Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 360 to 362)
[૧ર૪] ફર્ઝ નમાઝ પઢયા વગર નફલ ઈબાદત
સવાલ : મારી વાલિદહ અભણ છે, દીન-દુનિયાનું બિલકુલ ઇલ્મ નથી, નમાઝ પઢતાં પણ આવડતી નથી, નમાઝ શીખવવા કહું છું તો કંઈ ધ્યાન આપતા નથી, ફકત તસ્બીહ પઢયા કરે છે.
મેં તેમને સમજાવતાં કહ્યું કે : અલ્લાહ તઆલા તરફથી પ્રથમ નમાઝ ફર્ઝ છે, નમાઝ પઢયા વગર અલ્લાહ તઆલાને નફલ ઇબાદત મંઝૂર નથી, તો મારી આ વાત બરાબર છે ?
મેં એક દિવસ કુર્આન શરીફની આયત જોઈ, નો તર્જુમો આ હતો કે નમાઝ પઢયા વગર કોઈ પણ નફલ ઇબાદત બેકાર છે. તો શું આ વાત બરાબર છે? આપ યોગ્ય પ્રત્યુત્તર આપશો.
જવાબ : ફર્ઝ નમાઝની અદાયગી ખરેખર ખૂબ જ મહત્ત્યવનો અમલ છે. કોઈ મજબૂરી વગર ફર્ઝ નમાઝ છોડવી કબીરહ ગુનાહ છે. કિયામતમાં સૌથી પહેલાં નમાઝનો હિસાબ લેવામાં આવશે. નમાઝ છોડવા ઉપર ઘણી જ સખ્ત વઈદો આવેલી છે. ફર્ઝ નમાઝોની અદાયગી કુફ્ર અને શિર્કથી મુકત હોવાની નિશાની છે. નફલ ઇબાદત કરતાં ફર્ઝની ખૂબ જ મહત્તા અને સવાબ છે.
પરંતુ ફર્ઝ નમાઝ પઢયા વિના કોઈ પણ નફલ ઇબાદત બેકાર છે અને એક ઇબાદત ન કરવાથી બીજી ઇબાદત બેકાર થઈ જાય છે, એમ માનવું પણ અહલે સુન્નત વલ્ જમાઅતના અકીદહ મુજબ દુરુસ્ત નથી અને કુફ્ર તથા શિર્ક કર્યા સિવાય અન્ય કોઈ કબીરહ કે સગીરહ ગુનાહથી નેક આમાલ બેકાર અને વ્યર્થ થતા નથી. ફર્ઝ કે નફલ દરેક ઇબાદત પોતાની જગ્યાએ લાભદાયી અને સવાબ પાત્ર છે. [“ફત્હુલ્ બારી” : ભાગ- ર, “ઉમ્દતુલ્ કારી” : ભાગ- પ]
અલ્લાહ તઆલા ફરમાવે છે :
“ઇન્નલ્ હ-સ-નાતિ યુઝ્હિબ્નસ્સિય્યઆત”
(ખચીત નેકીઓ બદીઓને મિટાવી આપે છે.)
હઝરાત મુફિસ્સરીન (રહ.) ફરમાવે છે કે : આ આયતે કરીમામાં નેક કામોથી બધા જ પ્રકારના નેક કામો મુરાદ છે. નમાઝ, રોઝહ, ઝકાત, સદકાત, સારા અખ્લાક, સારા મુઆમલાત વગેરે બધા જ નેક કામો હસનાત શબ્દમાં શામિલ છે, પરંતુ નમાઝને બધા કામોમાં અગ્રીમતા પ્રાપ્ત છે. એવી જ રીતે સિય્યઆત (બુરા કામો)ના શબ્દમાં બધા જ પ્રકારના બુરા કામો શામિલ છે, ચાહે તે કબીરહ ગુનાહ હોય કે સગીરહ ; પરંતુ કુર્આન મજીદની બીજી એક આયત અને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઘણી હદીસોથી આ હકીકત સાબિત છે કે આ ફઝીલત માત્ર સગીરહ ગુનાહો સાથે ખાસ છે.
માટે આયતનો મતલબ આ છે કે નેક કામો જેમાં નમાઝ બધાંથી અફઝલ છે, સગીરહ ગુનાહોનો કફ્ફારહ બની જાય છે અને તેને મિટાવી આપે છે [“મઆરિફુલ્ કુર્આન” : ૪ / ૬૭૭] Log in or Register to save this content for later.