રમઝાનઃમગફિરતનો મહિનો

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 13 to 17)

રમઝાનુલ મુબારકના મહિનાને તેની મહત્વતાના લીધે “મહિનાઓનો સરદાર” કહેવામાં આવે છે. અલ્લાહપાકના રસૂલ (સલ.)એ ફરમાવ્યું કે, તેનો પહેલો ભાગ રહમત છે, વચલો ભાગ મગફિરત છે અને છેલ્લો ભાગ જહન્નમથી છૂટકારો છે.

        મતલબ આ એવો મહિનો છે કે તેમાં અલ્લાહ તઆલાની મહેરબાનીઓ બંદાઓ પર સતત વધતી જ રહે છે. આસ્માનવાસી ફરિશ્તાઓ અને સમુદ્રની માછલીઓ પણ રોઝેદારથી મુહબ્બત કરે છે. અને તેના માટે મગફિરતની દુઆ કરે છે. અને આખી રાત અલ્લાહપાકે નિયુક્ત કરેલ એક પુકારનાર પુકારતો રહે છે કે, “છે કોઈ માફી માંગનાર ?” સેહરી અને ઈફતારીનો સમય તો છે જ દુઆની કુબૂલિયતનો ! આ તે મહિનો છે, જેમાં બંદાઓનું ખાવું-પીવું, સૂવુ-જાગવુ બધુ જ ઈબાદત ગણાય છે. અને રોઝા જેવી અજોડ ઈબાદત પણ આ મહિનામાં જ ફર્ઝ થઈ છે. નફિલનો સવાબ ફર્ઝના તોલે અને ફર્ઝનો સવાબ સિત્તેર ગણો વધારે આપવામાં આવશે. તેની એક રાત (શબે કદ્ર)ની ઈબાદત ૮૦ વર્ષની ઈબાદત પર ભારે છે.

ઈમામ ગઝાલી (રહ.) રોઝાનો હેતુ દર્શાવતાં લખે છે કે, રોઝાથી માણસ પોતાની ખ્વાહિશો અને મનેચ્છાઓ ઉપર કાબૂ મેળવી ફરિશ્તાઓની જેમ નૂરાની બની જાય છે. પોતાની આદતો અને ખ્વાહિશોના બંધનથી મુક્ત થઈ જાય છે. તેની મનેચ્છાઓમાં સંતુલન આવી જાય છે. ભૂખ-તરસ વેઠવાને લઈ ગરીબો અને જરૂરતમંદોનો એહસાસ કરી તેમનો ખ્યાલ રાખે છે.

શાહ વલિયુલ્લાહ દહેલ્વી (રહ.) ફરમાવે છે કે, સામાન્ય વાતાવરણમાં જ્યારે બધા જ માણસો રોઝો રાખે છે, તો તે સર્વ- સામાન્ય બાબત હોવાને લઈ રિવાજ બની જવાથી તથા રિયાકારી (દેખાડા)થી બચાવે છે. દરેકને રોઝાની હાલતમાં જોઈ કમઝોરોની હિંમતમાં પણ વધારો થાય છે. ગુનાહોથી હિફાઝત થાય છે.

આ મહિનાને કુર્‌આન શરીફ સાથે ખાસ સબંધ છે. આ સબંધોના કારણે કુર્‌આન શરીફ આ મહિનામાં ઉતારવામાં આવ્યું. આ મહિનો દરેક પ્રકારની ભલાઈઓ અને બરકતો ભેગી કરનાર છે.

 હકીમુલ ઉમ્મત હઝરત થાનવી (રહ.)નો ઈર્શાદ છે કે, અમલની તૌફીક દૃઢ નિશ્ચય (અઝમ્‌)થી મળે છે. એટલે મુસ્લિમોએ ખાસ કરીને રમઝાનુલ મુબારકમાં પોતાની તમામ શક્તિઓ ફર્ઝ, નફલ, ઝિક્ર તથા તિલાવતમાં લગાવી દેવી જોઈએ અને નિરર્થક (બેકાર) તથા મકરૂહ કામોથી બચવું જોઈએ. બની શકે ત્યાં સુધી નેક અઅ્‌માલ પાબંદીપૂર્વક અદા કરવા જોઈએ. અને આ મહિનાને એક અમૂલ્ય તક સમજવી જોઈએ.

