[૧૪૭] ગેરમુસ્લિમના પાગલ છોકરાનો હુકમ

Chapter : જન્નમત અને જહન્નરમ

(Page : 394 TO 396)

સવાલ : ગેરમુસ્લિમ મા-બાપનો પાગલ છોકરો મુસ્લિમ ગણાય કે  ગેરમુસ્લિમ ?  અને તે મુકલ્લફ છે કે નહિ ?તેના માટે જન્‍નત છે કે દોઝખ ?કોઈ છોકરો બચપણથી જ પાગલ હોય અથવા બાલિગ થયા પછી  પાગલ થયો હોય, બન્નેવનો શું હુકમ છે ?

જવાબ : જે ગેર મુસ્લિમ બાળકે સમજદારીની હાલતમાં ઇસ્લામ સ્વીકાર કર્યો અને પછી બાળપણમાં જ પાગલ થઈ ગયો અને પાગલપણાની હાલતમાં જ બાલિગ થયો, તો આ સૂરતમાં તેણે ઇસ્લામ સ્વીકાર કર્યો ત્યારથી જ તે મુસ્લિમ ગણાશે.

                જે ગેર મુસ્લિમ બાળક બાલિગ થયા પછી ઇસ્લામ સ્વીકાર કરે અને પછી પાગલ થઈ જાય તો તે બાલિગ પાગલ પણ મુસ્લિમ ગણાશે, ચાહે તેના મા-બાપ ગેરમુસ્લિમ હોય.

                જે ગેરમુસ્લિમ પાગલ બાળકના મા-બાપમાંથી કોઈ એકે અથવા બન્નેએ તેના બાળપણમાં ઇસ્લામ સ્વીકાર કર્યો તે પાગલ બાળક મા-બાપના ઇસ્લામ સ્વીકારવાથી મુસ્લિમ ગણાશે અને બાલિગ થયા પછી પણ તે મુસ્લિમ ગણાશે.

                જે ગેરમુસ્લિમ પાગલ બાળકના મુસ્લિમ થયા પછી તેના મા-બાપમાંથી કોઈ એકે ઇસ્લામ સ્વીકાર કર્યો તો તે પાગલ બાલિગ છોકરો પણ મુસ્લિમ ગણાશે.

                જે ગેરમુસ્લિમ પાગલ, બાલિગ અથવા નાબાલિગ છોકરાના ગેરમુસ્લિમ મા-બાપ તેને ઇસ્લામી દેશમાં છોડીને બીજા દેશમાં જઈ સ્થાયી થઈ જાય તો તે પાગલ, બાલિગ અથવા નાબાલિગ છોકરો મુસ્લિમ ગણાશે, ચાહે તેના મા-બાપમાંથી કોઈએ ઇસ્લામ સ્વીકાર ન કર્યો હોય.(“તય્સીરુત્તહરીર” ર / ર૬૦)

                બાળપણ અને ગાંડપણ શરીઅતના અહકામની પાબંદીની યોગ્યતા અને પાત્રતા માટે કુદરતી અવરોધરૂપ કારણોમાંથી છે, માટે નાબાલિગ પાગલ માટે ઇબાદતો અને ઇસ્લામી સજાઓની પાબંદી નથી અને પોતાની જાત અને માલ વિશે તેનો અધિકાર પ્રતિબંધિત ગણાય છે અને બાલિગ પાગલનું ગાંડપણ જો લાંબુ હોય તો તેના માટે પણ અહકામની પાબંદી નથી અને તેનો અધિકાર પણ પ્રતિબંધિત રહેશે.

                પાગલપણાની સમયમર્યાદા નકકી નથી. જો કોઈ બાલિગ થયા પછી હંમેશાં પાગલ હાલતમાં રહેતો હોય તો આવા કાયમી પાગલ માટે અહકામની પાબંદી માફ થવા માટે સમયમર્યાદાની કોઈ વિગત નથી.

