[૩૯] જુમ્અહ પછી દુરૂદ શરીફ

Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)

(Page : 120 to 123)

સવાલ : સૂરએ “અહઝાબ”ની (પ૬)મી આયત

انّ اللہ وملٰئٓکتہ یصلّون علی النبی ۔ یٓاَیّیھا الذین اٰمنوا صلّوا علیہ و سلّموا تسلیماً۔ (سورۃ الاحزاب ، آیت : ۵۶)

 અર્થાત :             બેશક, અલ્લાહ તઆલા તથા તેના ફરિશ્તા નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર રહમત મોકલે છે તો હે ઈમાનવાળાઓ ¦ તમે પણ આપના ઉપર દુરૂદ મોકલો અને અતિશય સલામ મોકલો.

                ઉપરોકત આયતનો અત્રેના કેટલાક મુઅમિનો એવો મતલબ કહે છે કે જુમ્અહના દિવસે જુમ્અહની નમાઝ પછી એક સાથે જમાઅતખાનામાં ઊભા થઈ મોટા અવાઝે પહેલાં દુરૂદ શરીફ તથા ત્યાર બાદ સલામ પઢવું જાઈઝ છે. તો એ અંગે ફતવાની રૂએ ઉપર મુજબ જાઈઝ છે કે નાજાઈઝ છે ?

જવાબ :  ઉમ્રભરમાં એક વાર દુરૂદ શરીફ પઢવું ફર્ઝ છે. અને જયારે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું નામ મુબારક લેવામાં આવે તો દુરૂદ શરીફ પઢવું વાજિબ છે. બાકી એ સિવાયના સમયમાં દુરૂદ પઢવું મુસ્તહબ છે. જુમ્અહના દિવસે મિસ્જદમાં જુમ્અહની નમાઝ પછી એક સાથે સમૂહમાં દુરૂદ પઢવાની પાબંદી સિવાય પોતે દુઆ કરતા હોય એ પ્રમાણે આહિસ્તા પઢવું મુસ્તહબ છે. જેવી રીતે નમાઝના કાયદામાં પઢીએ છીએ.

                જેવી રીતે નફલ નમાઝ, તિલાવત, ઝિક્રુલ્લાહ વગેરે ઈબાદતોના અમુક આદાબ અને શર્તો છે. જો તે આદાબ અને શર્તોની રિઆયત સાથે દુરૂદ શરીફ પઢવામાં આવે તો તે મોટા સવાબનો અને દુનિયા-આખિરતમાં કામિયાબીનો ઝરીયો બને છે. અને જો તે શર્તો અને આદાબનું ઉલંધન કરીને પઢવામાં આવે તો સવાબના બદલે અઝાબ અને ગુનાહ લાગુ પડે છે.

                દુરૂદ શરીફ પઢવાનો એક અદબ એ છે કે દિલ લગાવીને ધ્યાનપૂર્વક પઢવામાં આવે અને દુઆની જેમ તેને પણ આહિસ્તા પઢવામાં આવે જમાઅત સાથે અને જોર જોરથી ન પઢવામાં આવે.

                “દુર્રેમુખ્તાર”માંછેકે: દુરૂદ શરીફ પઢતી વખતે અવાજ બુલંદ કરવો જહાલત છે. અને દુરૂદ શરીફ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શાને આલી માટે એક દુઆ છે જે બીજી દુઆઓની જેમ આહિસ્તા પઢવી જોઈએ.   [“દુર્રે મુખ્તાર”, “શામી” : ૧ / ૩૪૯]

                “દુર્રે મુખ્તાર”માંજ છે કે : દુઆ અને ઝિક્ર વખતે અવાજ બુલંદ કરવો મકરૂહ છે.

