કુર્બાની

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 146 to 150)

કુર્બાની

                અલ્લાહ તઆલાએ આપને ”હજ્જે તમત્તુઅ”ની મોટી નેઅ્‌મત અતા ફરમાવી, તેના શુક્રિયહના તૌર પર, આપે કુર્બાની કરવી વાજિબ છે. માટે રમી કર્યા પછી કુર્બાની કરો અને પછી બાલ મુંડાવી અથવા કપાવીને એહરામ ખોલી નાંખો.

                આ કુર્બાનીના અહકામ ઈદુલઅદ્‌હાની કુર્બાનીનાં અહકામ જેવા જ છે. જે જાનવરો કુર્બાનીમાં જાઈઝ છે, તે જ જાનવરો અહિંયા પણ જાઈઝ છે અને જે રીતે ઉંટ, ગાય, ભેંસમાં સાત માણસો ભાગીદાર થઈ શકે છે, એજ રીતે અહિંયા પણ સાત માણસો ભાગીદાર થઈ શકે છે.

                હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાની અને પોતાની પૂરી ઉમ્મત તરફથી કુર્બાની કરી હતી, એટલે ઉમ્મતે પણ પોતાની કુર્બાનીના સાથે સાથે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી પણ કુર્બાની કરવી જોઈએ.

                અને મકકહ મુકર્રમહ આવ્યા પછી આપ મુકીમ થઈ ગયા હતા, એટલે કે ૭ ઝિલ્હજ્જ પહેલાં ઓછામાં ઓછા ૧પ દિવસ કે એથી વધુ દિવસો મકકહ મુકર્રમહમાં રહેવાનું થયું હતું, તો તેને શરઈ ભાષામાં મુકીમ કહેવામાં આવે છે. આવો મુકીમ માણસ નિસાબનો માલિક હોય, તો તેની કુર્બાની અલગ કરવાની રહેશે, પણ જો મુસાફિર હોય તો માલિકે નિસાબ વાળી કુર્બાની વાજીબ નહિ થાય, હા, તે છતાં કરી લેવી મુસ્તહબ છે.

                મતલબ કે હાજી માટે બે કુર્બાનીઓ છે, એક તો હજ્જની કુર્બાની, અને બીજી ઈદુલ અદહાની કુર્બાની, જે દર વર્ષે વાજિબ છે. આ કુર્બાની પોતાના વતનમાં પણ કરી શકે છો, ઘરેથી હજ્જ માટે નીકળો ત્યારે ઘરવાળાઓને કહી આપો, કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારી કુર્બાની કરાવશો.

                સાથે સાથે આપને એ મસ્અલો પણ બતાવી આપું કે ઉપર બતાવ્યા મુજબ અગર આપ મુકીમ થઈ ગયા હોય તો, તમારે મકકહ મુકર્રમહ, મિના, મુઝદલિફહ વગેરે જગાએ નમાઝો પૂરી પઢવાની છે, પછી ચાહે એકલા પઢો કે ઈમામના પાછળ પઢો.

                ”જમરએ અકબહ”ની રમી કર્યા પછી, કુર્બાની તથા બાલ કપાવવાના છે, પણ તમે એ બંને ૧૦ તારીખે જ કરી નાખો એ જરૂરી નથી. રમી કર્યા પછી ભીડના કારણે કુર્બાની કરવી મુશ્કેલ હોય, તો જાણી જોઈને પોતાને તકલીફમાં ના નાખતા, આજે નથી થઈ શકતી તો કાલે અથવા પરમ દિવસે કરશો. હા, એ વાત નકકી છે, કે જયાં સુધી કુર્બાની નહિ કરો, ત્યાં સુધી બાલ નથી કપાવી શકતા અને જયાં સુધી બાલ નહિ કપાવો, ત્યાં સુધી એહરામ નથી ખોલી શકતા.