                અલબત્ત, જો કાયમ પાગલ હાલતમાં ન રહેતો હોય તો તેવા બાલિગ પાગલના શિરેથી ફર્ઝ ઇબાદતો નમાઝ, ઝકાત, રોઝાની પાબંદી માફ થવા માટે ગાંડપણની સમયમર્યાદા એકસરખી નથી, બલકે દરેક ઇબાદત માટે અલગ અલગ અવરોધરૂપ સમયમર્યાદા છે.

૦      નમાઝ માટે ગાંડપણની અવરોધરૂપ સમયમર્યાદા એક રાત-દિવસથી વધુ પાગલ રહેવું છે,

૦      રોઝા માટે અવરોધરૂપ સમયમર્યાદા રમઝાનના પૂરા મહિના સુધી પાગલ રહેવું છે અને

૦      ઝકાત માટે અવરોધરૂપ સમયમર્યાદા એક ઇસ્લામી વર્ષ પૂરું થતાં સુધી પાગલ રહેવું છે.          (“હુસામી”)

                ઉપર લખવા મુજબ જે સૂરતોમાં ગેરમુસ્લિમ મા-બાપનો પાગલ બાલિગ છોકરો મુસ્લિમ ગણાય છે, તેના માટે જન્‍નત છે, જેવી રીતે મુસ્લિમ પાગલ કે સમજદાર, નાબાલિગ બાળક જન્‍નતી છે.

                માટે પાગલ હોવાની હાલતમાં બાલિગ થઈને મૃત્યુ પામનાર બાલિગ પાગલની જનાઝહની નમાઝમાં તે જ દુઆ પઢવામાં આવશે જે દુઆ નાબાલિગ છોકરા માટે પઢવામાં આવે છે.              (“શર્હે મુન્યહ” : પ૮૭)

                અને ઉપર લખેલી સૂરતો સિવાય ગેરમુસ્લિમ મા-બાપનો નાબાલિગ કે બાલિગ પાગલ છોકરો મુસ્લિમ નહિ ગણાય.

                ગેરમુસ્લિમ મા-બાપના મૃત્યુ પામનાર નાબાલિગ બાળક વિશે અકાઈદની કિતાબોમાં વિવિધ મંતવ્યો નકલ છે.

(૧)     તે જન્‍નતી છે. આ મંતવ્ય સહીહ અને જમહૂર ઉલમાએ ઉમ્મતનું મંતવ્ય છે અને હઝરત મવલાના મુફતી કિફાયતુલ્લાહ  સાહબ (રહ.)એ  તેને રાજિહ મંતવ્ય લખ્યું છે.

 (ર)    તે દોઝખી છે.

(૩)     તેનું જન્‍નતી કે દોઝખી હોવું અલ્લાહ તઆલાના ઇલ્મ પર મૌકૂફ છે.

(૪)     તે જન્‍નતીઓનો ખાદિમ બનશે.

(પ)    ઈમામ અબૂ હનીફહ (રહ.) તેના વિશે ખામોશ રહ્યા છે.(“નિબરાસ” : ૩૦)

                ગેર મુસ્લિમ મા-બાપના ગેરમુસ્લિમ, બાલિગ, પાગલ છોકરાના જન્‍નતી કે દોઝખી હોવા વિશે અકાઈદ અને ઉસૂલની કિતાબોમાં કોઈ ચોખવટ જોવા મળી નથી. અલબત્ત, હઝરત મવલાના મુફતી કિફાયતુલ્લાહ સાહબથી એવા મુશરિક બાળક વિશે સવાલ કરવામાં આવ્યો કે,

                જે બાળપણથી પાગલ હોય અને પાગલ હોવાની હાલતમાં જ બાલિગ થઈને વફાત પામ્યો તો તેનો શું અંજામ થશે ?

                તો આ સવાલના જવાબમાં હઝરત મુફતી સાહબ (રહ.)એ લખ્યું કે, જે માણસ ગાંડપણની હાલતમાં બાલિગ થઈને મરી ગયો તે પણ જન્‍નતી છે. (“કિફાયતુલ મુફતી” : ૧ / ર૭,ર૮)

Log in or Register to save this content for later.