Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ
(Page : 411 to 414)
સવાલ : શું સફરના મહિનામાં બીમારીઓ અને આફતો ઉતરે છે ? કુરઆન અને હદીસની રોશનીમાં આ માન્યતાનો ખુલાસો કરશો.
જવાબ : ઘણા લોકો પોતાની અભણતાના કારણે અથવા અમુક ગેરમોઅતબર અને અવિશ્વાસપાત્ર કિતાબોના લખાણના આધારે સફર મહિનાને મનહૂસ અને અપશુકનયાળ માને છે અને મજકૂર મહિના વિશે એવી ગલત માન્યતાઓ રાખે છે કે, આ મહિનો બલાઓ અને આફતોથી ભરપૂર છે અને તેમાં ખુબ જ વધુ પ્રમાણમાં બીમારીઓ અને આપત્તિઓ ઉતરે છે અને આ ખોટી માન્યતા એટલી હદે પહોંચી છે કે લાખોના હિસાબથી આફતોની એક નકકી સંખ્યા પણ નકલ કરવામાં આવે છે કે પૂરા વર્ષ દરમ્યાન કુલ દસ લાખ એંસી હજાર બલાઓ નાઝિલ થાય છે અને તેમાંથી નવ લાખ વીસ હજાર બલાઓ માહે સફરમાં જ ઉતરે છે અને બાકીની બલાઓ બીજા બધા મહિનાઓમાં વહેંચાઈને થોડી થોડી ઉતરે છે અને એટલું જ નહિ બલ્કે ઘણા જલીલુલ્કદ્ર અમ્બિયા (અલૈ.) વિશે પણ એવી ખોટી માન્યતા રાખવામાં આવે છે કે તેઓ ઉપર મોટી મોટી બલાઓ આ મહિનામાં જ નાઝિલ થઈ હતી.
૦ હઝરત આદમ (અલૈ.)થી આ જ મહિનામાં લગઝિશ થઈ હતી,
૦ હઝરત ઇબ્રાહિમ ખલીલુલ્લાહ (અલૈ.)ને આ જ મહિનાની પહેલી તારીખે આગમાં નાખવામાં આવ્યા હતા,
૦ હઝરત અય્યૂબ (અલયહિસ્સલામ) આ જ મહિનામાં મુસીબતમાં સપડાયા હતા,
૦ હઝરત ઝકરિય્યા, યહયા, જરજીસ, યૂનુસ (અલૈ.) અને સિય્યદુલ અમ્બિયા હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ બધા નબીઓ (અલૈ.) માહે સફરમાં જ દરેક ઉપર ઉતરેલી ખાસ ખાસ બલામાં સપડાયા હતા.
“રાહતુલ કુલૂબ”, “જવાહિરે ગૈબી” અને “ફઝાઈલુશ્ શુહૂર વિસ્સયામ” નામી કિતાબોમાં ઉપરોકત વિગતો સાથે માહે સફરની બીમારીઓ અને બલાઓથી બચવાના ઇલાજ રૂપે માહે સફરના ખાસ ખાસ દિવસોમાં કુર્આન મજીદની અમુક મખસૂસ સૂરતોની કિરાઅત સાથે નમાઝ પઢવાના મખસૂસ તરીકાઓ અને વઝીફા તથા તા”વીઝો પણ લખવામાં આવ્યા છે જેનો કુર્આન-હદીસથી કોઈ સુબૂત નથી.
અમુક લોકો માહે સફરના છેલ્લા બુધવારે એવી માન્યતાના આધારે ખૂશી અને ઈદ મનાવે છે અને પોતાના કામની છુટ્ટી પાડવામાં આવે છે કે બલા અને બીમારીઓનો મહિનો પૂરો થવા આવ્યો અને ઘણા લોકોમાં એવી વાત પણ મશહૂર છે કે આ દિવસે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તંદુરસ્તી માટેનું ગુસલ ફરમાવ્યું હતું અને આ વિશે એક શેર (પંક્તિ) પણ કહેવામાં આવી છે :
“આખરી ચહાર-શંબહ આયા હે ગુસ્લે સિહત નબીને પાયા હે.” હાલાં કે આ પણ બેબુનિયાદ વસ્તુ છે કારણ કે સીરતે પાકની કિતાબોથી માલૂમ પડે છે કે મજકૂર દિવસે તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મઝર્ેવફાત (મૌતની બીમારી)ની શરૂઆત થઈ હતી તો આવા દિવસને ઈદ અને ખૂશીનો પ્રસંગ બનાવવો કેવી રીતે દુરુસ્ત ગણાય.
માહે સફર બાબત ઉપરોકત ગલત માન્યતાના કારણે ઘણા લોકો આ મહિનામાં નિકાહ, રુખસતી અને મંગની જેવા ખૂશીના કામો કરવાથી ખંચકાય છે અને તેમાં મુસાફરી કરવાને, ઘરના બાંધકામની શરૂઆતને અને ઘર-દુકાનના ઉદ્ઘાટન તથા અન્ય એવા કામોની શરૂઆત કરવાને મનહૂસ અને નામુબારક માને છે.
મજકૂર મહિનાની નહૂસતની દલીલરૂપે એક પાયાહીન હદીસ પણ નકલ કરવામાં આવી છે કે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે, “જે માણસ મને માહે સફરના પૂરા થવાની ખૂશખબરી આપશે હું તેને જન્નતની બશારત આપીશ.”
હાલાં કે મુહદ્દિસે જલીલ મુલ્લા અલી કારી (રહ.)એ “મવઝૂઆતે કબીર” નામી પોતાની પ્રખ્યાત કિતાબમાં આ હદીસને ઉપજાવી કાઢેલી અને મનઘડત હદીસોમાંથી બતાવી છે અને જાહેર વાત છે કે આવી મવઝૂઅ અને પાયાહીન હદીસને મજકૂર ગલત અને ખોટી માન્યતાઓની દલીલ માનવી ખુલ્લી જહાલત અને ગુમરાહી છે. (“આલમગીરી” : પ / ૩૮૦, “મવઝૂઆતે કબીર”)
ખુલાસો એ કે માહે સફર વિશે આવી માન્યતાઓ તદ્દન બેબુનિયાદ, મનઘડત, ગલત અને જાહિલાના માન્યતાઓ છે. કુર્આન અને હદીસ, હઝરાત સહાબએ કિરામ અને તાબિઈન (રદિ.) તથા અઈમ્મએ મુજતહિદીન (રહ.)માંથી કોઈ વ્યિકતથી પણ એનો કોઈ સુબૂત નથી. બલ્કે રહમતે આલમીન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના સ્પષ્ટ ઈર્શાદોથી સફર મહિના વિશે અને સાથે જ અન્ય વસ્તુઓ વિશે આવી ગુમરાહીભરી અને વહેમી માન્યતાઓને રદ બાતિલ ફરમાવી છે અને સાફ શબ્દોમાં તેને નકારી કાઢી છે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) નકલ કરે છે કે,
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,
/ એકની બીમારી બીજાને લાગી જવાની કોઈ હકીકત નથી અને
/ અપશુકન કોઈ વસ્તુ નથી અને
/ ઉલ્લુ (એટલે કે ઘુવડના ઘર ઉપર બેસીને બોલવા)ની કોઈ હકીકત નથી અને
/ (માહે) સફર (એટલે કે તેમાં બલાઓ-બીમારીઓ ઉતરવા જેવી નહૂસત)ની કોઈ હકીકત નથી. (“બુખારી શરીફ” / “મિશ્કાત શરીફ” : ૩૯૧)
Log in or Register to save this content for later.