી કરવાનું છોડી દેવાને રોઝો કહેવામાં આવે છે. રોઝામાં નિય્યત હોવી શર્ત છે. નિય્યતનો અર્થ દિલના ઈરાદાનો છે. એટલે કે, દિલમાં એવું ધ્યાન હોય કે આજે મારો રોઝો છે, તો પણ રોઝો થઈ જશે. ઝબાનથી નિય્યત કરવી જરૂરી નથી. અને જો આખો દિવસ ભૂખ-તરસ અને સોહબત (સંભોગ) વિગેરેથી બચ્યો અને રોઝાની નિય્યત ન કરી હોય, તો રોઝો થશે નહીં.
રમઝાન શરીફના ફર્ઝ રોઝા, નફલ અને મુકર્રર કરેલા દિવસની નઝર (મન્નત)ના રોઝાની નિય્યત રાતથી જ કરી લે, તો પણ અદા થઈ જાય છે. અને જો રાતના નિય્યત કરી નથી, તો અડધા દિવસથી પહેલાં જ રોઝાની નિય્યત કરી લેવી જોઈએ. દિવસથી મતલબ શરીઅતનો દિવસ. એટલે કે, સુબ્હ સાદીક જો ચાર વાગ્યે થતી હોય અને સાંજે સાત વાગ્યે સૂર્ય આથમી જતો હોય, તો પંદર કલાકનો દિવસ થયો. તે હિસાબે ૧૧ (સાડા અગિયાર) વાગ્યે અડધો દિવસ થશે. એ પહેલાં નિય્યત કરી લે. કઝા, કફ્ફારા અને નઝર (મન્નત)ના રોઝા કે જેમાં દિવસ કે તારીખ મુકર્રર કરી ન હોય તો રોઝો રાખવાની નિય્યત રાતથી (સુબ્હ સાદિક પહેલાં) કરવી જોઈએ. જો સવાર થઈ ગયા પછી નિય્યત કરશે, તો રોઝો નફલ થશે. કઝા, કફ્ફારા કે નઝરનો જે રોઝો રાખ્યો હશે, તે અદા થશે નહીં અને ફરીથી રોઝો રાખવો પડશે.
ઘણા લોકો એ ખ્યાલ કરે છે કે, રોઝાની નિય્યત કર્યા પછી ખાવુંપીવું દુરૂસ્ત નથી, એ બેબુનિયાદ છે. સુબ્હ સાદિકથી પહેલાં ખાવુંપીવું વગર વાંધે દુરૂસ્ત છે.
Log in or Register to save this content for later.