દરબારે રિસાલતની ફઝીલત

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 202 to 209)

દરબારે રિસાલતની ફઝીલત

કરેં કુછ યૂંહી શોકે દિલ અપના પૂરા

કરેં, આઓ જિકરે દિયારે મદીનહ

                અલ્લાહ તઆલાના પવિત્ર ઘર ”ખાનએ કઅબહ”ના દીદાર અને ”હજ્જ”ના મુબારક ફર્ઝથી ફારિગ થઈ, ઝિંદગીની સૌથી મોટી નેઅમત અને સઆદત, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક રવઝહની ઝિયારત માટે મદીનહ મુનવ્વરહનો સફર કરવો છે.

                આ વાત યાદ રાખો કે તમો પેહલા દિવસે જયારે મકકહ આવ્યા હતા અને આપના મુઅલ્લિમે આપને જે પીળો કાર્ડ આપ્યો હતો, તે મદીનહ મુનવ્વરહ જતી વખતે આપનાથી માંગશે, કારણ કે એ કાર્ડની મદદથી આપની પાસપોર્ટ શોધવામાં આવશે અને તમો જે બસમાં જશો તે બસના ડ્રાઈવરને આપવામાં આપશે અને ડ્રાઈવર મદીનહ મુનવ્વરહ પહોંચીને તે બધી પાસપોર્ટો ત્યાંના મુઅલ્લિમને પહોંચાડશે.

                મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતની તડપ અને શોખ દરેક મુસ્લિમના દિલમાં હોય છે અને આ એક એવી હકીકત છે, જેના માટે કોઈ જ દલીલની જરૂરત નથી.

                મુલ્લા અલી કારી (રહ.) કે જેઓ ફિકહ હનફીના મોટા આલિમ તથા મુહદ્દિસ તરીકે પ્રખ્યાત છે, એમણે લખ્યું છે કે અમુક હઝરાતને છોડીને (જેઓનો વિરોધ તદ્દન માન્ય નથી) સઘળા મુસ્લિમો આ વાત ઉપર સંમત છે, કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત મહાન ઈબાદત છે અને ઉચ્ચ દરજાઓ સુધી પહોંચવા માટે આ એક મોટું સાધન અને હથિયાર છે, એનો દરજો વાજિબના લગભગ છે. અને અમુક ઉલમાના નઝદીક, ગુંજાઈશ તથા તાકતવાળા લોકો માટે વાજિબ છે. ગુંજાઈશ અને તાકત હોવા છતાં, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત માટે હાજર ના થવું, મોટી બદબખ્તી અને છેલ્લી કક્ષાની કમનસીબી તથા બેમુરૂવ્વતી છે.

                એટલા માટે જે માણસ હજ્જમાં જાય, તેણે ”મદીનહ મુનવ્વરહ” હાજરી આપવી જોઈએ. હદીસોમાં એની ઘણી જ તાકીદ અને તરગીબ આવી છે.

لا تُشَدُّوا الرِّحالُ الا اِلٰی ثَلٰثَۃِ مَسَاجِدَ، الْمَسْجِدُ الْحَرَام وَ الْمَسْجِدُ الاقْصٰی وَ مَسْجِدِی ھٰذا۔     (بخاری شریف(

                એટલે કે ”સવાબની નિય્યતથી સફર ન કરો પણ આ ત્રણ મસ્જિદો માટે (૧) મસ્જિદે હરામ (ર) મસ્જિદે અકસહ (૩) મારી આ મસ્જિદ (મસ્જિદે નબવી)

                એટલે કે આ ત્રણ મસ્જિદો જ એવી છે, કે એની ઝિયારત માટે સફર કરવામાં પણ સવાબ મળે છે.

                દરબારે રિસાલત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં હાજરી આપવાની બરકતો, અને ફઝીલતો નું શું પુછવું ! આ મુબારક જગાએ આપણે અદબો એહતિરામનો શકય એટલો ખ્યાલ રાખવો જોઈએ. આ ગલીઓમાં અવલિયાએ કિરામે, મુદદતો સુધી પગમાં જોડાં નથી પહેર્યા, અને આ મુબારક ઝમીનનો ખૂણે ખૂણો બરકતવાળો છે.

                હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે કે : ”જેને મદીના સુધી પહોંચવાની ગુંજાઈશ હોય, તે છતાં તે મારી ઝિયારત માટે ના આવે (એટલે કે ફકત હજ્જ કરીને પાછો ચાલ્યો જાય) તેણે મારી સાથે ઘણી બેમુરુવ્વતી કરી.”

                આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ પણ ફરમાવ્યું : ”મારી વફાત પછી જેણે મારી કબ્રની ઝિયારત કરી, તો એ એવું જ છે, કે જાણે મારી ઝિંદગીમાં મારી ઝિયારત કરી.”

                હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, કે જે મારી ઝિયારત માટે આવ્યો હોય અને ઝિયારત વગર, બીજી કોઈ નિય્યત નહિ હોય, તેનો મારા ઉપર હક થઈ ગયો, કે હું તેની સિફારિશ કરું.

                દુન્યામાં કોણ એવો માણસ હશે કે જેને કયામતના ભયાનક, હોશ ઉડાવી દેનાર દ્રષ્ય વેળાએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સિફારિશની જરૂરત ના હોય ? અને તે માણસ કેટલો ખૂશનસીબ છે, કે જેના વિશે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે, કે તેની સિફારિશ કરવી મારા માથે છે.

                હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કબર મુબારકની ઝિયારત માટે સફર કરવો સહાબએ કિરામ (રદિ.) તથા તાબિઈન (રદિ.)થી સાબિત છે.

                હઝરત બિલાલ (રદિ.) બયતુલ મુકદ્દસ ફતેહ થઈ ગયા પછી , હઝરત ઉમર (રદિ.)ની પરવાનગીથી (સીરીયા) દેશ રહેવા ચાલ્યા ગયા હતા અને ત્યાં જ નિકાહ પણ કરી લીધા. તે પછી એક દિવસે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખ્વાબમાં ઝિયારત થઈ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે બિલાલ ! આ શું ઝુલ્મ છે ! શુ મારી ઝિયારતનો વખત મળતો નથી ? આ ખ્વાબ જોતાં જ હઝરત બિલાલ (રદિ.) ઘણા જ પરેશાન અને ગમગીન થઈ ગયા અને તરત ઊંટણી ઉપર સવાર થઈ, મદીનહ મુનવ્વરહ હાજર થયા. હઝરત હસન અને હઝરત હુસૈન (રદિ.) એમની પધરામણીની ખબર સાંભળી તશ્‍રીફ લાવ્યા અને એમને વિંટળાઈ પડયા. એમનાથી અઝાન કહેવાની અરઝ કરી, આ વહાલસોયા સાહબઝાદાઓની ફરમાઈશને માન આપી હઝરત બિલાલ (રદિ.)એ અઝાન આપી, અઝાનનો અવાઝ સાંભળી ઘરોમાંથી મરદો, ઓરતો બેચેન થઈ, રૂદન કરતાં કરતાં બહાર નીકળી પડયા અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનાની યાદે, દરેકને તડપાવી નાંખ્યા. આ કિસ્સો અહીંયા ટાંકવાનો હેતૂ આ છે, કે ઝિયારત માટે સફર કરવો હઝરત બિલાલ (રદિ.)થી સાબિત છે.

                અનેક રિવાયતોમાં છે, કે હઝરત ઉમર બિન અ.અઝીઝ (રહ.) ખાસ ”શામ”થી ઊંટ સવારને એટલા માટે ”મદીનહ મુનવ્વરહ”મોકલતા હતા કે કબર મુબારક ઉપર તેમની સલામ પહોંચાડે.

                હઝરત શૈખ મુહદિદસ દહેલ્વી (રહ.) પોતાની કિતાબ ”જઝબુલ કુલૂબ” માં લખે છે કે : ”ખૂબ જાણી લો, કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતનો ઈરાદો કરવો અને મસ્જિદે નબવીની ઝિયારતથી બાબરકત થવું મકબૂલ હજ્જના બરાબર છે, અરે જે હજ્જ કરીને આવ્યા છો, તેના કબૂલ થવાનો સબબ અને વાસ્તો પણ આ જ છે.

