Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 193 to 198)
મકકહ મુકર્રમહની કાબિલે ઝિયારત મુબારક જગાઓ
(૧) મવલદુન્નબી (રસૂલુલ્લાહ, સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પૈદાઈશની જગા)
મકકહ મુકર્રમહની પહાડી ”અબૂ કુબૈસ”ના નઝદીક ”કશાશહ” મહોલ્લામાં ”સૂકુલ્લય્લ” નામી ગલીમાં આ મકાન આવેલું છે.આ મકાનમાં બની નવએ ઈન્સાનની તે સૌથી મોટી હસ્તીની પૈદાઈશ થઈ જે ઈન્સાનો માટે ”રહમતે ઈલાહી” સાબિત થઈ. જો કે ૧૪૦૦ વર્ષ પહેલાંની પોતાની અસલી હાલત ઉપર આ મકાન નથી, પણ હાલનું મકાન તે જ અસલી જગા ઉપર છે, કે જયાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વાલિદ જનાબ અબ્દુલ્લાહનું મકાન હતું અને જયાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પૈદાઈશ થઈ. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ૧ર રબિઉલ અવ્વલ, મુતાબિક ર૩, એપ્રિલ પ૭૭, ઈસ્વીના રહમતે આલમ બનીને આ દુન્યામાં તશ્રીફ લાવ્યા હતા.
આજકાલ આ ઈમારતમાં ”સઉદી હુકૂમતે” એક કુતુબ ખાનું બનાવ્યું છે. ટેક્ષી સ્ટેન્ડની પાસે જ આ બરકતવંત મકાન આવેલું છે અને તેના નઝદીક પોલિસ ચોકી પણ છે. અહિંયા પહોંચવાની આસાન રીત આ છે, કે સફા પહાડીની નઝદીક કોઈપણ દરવાજાથી હરમ શરીફથી બહાર આવી જાઓ, અને જમણા હાથની તરફ સીધાજ પહાડીના નીચે, મકાનોની લાઈનમાં આગળ ચાલતા રહો, લગભગ બે ફર્લાંગ ચાલ્યા પછી જમણી બાજુ આ મકાન આવશે.
(ર) જન્નતુલ મુઅલ્લા :(મકકહ મુકર્રમહનું મશ્હૂર અને તારીખી કબ્રસ્તાન) કે જે કબ્રસ્તાન મદીનહ મુનવ્વરહના કબ્રસ્તાન (જન્નતુલ બકીઅ) પછી બધા જ કબ્રસ્તાનોથી અફઝલ છે. આ કબ્રસ્તાનમાં સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ) અને તાબિઈન (રદિયલ્લાહુ અન્હુમ) અને નેક લોકોની ઝિયારતની નિય્યતથી જવું જોઈએ અને આટલો ખ્યાલ રાખવો જોઈએ કે ત્યાં કોઈ પણ વાત સુન્નતના ખિલાફ થવા ના પામે.
જયારે પણ કોઈ કબર ઉપર ફાતિહા ખ્વાની કરો, તો કિબ્લહ તરફથી મય્યિતના પગો તરફથી આવો, તેના માથા તરફથી કબરના સામે ના આવો અને આ શબ્દોમાં સલામ પઢો :
اَلسَّلامُ عَلَیْکُمْ دَارَ قَوْمٍ مُؤْمِنِیْن اَنْتُمْ سَبَقُنَا وَ اِنَّا انْشَاء اللّٰہُ بِکُمْ لاحِقُوْن، نَسْأَلُ اللّٰہَ لَنَا وَ لَکُمْ الْعَافِیَۃ۔
અને ત્યાર પછી ઉભા રહી અથવા બેસીને, યાસીન શરીફ, અથવા સૂરએ ઈખ્લાસ ૧૧ અથવા ૭ વખતે યા પ વખતે પઢીને તેનો સવાબ તે મય્યિતને પહોંચાડી આપો, એટલે કે આ પ્રમાણે નિય્યત કરો, કે અય અલ્લાહ મેં જે કંઈ પઢયું છે તેનો સવાબ ફલાણાને પહોંચાડી આપો. યાદ રાખો કે કબરોના ઉપર બેસવું કે ચાલવું નહિ.
જન્નતુલ મુઅલ્લાના બે ભાગ કરી, વચમાં સડક બનાવવામાં આવી છે, આ સડક મિના જાય છે, અને મિના જનાર બસો વગેરે અહીંયાથી જ પસાર થાય છે.
