Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 142 to 146)
મિનામાં કિયામ અને રમ્યેજિમાર
મુઝદલિફહથી પાછા ફરતાં,
એક દિવસ પહેલાં સુનું બની ગયેલું મિના, આજે ફરીવાર આબાદ છે. આજે ૧૦ ઝિલ્હજ્જ એટલે કે ઈદનો દિવસ છે. આજે આખી દુન્યામાં જયાં જયાં મુસ્લિમો છે, તેઓ અહીંયાંની યાદમાં ઈદની નમાઝ પઢતા હશે, પણ અલ્લાહની શા’ન કે અહીંયા ઈદની નમાઝ નથી અને કોઈને ઈદની નમાઝ નો ખ્યાલ પણ આવતો નથી. બસ અહીંયાની ઈદ તો આ જ છે, કે રમી કરવામાં આવે, કુર્બાની કરવામાં આવે, બાલ મુંડાવવામાં આવે, એહરામ ખોલી નાખવામાં આવે, અને તવાફે ઝિયારત કરવામાં આવે.
તો ૧૦ ઝિલ્હજ્જના ”મુઝદલિફહ”થી ”મિના” આવીને, સૌથી પહેલાં ”જમરએ અકબા” (છેલ્લા શૈતાન)ની રમી કરવાની છે.
જમરહનું નામ આવતાં જ દિમાગ વીતી ગયેલી સદીઓ તરફ ચાલ્યું જાય છે, એટલે કે હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) પોતાના વ્હાલા ફરઝંદ હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ને કુર્બાન કરવા માટે મિના તરફ લઈ જઈ રહયા હતા, તો શૈતાને માણસની શકલમાં હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)ને બેહકાવવાની કોશિશ કરી, સૌથી પહેલાં તો જમરએ અકબહ જયાં છે, ત્યાં બેહકાવવાની કોશિશ કરી. હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ) તરત જ સમજી ગયા કે, આ શૈતાન છે. હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)એ અલ્લાહના દરબારમાં દુઆ કરી અને અલ્લાહના હુકમ પ્રમાણે સાત કાંકરીઓ મારી જેનાથી શૈતાન જમીનમાં ખૂંપી ગયો. હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ) જયારે આગળ ચાલ્યા તો જયા જમરએ વુસ્તા છે ત્યાં, ફરીવાર તેણે હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)ને રોકવાની કોશિશ કરી, પણ હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)એ ફરીવાર સાત કાંકરીઓ મારી, અને શૈતાન ઝમીનમાં ખૂંપી ગયો. ત્રીજી વખતે ફરીવાર જયાં જમરએ ઉલા છે, ત્યાં શૈતાને હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)નો પીછો કયો, અને અલ્લાહ તઆલાની નાફરમાની પર ઉભારવાની કોશિશ કરી, પરંતુ અલ્લાહ તઆલાની મદદથી હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)એ ત્રીજી વાર સાત કાંકરીઓ મારી, અને શૈતાન રસ્તેથી પાછો વળી ગયો.
આ ઐતિહાસિક ઘટનાની યાદમાં મિનામાં ત્રણેવ જમરાઓને કાંકરીઓ મારવામાં આવે છે અને એનો મકસદ એ છે, કે કોઈ પણ હાજી હજ્જ દરમિયાન, અથવા હજ્જ કર્યા પછી શૈતાનના બેહકાવામાં ન આવે.
”સઊદી હુકૂમતે” ત્રણેવ જગાએ, ત્રણે શૈતાન માટે થાંભલાઓની નિશાનીઓ બનાવેલી છે અને અલગ અલગ ઝુબાનોમાં બોર્ડ પણ લગાવ્યું છે, ઉર્દૂમાં પણ લગાવેલું છે, એક વાત એ પણ યાદ રાખશો કે આ જમરહ પોતે શયતાન નથી, બલ્કે શયતાન જોવાયો હતો તે સ્થળોની નિશાનીઓ છે, માટે કાંકરીઓ એવી રીતે મારો કે થાંભલાની જડમાં અથવા થાંભલાની આસપાસ જયાં કાંકરીઓ ભેગી થાય છે, ત્યાં જઈને પડે.જે કાંકરી થાંભલાની જડથી ૩ હાથ અથવા એનાથી વધૂ દૂર પડશે તે કાંકરી મારેલી ગણાશે નહિ, તેને ફરીથી મારવી પડશે. જો ફરી નહિ મારો તો દમ વાજિબ થશે.
જો સાતેવ કાંકરીઓ એકી સાથે મારી દીધી, તો એક જ કાંકરી મારી ગણાશે, અને બાકીની ૬ છૂટવાના કારણે દમ વાજિબ થશે.
પહેલો જમરહ ”મસ્જિદે ખૈફ” પાસે છે, જેને ”જમરએ ઊલા” કહે છે, અને ત્રીજો જમરહ, મિનાની છેલ્લે છે, તેને ”જમરએ અકબા” કહે છે. અને એક જમરહ, આ બંનેના વચમાં છે જેને ”જમરએ વુસ્તા” કહે છે.
