Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 157 to 159)
તવાફે વદાઅ
જયારે મકકહ મુકર્રમહથી પાછા ફરવાનો વારો આવે, ત્યારે આપે ”તવાફે વદાઅ” (રૂખ્સતીનો તવાફ) કરવાનો છે.
મીકાતથી બહાર રહેનારા હાજીઓ માટે આ ”તવાફે વદાઅ” કરવો વાજિબ છે અને ત્રણેવ પ્રકારના એહરામવાળાઓ (કારિન, મુતમત્તિઅ, મુફરિદ) ઉપર વાજિબ છે.
આ તવાફ મીકાતથી અંદર રહેનારાઓ માટે તેમજ ફકત ઉમરહ કરવા આવનારાઓ માટે વાજિબ નથી.
જો ઓરતને હૈઝ આવી ગયું હોય અથવા નિફાસની હાલતમાં હોય અને તે મકકહ મુકર્રમહથી રવાના થતાં સુધી પાક ના થઈ હોય, તો તેના માટે તવાફે વદાઅ માફ થઈ જશે, આવી ઓરતે હરમ શરીફના દરવાઝા બહાર ઉભા થઈને દુઆ માંગી લેવી જોઈએ, હરમ શરીફમાં દાખલ ના થાય.
આ મસ્અલો પણ યાદ રાખો કે હૈઝ અથવા નિફાસવારી ઓરત હૈઝ અથવા નિફાસના કારણે તવાફે વદાઅ કર્યા વગર મકકહ મુકર્રમહથી રવાના થઈ ગઈ અને મકકહ મુકર્રમહની આબાદી પૂરી થતાં પહેલાં જ પાક થઈ ગયી હોય તો એ ઓરત માટે મકકહ મુકર્રમહ પાછું આવવું અને તવાફે વદાઅ કરવું જરૂરી છે. અને જો આબાદીથી બહાર નીકળી ગયા પછી પાક થઈ હોય, તો પાછું ફરવું વાજિબ નથી.
”તવાફે વદાઅ”માં રમલ કરવાનો નથી અને સાતેવ ચકકરો સામાન્ય ચાલ પ્રમાણે ચાલીને પૂરા કરવાના છે. તવાફ કરતી વખતે, પોતાના ઉપર ગમ તથા અફસોસની હાલત હોય અને જો આંખોથી આંસુ વહે તો ઘણું જ સારુ, નહિ તો પછી રડવાની શકલ તો બનાવો જ. તવાફ પછી બે રકા’ત નમાઝ તવાફની પઢવાની છે, ત્યાર પછી ઝમઝમ ઉપર જાઓ અને કિબ્લહ તરફ ઉભા રહી, ઝમઝમનું પાણી પેટ ભરીને, ખૂબ ધરાઈ ધરાઈને પીઓ અને બદન ઉપર તથા સીના ઉપર લગાવો. થઈ શકે તો, કઅ્બતુલ્લાહની ચોખટને બોસો આપો અને મુલ્તઝમ ઉપર મોં મુકીને, કઅબતુલ્લાહનો પડદો પકડીને, રડી કકડીને ખૂબ આજિઝી સાથે દુઆ માંગો, કે આ પાક જગાના દીદાર વારંવાર નસીબ થાય. હજરે અસ્વદને બોસો આપો આ મૌકા ઉપર ,જો આપની આંખો બે આસું વહાવી આપે, તો ઘણું જ સારું અને મુબારક છે.
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હજરે અસ્વદને બોસો આપતાં આપતાં, હઝરત ઉમર (રદિ.)થી ફરમાવ્યું હતું : ھھنَا تُسْکَبْ العبْرات ”આ છે આસુંઓ વહાવવાની જગા”.
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદિ.)એ બયાન ફરમાવ્યું કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હજરે અસ્વદની સામે તશ્રીફ લાવ્યા, પછી બંને હોઠ મુબારક તેના ઉપર મુકી દીધા અને ઘણી જ વાર રડતા રહયા, પછી જયારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જોયું કે, હઝરત ઉમર (રદિ.) પણ રડી રહયા છે, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું અય ઉમર, અહીંયાં આંસુ વહાવવામાં આવે છે. (અત્તરગીબ વ ત્તરહીબ ૧૯પજ્ર)
ખાનએ કઅબહની જુદાઈ ઉપર અફસોસનો ઈઝહાર કરો. મસ્જિદમાંથી ઉલટા પગે નીકળવું ,રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત નથી, પરંતુ આલિમોએ અને બુઝુર્ગોએ કઅબહના માન અને ઈઝઝત માટે સારું સમજયું છે.
બયતુલ્લાહના અદબો અને હુકૂકના વિશે જે કંઈ કોતાહીઓ આ દિવસોમાં થઈ ગઈ, તેની માફી માંગતા માંગતા મસ્જિદે હરામથી નીકળો અને કાયદા પ્રમાણે ડાબો પગ પહેલા (બાબુલ વદાઅ અથવા બીજા કોઈ પણ દરવાજાથી) મસ્જિદે હરામની બહાર કાઢો અને આ દુઆ પઢો.
اَللّٰھمَّ اغْفِرْ لِیْ ذُنُوْبِی وَ افْتَحْ لِی اَبْوَابَ رَحْمَتِکَ
(અલ્લાહુમ્મ ગ્ફિરલી ઝુનૂબી વફતહ લી અબવાબ રહમતિક)
”હે અલ્લાહ ! મારા ગુનાહોને મા’ફ ફરમાવો અને મારા માટે તમારી રહમતના દરવાજા ખોલી આપો”
”તવાફે ઝિયારત” પછી જો કોઈ નફલ તવાફ કર્યો હોય તો એ તવાફ પણ ”તવાફે વદાઅ”ના કાયમ મકામ થઈ જશે.
કોઈ માણસ તવાફે વદાઅ કર્યા વગર મીકાતથી બહાર નીકળી જાય તો તેના ઉપર ”દમ” વાજિબ થશે, એ ”દમ”થી બચવાની રીત, આ છે કે ફરીવાર ઉમરહનું એહરામ બાંધીને હરમમાં આવે અને પહેલાં ઉમરહ કરે, પછી તવાફે વદાઅ કરે. ફકત તવાફે વદાઅના માટે, મીકાતથી ઉમરહના એહરામ વગર આવવું મના છે.
અંતમાં હઝરત શિબ્લી (રહ.) અને તેમના એક મુરીદનો એક દિલચશ્પ અને રૂહાનીયતથી ભરપૂર કિસ્સો લખી ”હજ્જૈ તમત્તુઅ”નું વર્ણન પુરૂ કરૂં છું. આ કિસ્સો શૈખુલ હદીસ હઝરત મવલાના ઝકરિય્યહ (રહ.)એ ”ફઝાઈલે હજ્જ”માં બયાન કર્યો છે.
Log in or Register to save this content for later.