હદીષ શરીફની કિતાબોમાં રમઝાન વિશે જેટલી પણ હદીસો બયાન કરવામાં આવી છે, જો ઉંડી દૃષ્ટિથી તેનો અભ્યાસ કરવામાં આવે તો રમઝાન આવવાનો એક જ હેતુ માલુમ પડે છે, તે છે “અલ્લાહપાકની નજદીકી તથા ખૂશી.” જેને આમાલે સાલિહા તથા મગફિરત (ક્ષમાયાચના)થી મેળવી શકાય છે. એટલા માટે કે અલ્લાહપાકની નજદીક જવા માટે જેમ સદ્‌કાર્યો દરજ્જાઓ ઉંચા કરે છે, તેમ ગુનાહો રસ્તામાં રોળા અટકાવે છે. જેનો ઉપાય ક્ષમાયાચના (ઈસ્તિગફાર)થી શક્ય છે.

હઝરત અનસ (રદી.)ની રિવાયત છે કે, અલ્લાહપાકના રસૂલ (સલ.)એ ફરમાવ્યું : “શું હું તમોને તમારી બીમારી તથા તમારી દવા (ઉપચાર) ન બતાવું ? સાંભળો ! તમારી બીમારી તમારા ગુનાહો છે અને તમારી દવા અલ્લાહપાકથી ગુનાહોની માફી માંગવી છે.” (અત્તરગીબ : ર/૪૬૮)

તમામ બીમારીઓ, તકલીફો તથા પરેશાનીઓનો ઈલાજ ઈસ્તિગફારમાં જ છે. કુર્‌આન શરીફની એક આયત પણ તેનું સમર્થન કરે છે. જેનો અર્થ થાય છે : “હે મારી કૌમ ! પોતાના પાલનહારથી પોતાના ગુનાહોની માફી માંગો અને તેની તરફ પાછા ફરો. તે તમારા પર મુશળધાર વરસાદ વરસાવશે, અને તમને વધુ શક્તિ આપી તમારી (હાલની) શક્તિમાં વધારો કરી આપશે. તમે પાપી બની જઈ મોઢુ ન ફેરવો.” (સૂરએ હૂદ : પર)

મુફસ્સિરીન (ભાષ્યકારો) લખે છે કે, કૌમે આદ ત્રણ વર્ષથી દુકાળમાં સપડાયેલી હતી, વરસાદ પડતો ન હતો. હઝરત હૂદ (અલૈ.)એ તેમને કહ્યું કે, જો તમે સતત પોતાના ગુનાહોની માફી માંગતા રહો, તો અલ્લાહપાક દુકાળ પણ દૂર કરશે અને સત્તા તથા શક્તિ પણ અતા કરશે.

ઈસ્તિગફારના લીધે તેનાથી પણ મોટી ખૂશખબરી તે છે, જે હઝરત નૂહ (અલૈ.)એ પોતાની કૌમને આપી. જેમાં સાત પ્રકારના ઈનામોથી નવાઝવાની ખૂશખબરી આપવામાં આવી છે.

કુર્‌આન શરીફમાં તેનો ઉલ્લેખ છે : “તો મેં (નૂહ અલૈ.ને) કહ્યું કે, તમારા પાલનહારથી (ગુનાહોની) માફી માંગો. સાચે જ તે બહુ માફી આપનાર છે. તે તમારા પર મુશળધાર વરસાદ વરસાવશે અને તમારી સંપત્તિ તથા સંતાનોમાં વધારો કરશે અને તમારા માટે બગીચાઓ તથા (વહેતી) નહેરો બનાવી આપશે. તમને શું થયું છે કે, અલ્લાહપાકની મહત્વતા અને મહાનતાની માન્યતા નથી રાખતા ?” (સૂરએ નૂહ : આયત-૧૦ થી ૧૩)

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (રદી.) ફરમાવે છે કે, અલ્લાહપાકના રસૂલ (સલ.)એ ઈસ્તિગફારના ત્રણ ફાયદાઓ દર્શાવ્યા છે : (૧) ઈસ્તિગફારથી ગમ (વિષાદ) દૂર થાય છે. (ર) તંગી તથા કડવાશ મટે છે. (૩) જ્યાંથી ખ્યાલ પણ ન આવે ત્યાંથી રોજી મળે છે.

