રમઝાનનો મહિનો

Chapter : રોઝા

(Page : 8 to 13)

રમઝાનનો મહિનો ઘણી ફઝીલતવાળો મહિનો છે. જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દરવાજા ખૂલી જાય છે, જહન્નમના દરવાજાઓ બંધ થઈ જાય છે અને શયતાનોને કેદ કરી દેવામાં આવે છે. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ) પોકારનાર પોકારે છે કે, હે નેકી ઈચ્છનાર આગળ વધ અને હે બુરાઈ કરનાર રોકાય જા. (તિરમિઝી, ઈબ્ને માજહ) જન્નત આખુ વર્ષ રમઝાન માટે શણગારવામાં આવે છે. (મિશ્કાત, બયહકી)

        અલ્લાહ તઆલાના રસૂલ (સલ.)નો ઈરશાદ છે કે, જેણે આ મહિનામાં એક નેકી કરી જાણે કે તેણે બીજા દિવસોમાં એક ફર્ઝ અદા કર્યો. અને જેણે આ મહિનામાં એક ફર્ઝ અદા કર્યો. જાણે કે તેણે બીજા દિવસોમાં સિત્તેર ફર્ઝ અદા કર્યા. આ મહિનો સબરનો મહિનો છે. અને સબરનો બદલો (વળતર) જન્નત છે. આ મહિનો હમદર્દીનો મહિનો છે. આ મહિનામાં મુઅમિનની રોઝીમાં બરકત આપી દેવામાં આવે છે. આ મહિનાના પહેલા દસ દિવસ રહમત છે, બીજા દસ દિવસ મગફિરત છે અને છેલ્લા દસ દિવસ જહન્નમથી મુક્તિ છે. (મિશ્કાત શરીફ)

        અલ્લાહપાકના રસૂલ (સલ.)નો આદેશ હતો કે, રમઝાન માટે શઅબાનનો ચાંદ (તારીખ) ગણતા રહો. (તિરમિઝી શરીફ)

        આનાથી જાણવા મળે છે કે, અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને આ મુબારક મહિનાની કેટલી ઈન્તેજારી રહેતી.

        સહીહ રિવાયતોથી જાણવા મળે છે કે, અલ્લાહ તઆલાના રસૂલ (સલ.) શઅબાનના મહિનામાં ઘણા રોઝા રાખતા હતા. શેખ અબ્દુલહક્ક મુહદ્દિષ દહેલ્વી (રહ.) પોતાની કૃતિ લમ્આતમાં આ રોઝાઓનો આશય એ દર્શાવે છે કે, રમઝાનુલ મુબારકના મહિનાની બરકતોથી વધારેમાં વધારે ફાયદો ઉઠાવવાની શક્તિ વિકસાવવા માટે આ રોઝાઓ રાખવામાં આવતા હતા.

        શર્હે સિફરૂસ્સઆદત (પેજ ૩૧૦)માં ફરમાવે છે કે, અમુક લોકો એમ કહે છે કે, શઅબાનના મહિનામાં અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના વધુ પડતા રોઝાઓનું કારણ એ હતું કે, રમઝાનના મહિનાની મિઠાશ તથા સ્વાદ વધી જાય.

        સારાંશ કે અગિયાર મહિનાના સબર પછી આ મુબારક મહિનો ફરી આવી ગયો છે. કાશ ! આ મુબારક દિવસો અને રાતોની આપણે કદર કરીએ. શું ખબર ફરી આ મહેમાનથી આપણી મુલાકાત થશે કે નહીં. ક્યાંક આ આખરી મુલાકાત ન હોય, તો પછી કેમ એના બરકતોથી ફાયદો ઉઠાવવામાં નહીં આવે.

        આ મહિનાની ખાસ ઈબાદતો રોઝા, તરાવીહ, શબે કદ્રની શોધ અને એ તેકાફ છે. આ બધામાં સમાન રીતે પાયાની એક વાત જે ધ્યાન આપવા લાયક છે તેને પહેલાં સમજી લો, ત્યાર પછી બીજી તો વિશે ચર્ચા કરવામાં આવશે.

        બુખારી તથા મુસ્લિમની જુદી જુદી રિવાયતોમાં એક વાત કહેવામાં આવી છે કે, જેણે આ મહિનામાં ઈમાન તથા ઈહતિસાબ સાથે રોઝા રાખ્યા કે તરાવીહ પઢી કે શબે કદ્રમાં ઉભો રહ્યો. (નમાઝ પઢી) તો તેના પાછલા ગુનાહ માફ થઈ જશે.