                સામાન્ય રીતે ગરબડ એટલા માટે થાય છે, કે લોકો એહરામ ખોલી નાખવાની ઉતાવળ કરતા હોય છે અને ખાસ કરીને એક બીજાને સીવેલાં કપડાં પહેરેલા જોઈને, દરેકને એહરામ ખોલવાની બેચેની થાય છે, પણ અલ્લાહ પાકના ઘરે મહેમાન બનીને આવ્યા છો, તો એકાદ દિવસ વધુ એહરામમાં રહેવામાં શું વાંધો છે ? આ આશિકાના, પ્રેમ ભર્યો લિબાસ, ફરી કયારે નસીબ થશે ? જે લિબાસ આપણને મૌત અને કફનની યાદ તાજી કરાવે છે ! અને આખિરત વાળા અમલો તરફ પ્રેરિત કરે છે.

                ”મનહર” એટલે કે કુર્બાની કરવાની જગા ઉપર તમે જોશો, કે લાખોની ગણત્રીમાં ઘેટા, બકરાં,ગાયો, ઊંટો વગેરે હશે, તમે પોતાની પસંદ અને પોતાની તાકત પ્રમાણે, જોઈને જાનવર ખરીદ કરી લો અને કુર્બાની કરો.

                કુર્બાનીના જાનવર માટે ખ્યાલ રાખો કે, તેને ઝબ્હ કરતા પહેલા કંઈ ખવડાવવું, પીવડાવવું જોઈએ અને છરી બરાબર તેઝ કરો, પણ જાનવરની સામે તેઝ ના કરવામાં આવે. ઝબ્હ કરતાં પહેલાં, જાનવરનાં બંને હાથ અને એક પગ બાંધી દેવામાં આવે, અને કિબલહ તરફ મોં કરીને સુવડાવવામાં આવે અને ઝબ્હ કરતા પહેલાં આ દુઆ પઢવામાં આવેઃ

اِنِّی وَجَّھْتُ وَجْھِی لِلَّذِی فَطَرَ السَّمٰوَاتِ وَ الاَرْضَ حَنِیْفًا وَّ مَا اَنَا مِنَ الْمُشْرِکِیْن اِنَّ صَلٰوتِی وَ نُسُکِی وَ مَحْیَای وَ مَمََاتِی للّٰہِ رَبِّ العٰلَمِیْن لاَ شَرِیْکَ لَہٗ وَ بِذلِکَ اُمِرْتُ وَ اَنَا اَوَّلُ الْمُسْلِمِیْن۔

ત્યાર પછી ગળા ઉપર છરી મુકીને આ દુઆ પઢતાં પઢતાં ઝબ્હ કરો :

اَللّٰھُمَّ مِنْکَ وَ لَکَ بِسْمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَر۔

ઝબ્હ કર્યા પછી આ દુઆ પઢો :

 اَللّٰھُمَّ تَقَبَّلْ ھذِہِ الاُضْحِیَّۃَ مِنِّی کَمَا تَقَبَّلْتَ مِنْ اِبْرَاھِیْمَ خَلِیْلِکَ وَ اِسْمَاعِیْلَ ذَبِیْحِکَ وَ مُحَمَّدٍ نَبِیِّکَ وَ مُصْطَفٰکَ عَلَیْھِمُ الصَّلٰوۃُ وَ السَّلام

                જો કોઈના તરફથી ઝબ્હ કરી રહયા હોય તો مِنِّی           ના બદલે مِنْ فُلاں بن فُلاں  (તેનું તથા તેના બાપનું નામ લેવામાં આવે.)

                એ પણ યાદ રાખો કે, એક જાનવરની સામે બીજું જાનવર ના ઝબ્હ કરો, લોહી માટે ખાડો કરવામાં આવે અને જાનવરોની આંખો બંદ કરવામાં આવે, છરી જમણા હાથથી પકડવામાં આવે અને ઝબ્હ કર્યા પછી જાનવરના હાથ પગ ખોલી નાખવામાં આવે.

                કુર્બાની કર્યા પછી આપને બાલ કપાવવાના અથવા મુંડાવવાના છે. (ઓરતોએ બેડકા જેટલા પૂરા માથાના બાલોને કાપવાના છે.) બાલ કપાવવા માટે કિબ્લહ તરફ મોં કરીને બેસવું અને જમણી બાજુથી બાલ કપાવવાનું શરૂ કરાવવું. માથાના વાળ કપાવવા પછી જ મૂંછ, નખ અને બગલના બાલ પણ સાફ કરી શકો છો, પણ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઈત્તિબાઅમાં ના કપાવવા જોઈએ. અને ૧રમી અથવા ૧૩મીના ”મિના”થી પરત થવા સુધી ન કપાવવું બેહતર છે. તે છતાં કાપવા જાઈઝ છે પણ માથાના વાળ કાપ્યા પછી જ આ બધુ કાપશો નહિ તો જઝા વાજિબ થશે. અને હરમની હદમાં જ વાળ કપાવવાના છે, તે પણ યાદ રાખશો.