                મદીનહ મુનવ્વરહ જાઓ, તો ”રવઝએ પાક” અને ”મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) બંનેની ઝિયારતની નિય્યત કરો. અમુક મુહક્કિકીને, ફકત ”રવઝએ પાક”ની ઝિયારતની નિય્યતને વધારે સારૂ કહયું છે. સારું એ છે, કે ખુદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતની નિય્યત કરે.

                હદીસ શરીફમાં છે કે અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓની એક જમાઅત પેદા કરી છે, જે ઝિયારતના ઈરાદો કરનારાઓના દુરૂદોના તોહફાને દરબારે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં પહોંચાડે છે અને કહે છે કે, ફલાણો માણસ ઝિયારત માટે આવી રહયો છે, અને આ તોહફો મોકલ્યો છે.

                બીજી હદીસમાં છે, કે જયારે મદીનહ મુનવ્વરહની ઝિયારત કરવાવાળો, મદીનહ મુનવ્વરહના કરીબ પહોંચે છે, તો રહમતના ફરિશ્તાઓ હદિયાઓ લઈને, તેનો ઈસ્તિકબાલ કરે છે, અને જાત જાતની ખૂશખબરીઓ સંભળાવે છે. (જઝબુલ કુલૂબ)

                તમો જો હજ્જ પછી મદીનહ મુનવ્વરહ જઈ રહયા છો તો તવાફે વિદાઅ કરવાનું ભૂલશો નહિ. અને પોતાનો બધો જ સામાન (ઝમઝમનું પાણી પણ) સાથે લઈ જશો, કારણ કે હવે તમારે મદીનહ મુનવ્વરહથી સીધા જ જિદ્દહ જવાનું થશે અને ત્યાંથી હવાઈ માર્ગે પોતાના વતન પાછા ફરવાનું થશે.

                જો તમો કોઈ કારણ સર ઝમઝમનું પાણી મદીનહ શરીફ સાથે નથી લઈ જઈ શકતા તો યાદ રાખો કે મદીનહ શરીફમાં પણ ઝમઝમના પાણી ભરવાનો ઈન્તિઝામ રહે છે, હય્ય અલસ્સલાહ (જમણી) તરફ જયાં ઓરતોની નમાઝનો વિભાગ છે, તેના બહાર ખુલ્લા સહેનના છેવાડે ઝમઝમના પાણીની સબીલ (નળો) લાગેલા છે, ત્યાં જઈ કેનમાં પાણી ભરી શકો છો.

                અને જો હજ્જ પહેલાં મદીનહ મુનવ્વરહ જઈ રહયા છો, તો ફકત જરૂરત પુરતો જ સામાન સાથે લઈ જવો.

                ”મકકહ મુકર્રમહ”થી જુદાઈના રંજ અને ગમને ”મદીનહ મુનવ્વરહ”ની હાજરી અને રવઝએ પાકની ઝિયારત અને બારગાહે નબુવ્વતમાં હાજરીની ખૂશીઓથી દૂર કરો. મસ્ત થઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદો સલામ પઢો :

اَللّٰھُمَّ صَلِّ عَلٰی سَیِّدِنَا مُحَمَّدٍ وَ عَلٰی آلِہِ وَ اَصْحَابِہِ وَ بَارَکْ وَ سَلَّمْ کَمَا تُحِبُّ وَ تَرْضٰی عَدَدَ مَا تُحِبُّ وَ تَرْضٰی۔

                હવે તમો હર ઘડી મકકહ મુકર્રમહથી દૂર અને મદીનહ મુનવ્વરહથી કરીબ થઈ રહયા છો, પણ છો તો બે હરમો વચ્ચે જ.

                ”મકકહ મુકર્રમહ”થી ”મદીનહ મુનવ્વરહ” ૪૮પ કિલો મીટર દૂર છે, ૭ થી ૮ કલાક પહોંચતા થાય છે. પૂરા રસ્તામાં એવો ખ્યાલ જમાવવો કે બંને જહાનના સરદાર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દરબારમાં હાજર થવાનું છે. અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જ પોતાનું ધ્યાન રહે, અને પૂરા રસ્તામાં સલામ અને દુરૂદનો જ વઝીફો પઢતા રહેવું જોઈએ.