        ઉપરોક્ત બધી રિવાયતોમાં ઈમાન તથા ઈહતિસાબના શબ્દો વારંવાર દોહરાવવામાં આવ્યા છે. એનાથી જાણવા મળે છે કે, આ એક બહુ મહત્વપૂર્ણ ચીજ છે. હઝરત અલ્લામા અનવરશાહ કશ્મીરી (રહ.) ફરમાવે છે કે, ઈહતિસાબનો શબ્દ અહાદીષમાં ઘણી વખત વપરાયો છે. કોઈપણ અમલ પહેલાં ઈમાન સર્વપ્રથમ શરત છે. કારણ કે ઈમાન વગર ઈબાદતની કોઈ ગણત્રી નથી. ઈહતિસાબનો અર્થ એ છે કે, જે અમલ હોય તે ગફલત (બેધ્યાની) સાથે ન હોય. શરીર સાથે મન પણ તે અમલમાં પરોવાયેલું હોય. એમ કહો કે ઈહતિસાબનોઅર્થ નિય્યતથી પણ આગળનો છે. (ફયઝુલ બારી : ૧/૧રપ)

        આશય એ કે, આ ઈબાદતો ઔપચારિકતાપૂર્વક એક રસમ તરીકે કરવામાં ન આવે, બલ્કે તેની પાછળનો હેતુ સતત નજર સમક્ષ રહે. અમલ દરમિયાન સતત એ ધ્યાન રહે કે આ બધું કોની ફરમાંબરદારી માટે કરવામાં આવી રહ્યું છે ? સાચું પૂછો તો આ જાગૃતિ માત્ર રોઝા-તરાવીહ માટે જ નહીં, દરેક અમલ માટે જરૂરી છે. તેના વગર બંદગીની મજા નથી આવતી.

        કુર્‌આન શરીફમાં છે કે, રોઝાનો મકસદ તકવાની પ્રાપ્તિ છે. (સૂ. બકરહ- ર૩) તકવો વાસ્તવમાં દિલની એ સ્થિતિને કહે છે, જે માણસને ગુનાહોથી નફરત તથા નેકીઓ પ્રતિ ખેંચાણ ઉત્પન્ન કરે. રોઝો જ નહિં, બધી જ ઈબાદતોનો મકસદ આ જ તકવો છે. રોઝેદારોએ એ જોતાં રહેવું જોઈએ કે, રોઝાથી તેમની અંદર આ કૈફિયત (મનઃસ્થિતિ) પેદા થઈ કે નહીં ?

        હાફિઝ ઈબ્ને કય્યિમે શૈખુલ ઇસ્લામ ઈબ્ને તૈમિયા (રહ.)નું એ કિંમતી કથન નોંધ્યું છે કે, જ્યારે તમે તમારા દિલમાં અમલની મિઠાશ નહીં અનુભવો, તો પોતાના અમલને અધુરૂ સમજી લો. કારણ કે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓને અમલના વળતરરૂપે આ દુનિયામાં મિઠાશ જરૂર આપે છે. (મદારિજુસ્સાલિકીન : ર/૩૬)

        ઘણા બધા લોકો રોઝા રાખે છે, પરંતુ તેમની અંદર આ સ્થિતિ નથી જન્મતી. આનું કારણ એ છે કે, તેઓ રોઝાના હક્કો તથા પૂર્વ શરતો અદા નથી કરતા. નહીંતર આ ઈબાદતોની સારી અસર જરૂર પ્રગટ થાય.

        હકીમુલ ઉમ્મત હઝ. મૌલાના અશરફઅલી થાનવી (રહ.)નું કથન આ સબંધે વાંચવા લાયક છે :

        નબીઓ તબીબો જેવા છે. તેમણે અઅમાલની જે ખાસિયતો દર્શાવી છે, તે દવાઓની ખાસિયતો જેવી છે. એનો અર્થ એ નથી થતો કે જે તે દવાની ખાસિયત એ વખતે પણ પ્રગટ થાય, જ્યારે તેની વિરૂદ્ધ અસર ધરાવતી વસ્તુ ઉપયોગમાં લીધી હોય. બલ્કે દવા તથા અમલની અસર શરતી હોય છે. જો શરતો પૂરી થશે તો ખાસિયત પ્રગટ થશે, નહિંતર નહીં. (મલ્ફુઝાત : ૭/૪૧૦)

        બુખારી શરીફમાં હઝ. અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, જે માણસ રોઝો રાખી જૂઠથી તથા જૂઠ પર અમલ કરવાથી નહીં બચે તો ખુદાપાકને એની કોઈ જરૂર નથી કે તે પોતાનું ખાવા-પીવાનું છોડી દે. એનો અર્થ એ છે કે, રોઝાની બરકતો ત્યારે જ મળશે, જ્યારે રોઝાની જાહેરી તથા બાતિની શરતોની જાળવણી કરવામાં આવે. આજે આપણે રોઝો રાખીએ છીએ, પરંતુ શું આપણા દિલ તથા રૂહ (આત્મા)ને પણ રોઝો નસીબ થાય છે ? એક હદીષમાં છે કે, રોઝો ઢાલ (સુરક્ષા કવચ) છે. જ્યાં સુધી તેમાં કાંણું નહીં પાડો. સહાબાએ પૂછ્યું કે, હે અલ્લાહપાકના રસૂલ ! તેમાં કાંણું શેનાથી પડે છે ? આપ (સલ.)એ ફરમાવ્યું કે, જૂઠ તથા ગીબતથી.

