મસ્જિદે નબવી

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 213 to 218)

મસ્જિદે નબવી

                સરકારે દો આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હિજરત કરીને મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહ તશ્‍રીફ લાવ્યા તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મુસલમાનોની ઈબાદત માટે એક સેન્ટર કાઈમ કરવાની જરૂરત સમજી અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એક મસ્જિદ બાંધવાનો હુકમ ફરમાવ્યો.

                હઝરત અબૂ ઐયૂબ અન્સારી (રદિ.)ના મકાનની સામે એક, ઊંચી–નીચી ઝમીનમાં ખજૂરનો બાગ હતો. જયાં ખજૂરો સુકાવીને ખારેકો બનાવવામાં આવતી હતી. (આ તે જ જગ્યા હતી કે જયાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઊંટણી ”કસ્વહ” બેઠી હતી.). આ ઝમીન બે યતીમ છોકરાઓ ”સહલ” અને ”સુહૈલ”ની માલિકીની હતી, અને તેઓ હઝરત અસ્અદ ઈબ્ને ઝુરારહ (રદિ.)ની પરવરિશમાં હતા. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તે યતીમ છોકરાઓને ફરમાવ્યું : ”અમો એક મસ્જિદ બનાવવા માંગીએ છીએ માટે તમારી આ ઝમીન અમોને વેચાતી આપો. બંને યતીમોએ જવાબમાં જણાવ્યું કે અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! અમે આ ઝમીન વગર કિંમતે આપની ખિદમતમાં પેશ કરીએ છીએ. પણ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કિંમત ચૂકવ્યા વગર તે ઝમીન લેવા માટે તૈયાર ના થયા અને દસ દીનારમાં તે ઝમીન ખરીદ ફરમાવી. એ કેવી રીતે શકય હતું કે રહમતુલ્લિલઆલમીન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કે જેઓ, પોતે યતીમીનો તાજ પોતાના માથા ઉપર મુકીને આ દુન્યામાં તશ્‍રીફ લાવ્યા હોય તે યતીમોને તેમના હક્કોથી મહરૂમ રાખે ?

                ઝમીન ખરીદ કર્યા પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હુકમ ફરમાવ્યો કે, ખજૂરોના ઝાડો કાપી નાખવામાં આવે અને ઝમીનને સીધી કરવામાં આવે. ખજૂરના ઝાડો કાપીને, કિબ્લહવાળી દીવાર તરફ ઉભા કરીને તેને જ દીવારની શકલ આપી દેવામાં આવી. એક મુદ્દત સુધી આ જ હાલતમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ નમાઝો અદા ફરમાવી, ત્યાર પછી મસ્જિદ બાંધવાનો ઈન્તિઝામ કરવામાં આવ્યો.

                મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પાયો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના હાથ મુબારકથી નાંખ્યો, સહાબએ કિરામ (રદિ.) મસ્જિદ બાંધવા પથ્થરો લાવતા હતા, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતે પણ, સહાબએ કિરામ (રદિ.)ના સાથે મસ્જિદ બાંધવામાં મશ્ગૂલ રહેતા હતા.

                ૧૪૦૦ વર્ષ પહેલા આ મસ્જિદ એકદમ સાદી પણ પૂર વકાર ઈબાદતની જગા હતી. જેની બાંધણીમાં ખજૂરના પત્તા અને ખજૂરના થડ વાપરવામાં આવ્યા હતા. વરસાદની મોસમમાં છાપરામાંથી પાણી પણ ટપકતું હતું અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તથા આપના સહાબીઓ (રદિ.)તે ભીની જગામાં જ નમાઝ પઢતા હતા. સહનમાં કાંકરીઓ બીછાવવામાં આવી હતી, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે મસ્જિદમાં આરામ ફરમાવતા તો બદન મુબારક ઉપર કાંકરાઓના નિશાનો થઈ જતા હતા.

                દસ વર્ષ સુધી સરકારે દો આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ મસ્જિદમાં નમાઝો અદા ફરમાવી અને આ મસ્જિદ ફકત નમાઝ પૂરતી જ મસ્જિદ ન હતી, પણ ખરેખર એક તરફ દીને ઇસ્લામની તઅ્‌લીમ અને તબ્લીગનું મરકઝ હતી ; તો બીજી તરફ તઅ્‌લીમ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલો દારૂલ ઉલૂમ અને યુનિવર્સિટી હતી, જે ”સુફફહ”ના નામથી પ્રખ્યાત છે. આ જ મસ્જિદમાં ફૌજી છાવણી હતી, જેમાં મુજાહિદીને ઇસ્લામને જિહાદની ટ્રેનીંગ આપવામાં આવતી હતી. અહીંયાં ઝઘડાઓનો નિકાલ કરવા માટે કોર્ટ પણ હતી. ગેર મુસ્લિમોના કાફલાઓ પણ અહીંયા દરબારે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં હાજર થઈ ઇસ્લામ કબૂલ કરતા હતા.