                ”મકકહ મુકર્રમહ”થી ”મદીનહ મુનવ્વરહ” સફર કરવાની હાલતમાં આપણા માનસ પટલ પર વિચારો અને ખ્યાલો ૧૪૦૦, વર્ષ પાછળ ચાલ્યા જાય છે, કે આફતાબે રિસાલત, મકકહમાં ઉગ્યો, અને તેની કિરણો ”મદીનહ મુનવ્વરહ”ના આકાશેથી એવી રીતે ચમકી કે પૂરી દુન્યા, તેનાથી રોશન થઈ ગઈ. જયારે કુફફારે કુરૈશે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મકાનનો ઘેરો કરી લીધો તો અલ્લાહ તઆલાના હુકમથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હસરત ભરી નઝરોથી, મકકહ મુકર્રમહને અલવિદાઅ કહયું. હઝરત અબૂ બક્ર (રદિ.)ના સંગાથે રાતના અંધારામાં આ સફરની શરૂઆત કરી અને જયારે કઅબતુલ્લાહ ઉપર નઝર પડી, તો ફરમાવ્યું : ” અય મકકહ ! તુ મને પૂરી દુન્યાથી વધારે પ્યારું છે, પણ તારા ફરઝંદો મને અહીંયા રહેવા નથી દેતા.

                અને ”મદીનહ મુનવ્વરહ” તરફ સફર શરૂ કરી અને ”જબલે સૌર”ની ટોચ ઉપર હઝરત અબૂ બક્ર (રદિ.)ની સંગાથે ત્રણ દિવસ કિયામ કર્યો.

                બીજી બાજુ ”મદીનહ મુનવ્વરહ”નાં દરો દિવાર, આ ખૂશ ખબરીથી ગૂંજી ઉઠે છે કે રહમતુલ લ્લિઆલમીન હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) મદીનહ મુનવ્વરહ તશ્‍રીફ લાવી રહયા છે, તો ”મદીનહ મુનવ્વરહ”નો દરેક રહેવાસી (નાના, મોટા, યુવાન, વૃધ્ધ, ઓરતો, છોકરાઓ) અહિ સુધી કે ઝાડ–પાન વનસ્પતિ વગેરે દરેક વસ્તુ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઈન્તિઝારમાં હતી. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક ચહેરાનો દીદાર કરવા, દરરોજ બધા મદીનહ શહેરથી બહાર આવીને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના આવવાનો ઈન્તિઝાર કરે છે અને તડકો થયા પછી નિરાશ થઈ પોત પોતાના ઘરે પાછા ચાલ્યા જાય છે, આ જ પ્રમાણે દરરોજ થતું હતું. એક દિવસ જયારે અન્સારીઓ રાહ જોઈને પોત પોતાના ઘરે પાછા જઈ ચુકયા હતા કે એક યહૂદીની નઝર અચાનક આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાફલહ ઉપર પડી અને તેનાથી સબ્ર ના થઈ શકી, અને બોલી ઉઠયો : ” અય અરબવાળાઓ, સાંભળો ! જેની રાહ જોવાતી હતી, તે આવી ગયા છે.”

                અન્સાર હથિયારો સાથે રહમતે આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઈસ્તિકબાલમાં નીકળી પડયા. અજીબો ગરીબ મંઝર હતો, અન્સારના મઅસૂમ બચ્ચાઓ પોતાની મઅસૂમ અને સુંદર અવાઝમાં હર્ષઘેલાં થઈ ગીતો ગાતા હતા. દરેક કબીલાવાળા ચાહતા હતા, કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મેઝબાનીનો શર્ફ તેને મળે, દરેક આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને કહેતા, ”આ ઘર આ માલો ઝર, અને જાને અઝીઝ બધું આપ ઉપર કુર્બાન છે, પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવતા, કે મારી ઊંટણી ”કસ્વહ”ને છોડી આપો, અલ્લાહ તઆલાનો જયાં હુકમ હશે ત્યાં રોકાઈ જશે ! આખરે ”કસ્વહ” તે જગા ઉપર બેસી ગઈ, કે જયાં આજે ”મસ્જિદે નબવી” છે.