        સારાંશ કે રોઝાની હાલતમાં આપણી આંખ, કાન, જીભ, હાથ, પગ બધાનો રોઝો હોવો જોઈએ.

        અમૂક લોકો સેહરી વગર રોઝો રાખે છે, તો આવું ન કરવું જોઈએ. સુન્નતની નિય્યતથી સેહરી જરૂર કરવી જોઈએ. માત્ર પાણી પીવામાં શું વાંધો છે ? અલ્લાહપાકના રસૂલ (સલ.)એ ફરમાવ્યું કે, સેહરી ખાઓ, કારણકે તેમાં બરકત છે. (બુખારી, મુસ્લિમ)

        બીજા પ્રકારના લોકો એવા છે, જે સેહરી ખાવામાં એટલો બધો સમય ખર્ચી નાંખે છે કે, તેઓને તહજ્જુદની નમાઝ કે દુઆ-ઝિક્રનો મોકો જ નથી મળતો. તે વખતે અલ્લાહ તઆલા દુન્યાના આકાશે ઉતરે છે. એટલે એ સમયની કદર કરવી જોઈએ. અમૂક લોકો ઈફતારીમાં પણ એટલા વ્યસ્ત થઈ જાય છે કે, દુઆ વિગેરેની તૌફીક નથી મળતી. ઈફતારના સમયની ખૂશી માત્ર ભૌતિક નથી હોતી, આધ્યાત્મિક (રૂહાની) પણ હોય છે. જરાક ભૌતિક ચીજોથી ઉંચે ઉઠીને પણ વિચારવું જોઈએ.

        તરાવીહથી પાછલા ગુનાહ માફ થઈ જાય છે. એ કોઈ મામૂલી નેઅમત નથી. પરંતુ અફસોસ ! આપણે આ નેઅમતની કદર નથી કરતા. તરાવીહમાં આપણે માત્ર રકાઅતો ગણીએ છીએ. રાત્રે જાગીને શબે કદ્રની તલાશ કરવાની તો બહુ ઓછાને તૌફીક મળે છે.

        તરાવીહ પઢવાથી એક સુન્નત અદા થાય છે અને કુર્‌આન શરીફ  સાંભળવાનું કે સંભળાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અલ્લાહ તઆલાના રસૂલ (સલ.) હઝરત જીબ્રઈલ (અલયહિસ્સલામ)ને દર વર્ષે કુર્આન શરીફ સંભળાવતા હતા. (બુખારી, મુસ્લિમ) જીવનના આખરી વર્ષમાં હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હઝરત જીબ્રઈલ (અલયહિસ્સલામ) સમક્ષ બે વખત કુર્‌આન શરીફ પઢીને સંભળાવ્યુ. (બુખારી શરીફ)

        રમઝાનુલ મુબારકના છેલ્લા દસ દિવસો વિશે માં હઝરત આયશા (રદી.)ની એક રિવાયત આ મુજબ છે કે, તે દિવસોમાં અલ્લાહપાકના રસૂલ (સલ.) ઈબાદતમાં એટલી મહેનત કરતા હતા કે, આવી મહેનત અન્ય દિવસોમાં કરતા ન હતા. (મુસ્લિમ) બીજી એક રિવાયતમાં છે કે, જ્યારે રમઝાનના છેલ્લા દસ દિવસો શરૂ થતા, તો આપ બરાબર કમર કસી લેતા, રાત્રે જાગતા તથા ઘરવાળાઓને પણ જગાડતા.(બુખારી, મુસ્લિમ)

        એ તેકાફ “સુન્નતે મુઅક્કદહ અલલ કિફાયહ” છે. અર્થાત્‌ મહોલ્લા કે વસાહતમાં થોડાક લોકો એ તેકાફમાં બેસી જાય તોબધાના તરફથી તે અદા થઈ જાય છે. એ તેકાફનો અર્થ એ છે કે,  તે તન-મન સહિત અલ્લાહપાકના દરબારમાં હાજર છે અને તેને સોહબતની મજા આવી રહી છે.

        કેટલીક વસાહતોમાં મેં જોયું કે, આ સુન્નત તદ્દન મૃતપાય થઈ ચૂકી છે. તેનાથી વિપરિત ક્યાંક એવું પણ છે કે, એ તેકાફ માત્ર રસમપૂર્વક કરવામાં આવે છે. તદ્દન નિષ્પ્રાણ.

        રમઝાનની છેલ્લી દસ રાતોમાં જ શબે કદ્રની અધિક સંભાવના હોય છે. જે પોતાની બરકતોના હિસાબથી હજાર મહિનાઓથી બેહતર છે. તે જ રાતમાં હઝરત જીબ્રઈલ (અલૈ.) ફરિશ્તાઓ સાથે જમીન પર ઉતરે છે. અને એ દરેક બંદા માટે, જેને ખુદાપાકની યાદમાં જુએ છે, દુઆ કરે છે. (મિશ્કાત)

Log in or Register to save this content for later.