Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 123 to 125)
સવાલ : ઇસ્લામમાં નાચવું-ગાવું-વગાડવું તથા ગાયનો-કવ્વાલી જેમાં સંગીતના સાધનો વાગતા હોય તે સાંભળવું હરામ બતાવેલ છે. એવી જ રીતે જયાં મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું નામ આવે ત્યારે સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બોલવું જરૂરી બતાવેલ છે તો પછી કેટલીક જગ્યાએ કવ્વાલીઓ થતી હોય ત્યાં સંગીત તો અવશ્ય વાગતું હોય છે અને તે જ કવ્વાલીઓમાં હઝરત પયગમ્બર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું નામ મુબારક આવતું હોય તો “સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ” બોલવું કેમ છે ? કારણકે ત્યાં કવ્વાલી અને સંગીતનો સુમેળ થાય છે અને તેમાં પયગમ્બર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું નામ આવે છે તો તે સમયે મજકૂર દુરૂદ શરીફ પઢવું કે નહિ ?
જવાબ : પ્રથમ તો એ જાણી લેવું જોઈએ કે આ પ્રમાણેની કવ્વાલી કરવી સખત ગુનાહિત અને હરામ કામ છે. એવી જ રીતે સંગીત સાથેની કવ્વાલી સાંભળવી અને એવી મજલિસોમાં શરીક થવું પણ કુર્આને કરીમ અને હદીસ શરીફની રોશનીમાં ઉલમાએ કિરામની સર્વ સંમતિ (ઈજમાઅ)થી નાજાઈઝ અને હરામ છે માટે એવી જગ્યાઓથી બચવું સખત જરૂરી છે.
દુર્રે મુખ્તાર તથા શામીમાં આ પ્રમાણેની તફસીલ નકલ કરી લખવામાં આવ્યું છે કે, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી મનકૂલ છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ આવા ગાવા-વાજાનો અવાજ સાંભળ્યો તો પોતાના કાન મુબારકમાં આંગળી દઈ દીધી.
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિયલ્લાહુ અન્હુ)ની હદીસમાં છે કે, “નાચ-ગાનનો અવાજ દિલોમાં નિફાક પેદા કરે છે.” (“દુર્રે મુખ્તાર”, “શામી” પ / રર૩)
આ પ્રમાણે નઅત શરીફ સાથે અથવા કુર્આન કરીમની તિલાવત કે ઝિક્ર સાથે સંગીત વગાડવાનો ઘણો સખત હુકમ લખવામાં આવ્યો છે.
وفی خلاصۃ البیان : من قرأ القرآن علیٰ ضرب الدف۔ والقضیب یکفر ، قلت :ویقرب منہ ضرب الدف والقضیب مع ذکر اللہ تعالٰی و نعت المصطفٰیﷺ۔ (شرح الفقہ الکبر : ص ۲۴۹، فصل فی القرائۃ والصلاۃ)
અર્થ : ખુલાસહ (કિતાબ)માં છે કે કોઈ માણસ ઢોલ-વાજાની સાથે કુર્આન શરીફ પઢે તો તે કાફિર ઠરશે. હું કહું છું કે ઢોલ-વાજાની સાથે અલ્લાહનો ઝિક્ર કરવાનો અથવા હઝરત મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નઅત શરીફ પઢવાનો હુકમ પણ ઉપરના હુકમની નજીક છે. (“શર્હે ફિકહે અકબર” : ર૪૯)
વળી જોઆવી જગ્યાએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું નામ મુબારક સાંભળવામાં આવે તો દુરૂદ શરીફ પણ ન પઢવું જોઈએ. કારણ કે જેમ આવી જગ્યાએ કુર્આન શરીફની તિલાવત અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું નામ લેવું હરામ છે તેમ દુરૂદ શરીફ પણ હરામ છે.
“ફતાવા આલમગીરી”માં છે કે કુર્આન શરીફના અદબ અને એહતિરામમાં આ વાત પણ દાખલ છે કે તેને બજારોમાં, નાચગાન અને ખેલકુદની મજલિસોમાં ન પઢવામાં આવે. (“આલમગીરી” પ / ૩૧૬ )
અને કુર્આન શરીફની જેમ દુરૂદ શરીફ પણ એક ઉત્તમ ઝિક્ર છે માટે તેને પણ આવી ઇહાનતવાળી (અપમાનજનક) જગ્યાઓમાં ન પઢવામાં આવે. “તહતાવી”માં એની ચોખવટ મવજુદ છે કે હરામ કામ ઉપર દુરૂદ શરીફ પઢવું હરામ છે. (“તહતાવી અલલ્ મરાકી” પાનું : ૭)