જન્નતુલ મુઅલ્લાના ઉત્તર વિભાગમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પહેલી બીવી (પત્નિ) ઉમ્મુલ મુઅ્મિનીન હઝરત ખદીજતુલ કુબરા (રદિ.)ની કબર છે. એ સિવાય આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સુપુત્રો હઝરત કાસિમ (રદિ.), હઝરત તાહિર (રદિ.) અને હઝરત તૈય્યિબ (રદિ.) તેમજ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દાદા જનાબ અબ્દુલમુત્તલિબ, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા જનાબ અબૂતાલિબની કબરો પણ આ જ કબ્રસ્તાનમાં છે.
હઝરત અસ્મા બિન્તે અબી બક્ર (રદિ.), હઝરત અ.ર્રહમાન બિન અબી બક્ર (રદિ.), હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.), હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર (રદિ.), હજરત ફુઝૈલ બિન અબ્બાસ (રદિ.) વગેરેની કબરો પણ આ જ કબ્રસ્તાનમાં છે.
પહેલાં આ કબ્રસ્તાનમાં દાખલ થવાની મનાઈ હતી, હવે ખુલ્લું રહે છે. અને લોકો શાંતિથી હઝરત ઉમ્મુલ મુઅ્મિનીનની કબર ઉપર, ફાતિહા ખ્વાની કરે છે.
(૩) મસ્જિદુર્રાયહ : મસ્જિદે જિનનાં નઝદીક, સીધા હાથે મસ્જિદુર્રાયહ આવેલી છે. રાયહનો અર્થ ઝંડો થાય છે. આ તે જગા છે કે જયાં ફત્હે મકકહના મૌકા ઉપર આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાનો ઝંડો લહેરાર્વ્યો હતો.
(૪) મસ્જિદે જિન : આ મસ્જિદ ”જન્નતુલ મુઅલ્લા” કબ્રસ્તાનની પાસે છે. તેને મસ્જિદે બયઅત પણ કહેવામાં આવે છે. અહીંયાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જિન્નાતોથી બયઅત કરી હતી. તે ઝમાનામાં આ એક ખુલ્લુ મૈદાન હતું, પણ હવે ત્યાં એક ખૂબ સૂરત મસ્જિદ બની ગઈ છે.
(પ) જબલુન્નૂર : (ગારે હિરા) મકકહ મુકર્રમહથી મિના જવાના રસ્તા ઉપર લગભગ ૩ માઈલ દૂર જબલુન્નૂર આવેલો છે, જે લગભગ ર૦૦૦ ફૂટ ઊંચો છે અને તેની ચોટી ઉપર તે પવિત્ર ગાર છે, કે જેને ”ગારેહિરા” કહેવામાં આવે છે. ઇસ્લામની તારીખમાં એનું આગવું સ્થાન છે. હિદાયતે ઈલાહીનું નૂર, પૂરી દુન્યામાં અહીંયાથી જ ફેલાયું, સૌથી પહેલા વહી અહીંયા જ ઉતરી હતી અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને રિસાલતના હોદ્દા ઉપર અહીંયાથી જ ફાઈઝ કરવામાં આવ્યા. નબુવ્વત મળતાં પહેલા આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ ગારમાં આવીને ઈબાદત કરતા હતા.
(૬) જબલે સૌરઃ મકકહ મુકર્રમહથી લગભગ ૬ માઈલ દૂર એક પહાડ છે, જેનું નામ જબલે સૌર છે. મકકહ મુકર્રમહથી મદીના મુનવ્વરહ હિજરતના મૌકા ઉપર આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હઝરત અબૂબક્ર (રદિ.)ના સાથે આ પહાડ ઉપર ત્રણ રાતો થોભ્યા હતા. આ પહાડ ઉપર ચઢવા માટે લગભગ બે કલાક થાય છે. કમઝોર અને ઝઈફ લોકોએ આના ઉપર ચઢવાની કોશિશ કરવી નહિ, ઘણી વખત એમ બને છે કે ચઢતા ચઢતા નીચે ગબડી પડાય છે. ”સઉદી હુકૂમત” લગભગ ત્યાં જવાથી રોકે છે ફકત પ્રાઈવેટ ગાડીઓ જ ત્યાં જાય છે.