                અને “શામી”માં હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ  રદિયલ્લાહુ અન્હુથી એક સહીહ રિવાયત નકલ કરવામાં આવી છે કે: તેઓએ એક જમાઅતને એક સાથે જોર જોરથી મિસ્જદમાં કલિમહ પઢતાં અને દુરૂદ શરીફ પઢતાં જોઈ, તો તેઓએ તે જમાઅતને મિસ્જદમાંથી કાઢી મૂકી અને ફરમાવ્યું કે :       “હું તમોને ખરેખર બિદઅતી સમજું છું.”    [“શામી” : પ /  રપપ]

                દુરૂદ શરીફ પઢવા માટે જુમ્અહની નમાઝ પછીની, મિસ્જદની, અને જમાઅતની પાબંદી એ પણ બિદઅત છે. કોઈ પણ નમાઝ પછી એક સાથે મળીને જમાઅતની શકલમાં પાબંદીની સાથે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢવું ન હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સાબિત છે, ન સહાબએ કિરામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈનથી, ન તાબિઈને ઈઝામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈનથી સાબિત છે.

                અગર શરીઅતમાં એ પ્રમાણે દુરૂદ શરીફ પઢવું સવાબનું અને સારું કામ હોત તો સહાબએ કિરામ,તાબિઈને ઈઝામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈન અને મુજતહિદ ઇમામો  રહમતુલ્લાહિ અલયહિમ  અજમઈન એ પ્રમાણે પાબંદી સાથે દુરૂદ શરીફ પઢત. હાલાંકે તેઓના પૂરા ઇતિહાસમાં આ પ્રમાણે દુરૂદ શરીફ પઢવાની કોઈ એક ઘટના પણ સાબિત નથી.

                દરેક ઇબાદત હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબએ કિરામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈનના તરીકા મુજબ હોય તો જ તે ખરેખર ઇબાદત કહેવાના લાયક છે. અને તેમાં પોતાના તરફથી પાબંદીઓ વધારવી અને મસાઈલના વિરુધ્ધ તેને અદા કરવી એ કોઈ જાઈઝ ઈબાદત નથી. બલ્કે બિદઅત અને ગુમરાહી છે.

                હઝરત હુઝૈફા રદિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે :   જે પ્રમાણે ઇબાદત સહાબએ કિરામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈને ન કરી હોય તમો તેને ઇબાદત ન સમજશો. અને પોતાના આગલા બૂઝૂગૌં સહાબએ કિરામના તરીકાની પૈરવી કરતા રહેજો.

                જુઓ, ઇસ્લામમાં નમાઝથી વધીને કોઈ ઇબાદત નથી ,પરંતુ અમુક સુન્‍નત નમાઝોને છોડીને સુન્‍નત અને મુસ્તહબ નમાઝની મોટી જમાઅત કરી પઢવાને ફુકહાએ કિરામ મકરૂહે તહરીમી અને નાજાઈઝ લખે છે. હાલાંકે ફર્ઝ અને વાજિબ નમાઝો તથા અમુક સુન્‍નત નમાઝો જમાઅતથી પઢવી તો વાજિબ કે સુન્‍નત પણ છે. તો પછી નમાઝ સિવાય બીજી કોઈ  મુસ્તહબ ઇબાદત કે ખાસ જેના માટે કોઈ પણ સૂરતમાં જમાઅત સાબિત ન હોય તેને એક સાથે જમાઅતથી અદા કરવી કેવી રીતે જાઈઝ હોઈ શકે છે ?

                ખુલાસો એ છે કે વ્યિકતગત રીતે જુમ્અહના દિવસે કોઈ વખતની પાબંદી સિવાય આહિસ્તા દુરૂદ શરીફ પઢવું ખચિત જાઈઝ છે, બલ્કે મુસ્તહબ છે. પરંતુ સવાલમાં લખવા મુજબ જમાઅત સાથે, જુમ્અહની નમાઝ પછીનો સમય નકકી સમજીને, બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢવું નાજાઈઝ અને બિદઅત છે.[“જવાહિરુલ્ ફિકહ” : ૧] Log in or Register to save this content for later.