[૮૧] મૃત પીરથી મુરીદ થવું

Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)

(Page : 205 to 206)

સવાલ  : મારા બાપ-દાદાના પીર ગુઝરી ગયા છે અને તેઓએ કોઈને ખિલાફત પણ આપી નથી. હવે મારે તે ગુઝરી ગયેલ પીરના મુરીદ બનવું છે તો મારે શી વિધિ કરવી પડે ?

જવાબ  : જે પીર વફાત પામ્યા હોય કોઈ જીવંત પીરના વાસતા વિના તેમનાથી મુરીદ થવાની સીધેસીધી બયઅત ન કરી શકાય. કોઈ પીરના સીધેસીધા મુરીદ થવા માટે પીરનું હયાત હોવું જરૂરી છે.

                સહાબએ કિરામ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુરીદ હતા પરંતુ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વફાત પામી રૂપોશ (પરદે) થયા પછી લોકોએ ક્રમશ: ખુલફાએ રાશિદીન (રદિ.)ના હાથ પર બયઅત કરી અને તેઓના મુરીદ થયા.

                જો તમારા બાપ-દાદાના પીરના કોઈ ખલીફા ન હોય તો તમો બીજા કોઈ નેક, પરહેઝગાર અને શરીઅતના પાબંદ હોય તેવા જીવંત પીરથી મુરીદ થઈ શકો છો. કારણ કે પોતાના બાપ-દાદાના પીરથી જ મુરીદ થવું એ જરૂરી નથી.

                ગુજરાત અને ગુજરાતની બહાર એવા અનેક બુઝુર્ગાને દીન અને શરીઅતના સાચા અને સંપૂર્ણ પાબંદ પીરો મવજૂદ છે. તેઓથી મુરીદ થઈ પોતાની ઈસ્લાહ કરવી જોઈએ.

                મુરીદ થવા માટેની બહેતર સૂરત એ છે કે કોઈ બુઝુર્ગ પીરની ખિદમતમાં સ્વજાતે હાજર થઈ તેઓના હાથ ઉપર બયઅત કરવામાં આવે અને કોઈ અગવડ હોય તો પત્ર દ્વારા ગાઈબાના (પરોક્ષા) બયઅતથી પણ મુરીદ થઈ શકાય છે.

Log in or Register to save this content for later.