Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 25 to 26)
ઇસ્લામની બુન્યાદી તઅલીમ અને અરકાનમાં ત્રીજો રૂકન રોઝાનો છે. અલ્લાહ તઆલા પોતાના કલામે પાકમાં ફરમાવે છે : “યા અય્યુહલ્લઝીન આમનૂ કુતિબ અલયકુમુસ્સિયામુ કમા કુતિબ અલલ્લઝીન મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન.”
અર્થ : અય ઈમાનવાળાઓ ! તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે, જેવી રીતે કે તમારાથી પહેલા (આગલી ઉમ્મત)ના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા. જેથી તમારામાં પરહેઝગારીનો ગુણ પેદા થાય.
ઇસ્લામના અરકાનમાં પુરા રમઝાન માસના રોઝા રાખવા ફર્ઝ છે. અને એની ફરઝિયતનો ઈન્કાર કરનાર કાફિર છે. અને વગર ઉઝરે રોઝા ન રાખનાર ફર્ઝ છોડનાર ગણાશે, અને ફર્ઝને છોડનારો ફાસિક અને ફાજિર (સખ્ત ગુનેહગાર અને ભટકેલો) છે.
રોઝા એ અમ્બિયા (અલયહિમુસ્સલામ)નો તરીકો છે. અને દરેક પયગમ્બરો અને તેમની ઉમ્મતો રોઝા રાખતા હતા. રોઝાનો ખાસ લાભ એ છે કે, એના વડે માણસમાં તકવા અને પરહેઝગારીનો ગુણ પેદા થાય છે, પોતાની નફસાની ખ્વાહિશ (મનેચ્છાઓ) ઉપર કાબૂ મેળવવાની શક્તિ આપે છે. અને અલ્લાહપાકના હુકમ સામે પોતાની ખ્વાહિશ તથા મનેચ્છાને દાબી દેવા ટેવાય છે, તેમજ આત્મા શુદ્ધ બને છે, અને તે કેળવાય છે. રોઝા રાખવાથી તંદુરસ્તી વધે છે. અલ્લાહપાકે ગણત્રીના દિવસો રોઝા રાખવા મુકર્રર ફરમાવ્યા અને ફર્ઝ કર્યા છે. એના પછી પણ રોઝા ન રાખવા એ છેલ્લા પાટલાની નાફરમાની અને નામુરાદી છે. જો કોઈ માણસ ઉઝર અને લાચારી વિના રમઝાન માસનો એક પણ રોઝો છોડી દેશે, તો પણ ઘણો સખત ગુનેહગાર છે.
એક હદીષ શરીફમાં છે કે, જે માણસ કોઈ લાચારી કે બિમારી વગર રમઝાનનો એક પણ રોઝો છોડી દેશે, તો તે જો તેના બદલે પોતાની આખી ઝિંદગી રોઝો રાખે, તો પણ તેનો પુરો હક્ક અદા થશે નહીં. (મિશ્કાત શરીફ)
Log in or Register to save this content for later.