                હઝરત અબૂ ઐયૂબ અન્સારી (રદિ.) દોડતા દોડતા, ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં હાજર થયા અને અર્ઝ કર્યું કે અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ સઆદત મારા જ કિસ્મતમાં લખાયેલી છે, કારણ કે અહીંયાથી મારું જ મકાન નઝદીક છે. હઝરત અબૂ ઐયૂબ અન્સારી (રદિ.)એ ઊંટણીનો કઝાવો (કાઠી) ઉઠાવી લીધો, અને પોતાના બે માળના મકાનમાં સરકારે દો જહાં (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને લઈ ગયા, જયાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) લગભગ સાત મહિના સુધી રહયા.

                ”સઊદી હુકૂમતે” મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહ સુધી, ડબલ લાઈન પાકી સડક બનાવી છે આ તે જ રસ્તો છે, જે રસ્તે થી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર કર્યો હતો અને એ કારણે આ સડકનું નામ પણ ”શારિઉલ હિજરત” (હિજરતનો રસ્તો)રાખવામાં આવ્યું છે.આ સડકના કારણે મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર ઘણો જ આસાન થઈ ગયો છે.

                આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો સફર હઝરત અબૂ બક્ર સિદ્દીક (રદિ.)ના મકાનથી શરૂ થયો હતો અને ”મદીનહ મુનવ્વરહ”ની એક વસ્તી ”કુબા” પર પૂરો થયો હતો. આ સડક પણ ”કુબા” થઈને ”મદીનહ મુનવ્વરહ” જાય છે. આ સડકની આસાનીનો અંદાઝ એનાથી લગાવી શકાય છે, કે જો ઈશાની નમાઝ હરમે મકકહમાં જમાઅત સાથે પઢીને, કોઈ સારી ટેક્ષીથી મદીનહ મુનવ્વરહનો સફર કરવામાં આવે, તો ઈન્શાઅલ્લાહ ફજરની નમાઝ મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં જમાઅત સાથે પઢી શકાય છે. અને અમુક વખતે તો, તહજજુદના ટાઈમે, ”મદીનહ મુનવ્વરહ” પહોંચી જવાય છે.

                એ પણ યાદ રાખો કે સઊદિય્યહમાં લગભગ અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ખાસ કરીને ફજરની અઝાનથી એક કલાક પહેલાં, તહજજુદની અઝાન પણ આપવામાં આવે છે.

                ”મદીનહ મુનવ્વરહ” જતાં રસ્તામાં ગુસલ કરવાનો કે કપડાં બદલવાનો મૌકો નથી મળતો, માટે મદીનહ મુનવ્વરહ રવાનગી પહેલાં જ ”મદીનહ મુનવ્વરહ” હાજરીની નિય્યતથી ગુસલ કરી, કપડાં બદલી લો અને ખુશ્બૂ પણ લગાવી લો.

                એક ઝમાનો એ પણ હતો, કે આ જાતની રાહતોનું નામો નિશાન ન હતું, ૧૪૦૦ (એક હજાર ચારસો વરસ)થી લોકો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પ્રત્યેના અખૂટ ઈશ્ક અને અતૂટ હૃયભાવને કારણે જાત જાતની તકલીફો અને હિંમત છોડાવી દેનાર ખતરાઓને વેઠીને પણ મદીનહ મુનવ્વરહનો સફર ખેડતા હતા. લગભગ ૪૮પ કિલો મીટર આ લાંબા રાસ્તાને શમ્એ મુહમ્મદીના લાખો પરવાનાઓએ આ પહાડો અને વાદીઓમાં ”મર્યા કે માર્યા ગયા” ”લુંટાયા કે પોતાના કાફલાથી વિખુટા પડી ગયા” ”રેતીના ઢગલા અને પહાડોમાં રસ્તો ભૂલો પડી ગયા અને કયાંથી કયાં નીકળી ગયા વગેરે પ્રકારની જાત જાતની તકલીફો વેઠીને કાપ્યો. આજે અલ્લાહનો શુક્ર અદા કરો, કે તમે હવાથી વાતો કરતા કરતા, કોઈ પણ જાતના ખતરા કે ખૌફ વગર બેધડક, શાંતિના સાથે, થોડાક જ કલાકોમાં ”રવઝએ અતહર” ઉપર મહબૂબે ખુદાના, દરબારમાં પહોંચી જાઓ છો., અલ્‌હમ્દુલિલ્લાહી અલા ઝાલિક.

Log in or Register to save this content for later.