[૪ર] નમાઝમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ધ્યાન

Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)

(Page : 127 to 129)

સવાલ : મેં દીનની સંપૂર્ણ સમજ ધરાવતી એક વ્યિકતથી જાણ્યું કે જો નમાઝી નમાઝની હાલતમાં જાણી જોઈને અને ઝબરદસ્તીથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ધ્યાનમાં લાવે તો તે કાફિર થઈ જાય છે. અને ઝબરદસ્તી વગર પોતે જ ધ્યાનમાં આવે અને પછી ઝબરદસ્તીથી ધ્યાનમાંથી હટાવે તો એ પણ કુફ્ર છે.

                મતલબ કે કાફિર થઈ જાય છે. અને કહે છે કે નમાઝ (ઇબાદત) ફકત અલ્લાહ તઆલા માટેજ છે તેમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ઝબરદસ્તીથી ધ્યાનમાં લાવવું તેને કુફ્રનો ફત્વો લાગે છે. તો મારું માનવું છે કે જયારે દુનિયાના કોઈ વસ્વસા ધ્યાનમાં આવતા જ હોય છે તો એવી હાલતમાં સરવરે કાઈનાત ફખ્રે મવ્જૂદાત સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ધ્યાનમાં લાવવું શું ખોટું છે ?

જવાબ : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નમાઝમાં ધ્યાનમાં લાવવાથી કાફિર થઈ જાય છે એ વાત ખોટી છે. વિના શંકાએ નમાઝની ઈબાદત ફકત અલ્લાહ તઆલા માટે જ છે. પરંતુ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ધ્યાનમાં લાવવાથી નમાઝ અલ્લાહ તઆલા માટે જ રહે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ધ્યાનમાં આવવાથી અથવા લાવવાથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઈબાદત કરીએ છીએ એમ માની લેવું દુરુસ્ત નથી.

                આપને જે આલિમ સાહબે કહ્યું હોય તેઓથી  પૂછશો કે એ પ્રમાણે કઈ કિતાબમાં લખ્યું છે જે આપ બતાવી રહ્યા છો.

                અલબત્ત એ વાત જરૂર છેકે નમાઝ પઢતી વખતે સંપૂર્ણ ધ્યાન અલ્લાહ તઆલા તરફ જ હોવું જોઈએ, બીજી કોઈ તરફ ન હોવું જોઈએ.

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું છે કે : “તમો અલ્લાહ તઆલાની એ પ્રમાણે ઇબાદત કરો જાણે તમો અલ્લાહ તઆલાને જોઈ રહ્યા છો.”

                “તિર્મિઝી શરીફ”માં હઝરત અનસ રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે :    હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે : “જયારે કોઈ માણસ નમાઝ માટે ઊભો થાય છે તો અલ્લાહ તઆલા તેના તરફ મુતવજ્જેહ થાય છે. પરંતુ જયારે ધ્યાન હટાવે છે અને ગૈરુલ્લાહ તરફ જુએ છે તો અલ્લાહ તઆલા ફરમાવે છે કે :       “હે ઇબ્ને આદમ ¦ તુ કોની તરફ જોઈ રહ્યો છે, તારા માટે મારાથી વધારે બેહતર કોણ છે કે જેની તરફ તું જોઈ રહ્યો છે,           તું પોતાનું ધ્યાન મારી તરફ કર ¦”   જયારે બીજી વાર ગૈરુલ્લાહ તરફ ધ્યાન ફેરવે છે તો ફરી અલ્લાહ તઆલા એ જ પ્રમાણે ફરમાવે છે. જયારે ત્રીજી વાર ધ્યાન ફેરવે છે તો અલ્લાહ તઆલા પણ તે નમાઝી તરફથી પોતાની રહમ અને કરમની તવજ્જુહ હટાવી લે છે.”                [“અશિઅ્અહ” : ૧ / ૪૩૪] Log in or Register to save this content for later.