આજે ૧૦ ઝિલ્હજ્જના તમારે ફકત એકજ જમરહની એટલે કે ”જમરએ અકબહ”ની રમી કરવાની છે. આ જમરહ ઉપર પહેલી કાંકરી મારવાના સાથે જ તલબિયહ પઢવાનું ખત્મ થઈ જાય છે, માટે ત્યાર પછી તલબિયહ પઢવું નહિ. રમીનો સુન્નત વખત સુર્ય નીકળ્યા પછીથી ઝવાલ સુધીનો છે. જો કોઈ માણસ ઝવાલ પછીથી મગરિબ સુધીમાં કરે, તો પણ જાઈઝ છે, મકરૂહ નથી, પરંતુ જો કોઈ મગરિબથી સુબ્હે સાદિક સુધીમાં કરશે, તો રમી તો થઈ જશે, પણ મકરૂહ છે.
”રમી” કરવા માટે જમરહથી નઝદીક હોવું કે દૂર હોવું કોઈ જ શર્ત નથી, જયાંથી પણ રમી કરશો રમી થઈ જશે. પરંતુ સુન્નત આ છે, કે જમરહથી પાંચ હાથ અથવા થોડેક દૂર ઉભા રહેવામાં આવે, એનાથી ઓછા દૂરથી રમી કરવી મકરૂહ છે.
”રમી” કરવા માટે કાંકરી કેવી રીતે પકડવી એની કોઈ શર્ત નથી, પણ મુસ્તહબ આ છે કે અંગુઠા અને કલિમહની આંગળીથી પકડીને મારવામાં આવે અને આ પણ મુસ્તહબ છે કે, મારતી વખતે હાથ એટલો ઉંચો થાય કે બગલ ખૂલી જાય અને બગલની સફેદી દેખાય.
”રમી” કરતી વખતે ”તકબીર” કહેવું મસ્નૂન છે. અટેલે જયારે પણ કાંકરીઓ મારો ત્યારે આ પઢો :
بِسْمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَرْ رَغْمَاً للشَّیْطَانِ وَ رِضًی للرَّحْمَان
(બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર, રગ્મન લિશ્શય્તાન વ રિદન્ લિર્રહમાન.)
”હું અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહ સૌથી મોટો છે. (આ કાંકરી) શૈતાનને ઝલીલ કરવા અને અલ્લાહ પાકને રાજી કરવા માટે મારું છું”
હાજીઓની ભીડના કારણે ”સઊદી હુકૂમતે” જમરહની સડક પહોળી કરી છે, અને જમરાતવાળા ભાગની સડકને ઉપર નીચે ડબલ કરી નાખી છે. હવે દરેક જમરહની ઉપરથી પણ રમી થઈ શકે છે, માટે આપ જયાંથી પણ કાંકરી મારશો આપની રમી સહીહ ગણાશે.
પણ આપને મશ્વેરો આપું છું કે આપ ઉપરથી રમી કરશો, તો રાહત રહેશે, કારણ કે નીચે બધુ બંધ છે, જયારે ઉપર ખુલ્લું છે, ઘરડા લોકો, બીમારો, છોકરાઓ અને સ્ત્રીઓ માટે તો ખાસ કરીને ઉપરજ સારું રહેશે, કારણ કે ભીડ ઘણી જ હોય છે અને આ મૌકા ઉપર કચડાઈ જવાનો ખતરો રહે છે અને વધૂ પડતું આવું નીચેના ભાગમાં જ બને છે.
બીજી વાત આ કે, રમી કરવા જતાં પહેલાં તમો તમારા સાથીઓથી એક ખાસ જગા નકકી કરી લો કે, અગર આપણામાંથી કોઈ વિખુટો પડી જાય, તો આ જગાએ આવીને ઉભો રહે અને બીજાઓના આવવાનો ઈન્તિજાર કરે, આવું કરવાથી તમોને ઘણી જ રાહત રહેશે.
અને ત્રીજી વાત આ કે, રમી કરવા જતાં રસ્તામાં આપની કોઈ વસ્તુ નીચે પડી જાય, તો તેને ઉઠાવવાની કોશિશ કદી ના કરશો અને એવી જ રીતે, આપના ચંપલ વગેરે નીકળી જાય, અથવા નીકળી રહયો હોય તો પણ, એને લેવાની કે ઠીક કરવાની કોશિશ પણ ના કરશો. ખુલાસો આ છે, કે કોઈ પણ કામ હોય, તમે નીચું વળીને કરવાથી બચશો, નહિતો લગભગ આવું બને છે કે, માણસોની ભીડમાં કચડાઈ જવાય છે.
રમી કરવા જતી વખતે પોતાના કાંડાનું ઘડિયાળ, ચશ્મો કાઢી નાખવો જોઈએ અને એહરામ મજબૂત બાંધી લેવું જોઈએ.
અને આ ભીડના કારણે જ, ઉલમાએ કિરામે મશ્વેરો આપ્યો છે, કે તમો ઝવાલ પછી રમી કરો, બલ્કે ઓરતો અને છોકરાઓ તો મગરિબ પછી રમી કરશે તો પણ તેઓના માટે વગર કરાહતે જાઈઝ કહેવામાં આવ્યું છે.
ખૈર, પહેલા દિવસે તો આપને ફકત આ એક જ જમરહ ”જમરએ અકબહ”ની રમી કરવાની છે. અને ત્યાર પછી ૧૧ તથા ૧ર,તારીખના ત્રણેવ જમરાઓની રમી કરવાની છે.
Log in or Register to save this content for later.