[૬૭] હઝરત હસન, હુસૈન (રદિયલ્લાહુ અન્હુમ)નું ગીરો મૂકાવું

Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)

(Page : 185 to 186)

[૬૭] હઝરત હસન, હુસૈન (રદિયલ્લાહુ અન્હુમ)નું ગીરો મૂકાવું

સવાલ  : કોઈક વસ્તુ ગીરો મૂકવા વિશે શરીઅતમાં શું હુકમ છે?

                અગર ગીરો મૂકી શકાતું હોય તો તેમાં કઈ કઈ શરતો છે ? સાંભળવામાં આવ્યું છે કે હઝરત હસન (રદિ.) અને હઝરત હુસૈન (રદિ.)ને ગીરો મૂકવામાં આવ્યા હતા. તો શું એ વાત સાચી છે ?

                અગર જો ગીરો મૂકવામાં આવ્યા હોય તો શા માટે ગીરો મૂકવામાં આવ્યા હતા ?

                તેમને ગીરો મૂકનાર કોણ હતું, અને કોને ત્યાં ગીરો મૂકવામાં આવ્યા હતા ?

જવાબ  : શરીઅતના હુકમ અનુસાર કોઈક વસ્તુ ગીરો મૂકવી જાઈઝ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એક યહૂદી પાસેથી ત્રીસ સાઅ (સાઅ એક અરબી માપ છે જે હિન્દુસ્તાની વજન પ્રમાણે લગભગ સાત શેર થાય છે.) જવ ઉધાર ખરીદી તેની કિંમતના બદલામાં પોતાની ઝિરહ (બખતર) ગીરો મૂકી હતી. (“મિશકાત શરીફ” રપ૦)

                ગીરોના દુરૂસ્ત થવા માટે ગીરો મૂકનાર અને લેનાર તથા ગીરો મૂકવામાં આવતી વસ્તુ સંબંધિત અનેક શરતો છે જે ફિકહની કિતાબોમાં વિગતથી દર્શાવવામાં આવી છે. જેમાંથી એક શરત આ છે કે, ગીરો મૂકવામાં આવતી વસ્તુ કોઈ માલ હોવો જોઈએ. જેમ કે ઘર, ખેતર, ઘડિયાળ, વાસણ વગેરે.

                હઝરત હસન અને હુસૈન (રદિ.)ને ગીરો મૂકવામાં આવ્યા હતા એ વાત તદ્દન બેબુનિયાદ અને ખોટી છે. સીરત કે હદીસની કોઈ વિશ્વાસપાત્ર કિતાબમાં એ પ્રમાણેનું કોઈ વર્ણન મવજૂદ નથી. અગર કોઈ એ પ્રમાણે  સંભળાવે છે તો તે એક ઉપજાવી કાઢેલી અને મનઘડત ઘટના છે.

                મજકૂર બંને સહાબીઓ (રદિ.) તો પેદા થયા ત્યારથી જ આઝાદ હતા. અને એક ઊંચા ખાનદાન અને મા-બાપના પુત્રો હતા. અને આઝાદ વ્યિકત ન માલ બની શકે છે, ન માલ સામાનની જેમ તેને ગીરો મૂકી શકાય છે.

Log in or Register to save this content for later.