આપના શબ્દોમાં જોઈએ કે, “જે માણસ હંમેશ ઈસ્તિગફાર કરતો રહે છે, અલ્લાહપાક તેના માટે દરેક ગમને ખૂશીમાં તબ્દીલ કરી નાંખે છે અને દરેક સંકડાશને મોકળાશમાં પરિવર્તિત કરે છે. અને તેને એવી જગ્યાએથી રોજી આપે છે, જ્યાંથી તેની કોઈ ગણત્રી પણ ન હોય.” (અત્તરગીબ : ર/૬૪૮)

જ્યારે સામાન્ય દિવસોમાં ઈસ્તિગફારની આટલી ફઝીલત છે,તો રમઝાન જેવા મહાન મહિનામાં તેના લીધે બંદાઓ પર કેટલી નવાઝિશ થતી હશે, તેની તો કલ્પના જ કરી શકતા નથી.

ઉમ્મતની તકલીફથી આપને તકલીફ થતી હતી તેમજ આપ ઉમ્મતની ભલાઈ માટે આગ્રહી હતા. (સૂ.તવબહ્‌ : ૧ર૮) તે છતાં રમઝાનમાં જે મગફિરતથી મહરૂમ રહી ગયો, તેનાથી આપ એટલા નારાજ થયા કે તેના માટે બદ્‌દુઆ ફરમાવી. જો કે આ બદ્‌દુઆ પણ શફકત (સ્નેહ)ના કારણે જ છે. જેથી આપણે રમઝાનુલ મુબારકની કદર કરી લઈએ અને ગફલતભરી ઉંઘમાંથી ઉઠી જઈએ અને પોતાના કુકર્મોના ડાઘાઓ પશ્ચાતાપના આંસુઓ વડે ધોઈ નાંખીએ.

હકીમુલ ઉમ્મત હઝરત થાનવી (રહ.) ફરમાવે છે કે, રમઝાનુલ મુબારકના મહિનો એવી રીતે જવો જોઈએ કે, જ્યારે તે ખત્મ થાય તો એક પણ ગુનો આપણા નામએ અઅ્‌માલ (કર્મપોથી)માં બાકી બચ્યો ન હોવો જોઈએ. નહીંતર હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની બદ્‌દુઆ લાગી જવાનો ભય રહે છે. (તૌબા-ઈસ્તિગફાર પછી પણ રમઝાનમાં ગુનાહની શક્યતા જ્યારે બાકી રહે છે) તો ફરમાવતા હતા કે, આ બદ્‌દુઆથી બચવા માટે એક બહુ જ સરળ ઉપાય છે. તે આ કે, ર૯ અથવા ૩૦ રમઝાને અસરની નમાઝથી ઈફતારી સુધીની ક્ષણો અથવા છેલ્લી દસ મિનિટો એકાંત તથા એકચિત્તે એવી રીતે પસાર કરવી જોઈએ કે તેમાં ગુનાહો પર પસ્તાવો વ્યક્ત કરવામાં આવે તેમજ આવનારા દિવસોમાં તે ગુનાહો છોડી દેવાનો દૃઢ સંકલ્પ (પાકો ઈરાદો) કરવામાં આવે અને રડી રડીને પોતાના ગુનાહોની માફી માંગવામાં આવે. અને જો એકાંત ન મળે તો જે સ્થિતિ હોય તે સ્થિતિમાં જેટલું બને તેટલું ઈસ્તિગફાર આ છેલ્લી ઘડીઓમાં પઢતા રહેવું જોઈએ. કારણ કે રમઝાનની આખરી પળોમાં જો આપણી જીભ પર ઈસ્તિગફાર હશે, તો અલ્લાહપાકથી ઉમ્મીદ છે કે, આપણે પેલી બદ્‌દુઆથી બચી જઈશું. અલ્લાહપાક આપણને બધાને અમલની નેક તૌફીક આપે, આમીન.

Log in or Register to save this content for later.