                હલક કરવું અથવા બાલ કપાવવું, હજ્જ તથા ઉમરહમાં વાજિબ છે, જેવી રીતે નમાઝ પૂરી કરવાની શરઈ રીત સલામ ફેરવવું છે, એવી જ રીતે એહરામ ખોલવાની શરઈ રીત હલક અથવા બાલ કપાવવા છે.

                આજના આ ઝમાનામાં યૂરોપિયન સંસ્કૃતિ અને રહેણી કરણીમાં ચિત્રવિચિત્ર હેર સ્ટાઈલને બહું મહત્વ અપાઈ રહયું છે. લાંબા વાળ રાખવા એ ઓરતોની શોભારૂપ હતા, જેનો યૂરોપે, લોકોની અકકલ ચોરીને ઓરતોની શોભા, વાળ કપાવવામાં બતાવી, અને આજની ફેશન પરસ્ત ઓરતો, હવે ઉઘાડેછોગ હેરકટીંગ સલૂનોમાં બેસીને હજામત બનાવડાવીને હજારો રૂપિયા બરબાદ કરે છે. અને અલ્લાહના અઝાબને નોંતરે છે. અને પુરૂષો માથાના વાળ ઓરતોની માફક મોટા રાખીને, ફેશનમાં આંધળા બને છે, અને ઓરતોની પેઠે વાળ વધારવા માંગે છે. ! નઊઝુબિલ્લાહ

                હજ્જની ક્રિયામાં માથું મુંડાવવા અને વાળ કતરાવવાને વાજિબ ઠેરવાયું છે તો જરૂરી છે કે એના ઉપર અમલ કરવામાં પણ કોઈ કોતાહી ન રહી જાય, આપણે તો એહરામ બાંધીને ફકત એક ખુદાની રઝમંદી માટે, પોતાના નફસને મિટાવવા, ગુરૂર અને અભિમાનને તોડવા ખાતર, પોતાની રહેણી કેહણી મિસ્કીન પેઠે ધારણ કરી છે, તો પછી બાલ મુંડાવવામાં કચાસ ના રાખવી જોઈએ.

                હકીકતમાં હજ્જના આ કામોમાં હઝરો હિકમતો અને ફાયદાઓ છુપાયેલા છે, દુનિયાભરના ફિલસુફીઓ આ હિકમતોને જાણવા માટે કોશિશ કરે, તો પણ એ હિકમતોને પામી શકશે નહિ.

                તમો હજામતથી ફારિગ થયા, એનો અર્થ આ છે કે, હવે આપનું એહરામ ખુલી ગયું.હવે સીવેલા કપડાં પહેરી શકાય છે, ન્હાવું, ધોવુ કે ખૂશ્બુ લગાવવું જાઈઝ છે, દરેક વસ્તુની આઝાદી છે, પણ હજુ આપના માટે પોતાની ઓરતથી સુહબત (સંભોગ) કરવી જાઈઝ નથી.

                આ સમજવા માટે આટલું જાણી લો, કે હજ્જના ત્રણ ફર્ઝો છે. (૧) એહરામ બાંધવું (ર) અરફાતમાં હાજરી (૩) તવાફે ઝિયારત. આ ત્રણમાંથી ૧ અને ર તો તમે કરી ચુકયા, પણ હજુ ૩ નંબર એટલે કે તવાફે ઝિયારત બાકી છે અને એહરામની બધી પાબંદીઓમાંથી હવે એક જ પાબંદી બાકી છે, એટલે કે પોતાની ઓરત સાથે સુહ્‌બત ની પાબંદી. તમે જયારે તવાફે ઝિયારત કરી લેશો, ત્યારે ઓરત પણ તમારા માટે હલાલ થઈ જશે.

Log in or Register to save this content for later.