(૭) હઝરત ખદીજતુલ કુબરા (રદિ.)નું મકાનઃ આ હઝરત ખદીજતુલ કુબરાનું મકાન છે, કે જયાં સરવરે કાઈનાત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મદીનહ મુનવ્વરહની હિજરત કરતાં સુધી, કિયામ ફરમાવ્યો હતો અને આ જ મકાનમાં હઝરત ફાતિમતુઝઝહરાઅ (રદિ.)ની પૈદાઈશ થઈ હતી. અને હઝરત ઇબ્રાહીમ (રદિ.)ના સિવાય, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની બાકીની અવલાદની પૈદાઈશ પણ આ જ મકાનમાં થઈ હતી. હરમ શરીફ પછી આ જગ્યા મકકહ મુકર્રમહમાં સૌથી અફઝલ છે. સફા–મરવહ તરફ મરવહની બહાર નીકળશો, તો સામે છત્તા બજારમાં દાખલ થતાં જ જમણી બાજુ, ગલીમાં આ મકાન છે. લોકો બહારથી જ ઝિયારત કરી લે છે. અહીંયા એક દારૂલ હુફફાઝ બનાવવામાં આવ્યું છે, જયાં છોકરાઓ હાફિઝ થાય છે.
(૮) મસ્જિદે આઈશા : આ મસ્જિદને ”મસ્જિદે તન્ઈમ” પણ કહેવામાં આવે છે, જયાંથી ઉમરહ માટે એહરામ બાંધવામાં આવે છે. આ મસ્જિદ હુદૂદે હરમથી બહાર છે અને મકકહ મુકર્રમહથી ત્રણ માઈલ દૂર, મદીના રોડ ઉપર આવેલી છે. ત્યાં જવા માટે હંમેશા મીની બસો હરમ શરીફના બહાર ”બાબે અ.અઝીઝ”ના સામેથી મળી જાય છે. મકકહ મુકર્રમહ થોભવાના ઝમાનામાં, જો તમો ઉમરહ કરવા માંગતા હોય તો આ મસ્જિદે જવું, ત્યાં ગુસલ વગેરેનો પૂરો ઈન્તિજામ છે. ત્યાંથી એહરામ બાંધીને મસ્જિદે હરામમાં આવી ઉમરહ અદા કરો.
ઈમામ અબૂહનીફહ (રહ.)ના નઝદીક ઉમરહના એહરામ માટે મકકહ મુકર્રમહથી બહાર નીકળવું જરૂરી છે. અને તે માટે આ મકામે ”તન્ઈમ” જેને ”મસ્જિદે આઈશહ” પણ કહેવામાં આવે છે, ત્યાં જઈ એહરામ બાંધીને, ઉમરહ કરવા આવે. અને દલીલમાં હઝરત આઈશહ (રદિ.)ની આ હદીસ પેશ ફરમાવે છે, કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઉમરહના એહરામ માટે, તેમને ”તન્ઈમ” મોકલ્યા હતા. પૂરો કિસ્સો આ પ્રમાણે છેઃ
હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે, કે અમો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ના સાથે, ઝિલ્હજ્જનો ચાંદ જોઈને ચાલ્યા હતા, તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે જે માણસ ઉમરહનો એહરામ બાંધવા માગે તે ઉમરહનું એહરામ બાંધે, અને જે હજ્જનું એહરામ બાંધવા માંગે તે હજ્જનું એહરામ બાંધે અને જો હૂં હદી (કુર્બાનીનું જાનવર)ના લાવ્યો હોત તો, હું પણ ઉમરહનું એહરામ બાંધત. તો સહાબએ કિરામ (રદિ.)માંથી અમુકે ઉમરહનું એહરામ બાંધ્યું અને અમુકે હજ્જનું એહરામ બાંધ્યું. હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે, કે હું તે લોકોમાંથી હતી, જેમણે ઉમરહનું એહરામ બાંધ્યું હતું. પરંતુ મકકહ મુકર્રમહ પહોંચતા પહેલાં, મને માસિક આવી ગયું, અને એ જ હાલતમાં અરફહનો દિવસ આવી ગયો, મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી આ વસ્તુની શિકાયત કરી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, કે તમો ઉમરહ છોડી આપો અને માથું ખોલીને બાલ ઓળી લો અને હજ્જનું એહરામ બાંધી લો. ખુલાસો એ કે હઝરત આઈશહ (રદિ.)એ હજ્જથી ફારિગ થઈ,પોતાના તે છૂટેલા ઉમરહના બદલે બીજા એક ઉમરહનું એહરામ બાંધ્યું હતું અને તે એહરામ માટે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત આઈશહ (રદિ.)ને ”તન્ઈમ” મોકલ્યા હતા, અને અલ્લાહ તઆલાએ હઝરત આઈશહ (રદિ.)ના હજ્જ તથા ઉમરહને કબૂલ કર્યા. આ વાકિઅહથી માલૂમ પડે છે કે મકકહવાળાઓને ઉમરહના એહરામ માટે હરમની બહાર જવું પડશે.