                આ મસ્જિદ ઇસ્લામી તબ્લીગો ત્‌અલીમનું પહેલું મરકઝ બની. આ મરકઝથી ઇસ્લામને તે તરકકી અને શાનો શવકત પ્રાપ્ત થઈ, જે જગતના ઈતિહાસનો કલ્પનાતીત, અવિસ્મરણીય ઘટનાક્રમ છે. દુન્યાની તારીખનો સોનેરી દરવાઝો છે. આ મસ્જિદ અને મરકઝમાં આપવામાં આવેલી તઅ્‌લીમનું જ પરિણામ છે, કે દુન્યામાં હંમેશ એવી હસતીઓ રહી છે, જેમને કુર્આન હિફઝ હતું અને અહાદીસે નબવીમાં મહારત હતી અને ઈન્શા અલ્લાહ જયાં સુધી દુન્યા બાકી છે, ત્યાં સુધી અલ્લાહના ફઝલો કરમથી આવી હસ્તીઓ, દરેક ઝમાનામાં રહેશે.

                સન હિજરી ૭, ફત્હે ખૈબર પછી મુસલમાનોની વધતી જતી વસ્તીના કારણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ નવેસરથી આ મસ્જિદનું બાંધકામ ફરમાવ્યું હતું.

                હાલની મસ્જિદ કે જેનો અમુક ભાગ તુર્કી હુકૂમતનો છે, પરંતુ તેનો વધુ પડતો ભાગ ”સઊદી અરબિય્યહ”ના રાજા અ. અઝીઝ સઊદ સાહેબ અને તેમના વારિસો શાહ ફૈસલ અને શાહ ખાલિદની મહેનતનું પરિણામ છે. સન ઈસ્વી ૧૯પપ માં મસ્જિદનું મોટા પાયે કામ કરવામાં આવ્યું હતું, જેમાં પાંચ કરોડ સઊદી રિયાલ ખર્ચ થયા હતા.

                અત્યારે મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નાં કુલ દસ દરવાઝા છે.(કિબલહવાળી દીવારમાં કોઈ દરવાઝો નથી.)

(૧)બાબે જિબ્રઈલ (અલ.) (ર) બાબુન્‍નિસાઅ (૩) બાબે અ. અઝીઝ

                બાબે જિબ્રઈલ અને બાબુન્‍નિસાઅ, આ બંને દરવાઝા જૂના છે અને બાબે અ.અઝીઝનો વધારો સઊદી હુકૂમતના તરફથી વધારો કરતી વખતે બાંધવામાં આવ્યો. અને આ ખાનદાને સઊદના દાદા અ.અઝીઝ ઈબ્ને મુહમ્મદ ઈબ્ને સઊદની તરફ મન્સૂબ છે.

પશ્ચિમ તરફ ચાર દરવાજા છે.

                (૧) બાબુસ્સલામ (ર) બાબે અબૂબકર (રદિ.) (૩) બાબુર્રહમત (૪) બાબે સઊદ

                ”બાબુસ્સલામ” અને ”બાબુર્રહમત” તો જૂના છે અને બાબુ અબુબકર, અને બાબે સઊદ, આ બંને નવા છે, અને આ પણ સઊદી હુકૂકતની તા’મીરના ઝમાનામાં વધારવામાં આવ્યા.

                જે જગાએ સય્યિદના અબૂબકર સિદ્દીક (રદિ.)નું મકાન હતું, ત્યાં સઊદી હુકૂમતે નવા વધારા વખતે આ એક ઘણું મોટું અગત્યનું કામ અંજામ આપ્યું, કે તે જગાએ ”બાબે અબૂ બકર” બનાવી આપ્યો અને મસ્જિદના અંદરના ભાગે મોટા અક્ષરોએ                         ہذہ     خوخۃ ابی بکر آلصیق  લખીને એક તખ્તી લટકાવી છે.

મસ્જિદની ઉત્તર દિશાએ ૩ દરવાજા છે.

                (૧) બાબે ઉમર (રદિ.) (ર)બાબે અ. મજીદ( જે બાબે મજીદીથી મશ્હૂર છે.) (૩) બાબે ઉસ્માન (રદિ.)

                ”બાબે મજીદી” તુરકોએ બનાવેલો દરવાઝો છે, જે ૧ર૬પ હિજરી માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ સઊદી હુકૂમતે નવા બાંધકામ વખતે, તેની બરાબર તે જ નામનો દરવાઝો બનાવ્યો. ”બાબે ઉમર” અને ”બાબે ઉસ્માન” આ બંને દરવાઝા સઊદી હુકૂમતના બાંધકામ વખતે, વુજૂદમાં આવ્યા.

