ઓરતો માટે એક જરૂરી મસ્અલો

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 184 to 186)

ઓરતો માટે એક જરૂરી મસ્અલો

                કોઈ ઓરતે ”હજ્જે તમત્તુઅ”ની નિય્યતથી એહરામ બાંધ્યું અને મકકહ મુકર્રમહ પહોંચતા પહેલા અથવા ત્યાં પહોંચીને તરતજ તેને હૈઝ (માસિક) આવી ગયું અને માસિકના કારણે આવી ઓરત ઉમરહ ના કરી શકી અને ૮ ઝિલ્હજ્જ એટલે કે મિના જવાનો દિવસ આવી ગયો તો આવી ઓરત એહરામ ઉતારવાની નિય્યતથી માથું ખોલી નાખી, માથામાં તેલ લગાવી, માથું ઓઢી લે અને ઉમરહનું એહરામ ખોલી નાખે અને હજ્જની નિય્યતથી ”તલબિયહ” પઢીને, હજ્જનું એહરામ બાંધી લે અને મિના ચાલી જાય અને હજ્જના બધા જ અરકાનો અદા કરે અને આવી ઓરતની હજ્જ ”હજ્જે ઈફરાદ” ગણાશે.

                આવી ઓરત હજ્જથી પરવારી ગયા પછી પેલા છુટેલા ઉમરહની કઝાની નિય્યતથી એક ઉમરહ કરી લે અને એક કુર્બાની પણ કરે. અને આ ”દમ” પહેલા ઉમરહના એહરામના ખોલી નાખવાના કારણથી વાજિબ થયો છે.

                આવી ઓરત ઉપર ”હજ્જે તમત્તુઅ”ના શુક્રિયહનો ”દમ” વાજિબ નથી એટલા માટે કે એની હજ્જ ”હજ્જે ઈફરાદ” થઈ છે અને ”હજ્જે ઈફરાદ” કરનાર પર કુરબાની વાજિબ નથી.(ખયરૂલ ફતાવા ૪/ર૩૩, અયની શર્હે બુખારી ૧૦/૧ર૩, મિશ્કાત પ/૩૦૬–૩૦૭)

                જે ઓરતને પોતાની માસિક આવવાની આદત પ્રમાણે એ વાતની ઉમ્મીદ ના હોય કે તે માસિકથી પાક થઈને હજ્જના દિવસો પહેલાં ઉમરહ કરી શકશે તો આવી ઓરત માટે સારું એ છે કે એ ”હજ્જે ઈફરાદ”નું એહરામ બાંધે, જેથી તેણી પર ઉમરહના એહરામ ખોલી નાંખવાના કારણે જે ”દમ” વાજિબ થઈ જાય છે તે ”દમ” વાજિબ ના થાય.

ઓરતો માટે એક ખાસ મસ્અલો

                તારીખ ર૪થી તારીખ ર૭ ઓકટોબર (૧૯૯૭) સુધી હજ્જ હાઉસ મુંબઈમાં દસમો ઓલ ઈન્ડિયા ફિકહી સેમીનાર ભરાયો હતો જેમાં હજ્જ – ઉમરહના મસાઇલ વિશે જે ફેંસલા અને ઠરાવો થયા હતા તેમાનો ઠરાવ નંબર ૧૦ આ પ્રમાણે હતો.

                ઠરાવ નં. (૧૦) જો તવાફે ઝિયારત પહેલાં કોઈ ઓરતને માસિક અથવા સુવાવડસ્થાનું ખૂન આવી જાય અને તેના નકકી કરેલ પોગ્રામ પ્રમાણે એવી ગુંજાઈશ નથી કે તે માસિકથી પાક થઈ તવાફે ઝિયારત કરી શકે તો તેના માટે જરૂરી છે કે તે દરેક રીતે એવી કોશીષ કરે કે તેના સફરની તારીખ આગળ વધી શકે, જેથી તે પાક થઈને તવાફે ઝિયારત અદા કરવા બાદ પોતાના ઘરે પાછી ફરી શકે. પરંતુ જો તેની બધી બનતી કોશિષો બેકાર જાય અને પાક થવા પહેલા તેને સફર કરવો જરૂરી થઈ જાય તો એવી હાલતમાં તે તવાફે ઝિયારત અદા કરી શકે છે. આ તવાફે ઝિયારત શરઈ રીતે માન્ય ગણાશે અને તે ઓરત સંપૂર્ણ રીતે હલાલ થઈ જશે. પરંતુ તેના ઝિમ્મે એક મોટા જાનવરની કુર્બાની (દમે જિનાયત) હરમ શરીફની હદમાં કરવી જરૂરી રહેશે.

Log in or Register to save this content for later.