(૯) જબલે અબૂ કુબૈસ :ઝમાનએ જાહિલિય્યતમાં આ પહાડનું નામ ”અમીન” હતું કેમકે ”હજરે અસ્વદ” તુફાને નૂહના સમયથી અહિંયાજ અમાનતના તોર પર મહફૂઝ હતો. ”અબૂ કુબૈસ” નામના એક માણસે એ પહાડ ઉપર પોતાનું ઘર બાંધ્યું હતું એટલે લોકો એને ”જબલે અબી કુબૈસ” કહેવા લાગ્યા.
આ પહાડી, સફા પહાડીના નઝદીક, બયતુલ્લાહ શરીફના બિલ્કુલ સામે છે. જો તમોઝમઝમના કુવા તરફથી હઝરે અસ્વદ તરફ નિગાહ કરશો, તો સામે જ આના ઉપર પણ નઝર પડશે.(આજ કાલ આ પહાડ ઉપર શાહ ફહદનો એક ખૂબ સૂરત મહેલ બાંધવામાં આવ્યો છે જેના કારણે આ પહાડ ઢંકાઈ ગયો છે.) મકકહ મુકર્રમહના બધા પહાડોમાં આ પહાડ સૌથી અફઝલ પહાડ છે. હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે ”જબલે અબૂ કુબૈસ” સૌથી પહેલો તે પહાડ છે, જે દુન્યામાં જોવાયો. અને બીજી એક રિવાયત પ્રમાણે ”તુફાને નૂહ” (અલયહિસ્સલામ) પછી હજરે અસ્વદ, આ જ પહાડમાં અમાનતના તૌર પર મહફૂઝ રહયો. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ”શકકુલ કમર” (આંગળીના ઈશારાથી ચાંદના બે ટુકડા થવાનો મશ્હૂર કિસ્સો) કે જેનું કુર્આન શરીફમાં પણ વર્ણન છે, તે મુઅજિઝહ, આ પહાડ ઉપરથી જ દુન્યાવાળાઓને બતાવ્યો હતો. આ પહાડ ઉપર એક મસ્જિદ છે, જે ”મસ્જિદે બિલાલ” થી મશ્હૂર છે,પણ ઈતિહાસકારોનું કહેવું છે કે આ મસ્જિદનું સહીહ નામ ”મસ્જિદે હિલાલ” (હિલાલનો અર્થ ચાંદ થાયછે.) છે, કેમકે મકકહ મુકર્રમહ, વાદીઓથી ઘેરાયેલું શહેર છે, એટલે આ પહાડ ઉપરથી જ ચાંદ જોઈ શકાય છે, તેમજ ”શકકુલ કમર”નો કિસ્સો પણ અહીંયાં જ થયો હતો. આ મસ્જિદમાં નફલ પઢવી તેમજ દુઆ કરવી સવાબનું કામ છે અને દુઆ કબૂલ પણ થાય છે.
(૧૦) મહોલ્લા બની હાશિમ : આ મહોલ્લો ”અબૂ કુબૈસ” પહાડીની પાસે ”મવલદુન્નબી”ના પશ્ચિમ ભાગ તરફ ગલીના અંદર છે. આ પૂરો મહોલ્લો ઘણો અફઝલ છે, અહીંયા ઘણી ગલીઓ છે, તેમાંની એક ગલીમાં ”શારિઉ બની હાશિમ” છે. આ તે જ મહોલ્લો છે, કે જયાં કુરૈશ ખાનદાન આબાદ હતું અને બનૂ હાશિમ કુટુંબના સરદાર અ.મુત્તલિબ, કે જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દાદા અને કઅબહના મુતવલ્લી હતા, અહીંયા જ વસેલા હતા. આ જ ગલીઓમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને આપના બુઝુર્ગો, તેમજ હઝરત અલી (રદિ.)એ પોતાનો ઝમાનો ગુજાર્યો, અને આ તે જ ઘાટી છે, જેને ઇસ્લામી તારીખમાં ”શુઅબે અબિ તાલિબ”ના નામથી ઓળખવામાં આવે છે, કે જયાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તથા આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ખાનદાનના લોકોએ ત્રણ વર્ષ સુધી, કુફફારે મકકહના ઝુલ્મથી બહિષ્કાળનો મુશ્કિલ તરીન ઝમાનો ગુજાર્યો હતો.
Log in or Register to save this content for later.