                વર્તમાન ”સઊદી હુકૂમતે” હરમૈન શરીફૈનની જે અજોડ ખિદમત કરી છે, તારીખમાં એનો કોઈ દાખલો નથી મળી શકતો. આજે દુનિયાના લેટેસ્ટ સાધનોથી, આ હુકૂમત હરમૈન શરીફૈનની ખિદમત કરી રહી છે. પૂરી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને એરકન્ડીશન્ડ કરવામાં આવી છે, જેના માટે મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી ૭ કિલોમીટર દૂર રપ૦૦૦ ટનની કેપેસીટીવાળો એક અત્યા ધુનિક મેગાપ્લાન નાખવામાં આવ્યો છે, જે અવિરત ચાલુ રહે છે, અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના થાંભલાઓમાંથી, ઠંડી ઠંડી હવા બહાર નીકળે છે.

                ખૈર, વાત આ ચાલી રહી હતી, કે મદીના શરીફ પહોંચીને પોતાનો સામાન પોતાના રૂમ ઉપર મુકીને, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થવા માટે, અને રવઝએ અકદસ ઉપર હાજરી આપવાના ઈરાદાથી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જવાનું શરૂ કરો. ખ્યાલ રાખજો, કે આ તે બારગાહે નબવી છે, કે જયાં હઝરત જિબ્રઈલ (અલ.) આવતા હતા અને ફરિશ્તાઓ આ આલી મકામ ઉપર અદબના સાથે હાજર થતા હતા.

લોહ ચુંબકની ય મર્યાદા હશે,

રહમતે આલમથી આકર્ષિત તમામ !”

                તો દુરૂદ શરીફ પઢતાં પઢતાં, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થાઓ અને જો શકય હોય તો ”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો અને દાખલ થતાં પહેલા થોડો સદકો કરી આપો, પહેલાં જમણો પગ અંદર મુકો અને આ દુઆ પઢો :

اَللّٰھُمَّ صَلِّ عَلٰی سَیِّدِنَا مُحَمَّدٍ، وَّ عَلٰی اٰلِہٖ، وَ اَصْحَابِہٖ اَجْمَعِیْنَ۔ اَللّٰھُمَّ اغْفِرْلِیْ ذُنُوْبِیْ، وَ افْتَحْ لِیْ اَبْوَابَ رَحْمَتِکَ۔ اَللّٰھُمَّ اجْعَلْنِیْ الْیَوْمَ مِنْ اَوْجَہِ مَنْ تَوَجَّہَ اِلَیْکَ، وَ اَقْرَبِ مَنْتَقَرَّبَ اِلَیْکَ، وَ اَنْجَحِ مَنْ دَعَاکَ وَ ابْتَغٰی مَرْضَاتِکَ۔

                ”અલ્લાહુમ્મ સલ્લિ અલા સય્યિદિના મુહમ્મદિંવ વ અલા આલિહી વ અસ્હાબિહી અજ્‌મઈન, અલ્લાહુમ્મ ગ્ફિરલી ઝુનૂબી વફ્‌તહ્‌લી અબ્વાબ રહમતિક, અલ્લાહુમ્મજ્‌ અલ્‌નીલ યવ્‌મ મિન અવજુહે મન તવજ્જહ ઈલય્‌ક વ અક્‌રબિ મન તકર્રબ ઈલયક વ અન્‌જહે મન દઆક વબ તગા મરજાતિક.”

                (અય અલ્લાહ ! અમારા સરદાર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર અને આપના બધા સહાબએ કિરામ (રદિ.)ઉપર રહમત ઉતારો. અય અલ્લાહ, મારા ગુનાહોને માફ કરી આપો અને મારા માટે પોતાની રહમતના દરવાજા ખોલી આપો. અય અલ્લાહ ! તમારા તરફ મુતવજ્જેહ થનારાઓમાં સૌથી વધુ મને તમારા તરફ ધ્યાન આપનારો બનાવો. તમારી નઝદીકી હાસિલ કરનારાઓમાં મને સૌથી નઝદીક બનાવો અને જેઓએ તમારાથી દુઆઓ માંગી અને પોતાની મુરાદો માંગી, તેમાં સૌથી વધારે મને કામ્યાબી નસીબ ફરમાવો.)

                થોડીવાર માટે પણ એઅ્‌તિકાફની નિય્યત કરવી મુસ્તહબ છે, એટલે આ નિય્યત કરો કે અય અલ્લાહ જયાં સુધી હું મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં રહું, હું એ’અતિકાફની નિય્યત કરું છું.

Log in or Register to save this content for later.