માથું મૂંડાવવું

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 104 to 110)

માથું મૂંડાવવું

                હવે ”ઉમરહ”ના બધા જ કામો પૂરા થઈ ગયા, એટલે મસ્જિદથી બહાર આવો, અને હવે આપને બાલ મૂંડાવવાના છે.

                આપને એ પણ જણાવતો ચાલું કે, જયારે તમો સાતમો ચકકર પૂરો કરીને મરવહ પહાડી ઉપર પહોંચશો ત્યારે, તમે જોશો કે, ત્યાં કેટલાક લોકો કાતર લઈને ઉભેલા હોય છે અને ઘણા લોકો એમનાથી થોડાક જ બાલ કપાવી લે છે, તો યાદ રાખો કે હન્ફી મઝહબ પ્રમાણે, આવું કરવાથી માણસ એહરામથી નીકળતો નથી, અને હલાલ થતો નથી.

                આપણે એટલું વિચારવું જોઈએ, કે જયારે આપણે પોતાનું ઘર અને વતનથી અલ્લાહની રજામંદી માટે નીકળ્યા છે, પહેરવેશ બદલ્યો છે, અને પોતાની પૂરી શકલ–સૂરત બદલી નાંખી છે, તો પછી બાલ મૂંડાવવામાં શુ વાંધો આવે છે ? એકદમ છેલ્લા ટાઈમે પોતાને સૌથી ઉંચા અમલથી કેમ મહરૂમ કરો છો ? ઉમરહ તો ખૂબ કરો છો, પણ એવું મા’લૂમ પડે છે કે દિલોના અંદર બાલોની મુહબ્બત શરીઅત કરતાં વધારે છુપાયેલી છે. સારું તો આ છે કે, અસ્તરાથી બધાજ બાલ મૂંડી નાખવામાં આવે, જેને હલક કહેવામાં આવે છે, અને જો હલક ના કરાવો તો કસ્‌ર (બાલો કતરાવવા) કરવું જરૂરી છે, અને તે પણ આખા માથાના વાળ કતરાવવા. ચોથા ભાગનો હલક કે કસર મકરૂહે તહરીમી છે, જોકે તેનાથી હલાલ થઈ જવાશે અને જો માથાના વાળ આંગળીના વેઢાથી પણ નાના હોય, તો હલક કરાવવું વાજિબ છે, તેના વગર ચાલશે નહિ.

                અનેકવાર ઉમરહ કરનારાઓ માટે બેહતર આ છે કે, પહેલી વખતે માથું મુંડાવી નાખે, બીજીવાર જયારે માથા પર બાલ ના હોય તો ખાલી અસ્તરો ફેરવી આપે. એવી રીતે દરેક વખતે હલકનો સવાબ મળતો રહેશે.

                આ મસ્અલો પણ જાણી લો કે જયારે મુહરિમ (એહરામવાળો) બાલ મૂંડાવવા સિવાયનાં બધાજ કામોથી ફારિગ થઈ જાય, અને ફકત બાલ મૂંડાવવાનું જ બાકી હોય, તો આવો માણસ, (ઓરત કે મર્દ) પોતાના બાલ પણ કાપી શકે છે, અને એના જેવા બીજા મુહરિમ, કે તેને પણ ફકત બાલ જ મૂંડાવવાનું બાકી છે, તેના બાલ પણ કાપી શકે છે.મુસ્તહબ આ છે, કે હલક કે કસર કરાવતી વેળા તકબીર કહે, અથવા દુઆ માંગે.

                ઓરત પૂરા માથાના બાલ આંગળીના વેઢા જેટલા કપાવે, એ સુન્‍નત છે, ચાહે પોતે પોતાના બાલ કાપે, અથવા મહરમ (જેની સાથે નિકાહ જાઈઝ નથી) અથવા ધણી પાસે કપાવે, ગેરમહરમ પાસે ઓરતે બાલ કપાવવા જાઈઝ નથી.

                અલહમ્દુલિલ્લાહ, હવે બાલ મુંડાવી કે કપાવીને ફારિગ થઈ ગયા એટલે આપનો ઉમરહ પણ પૂરો થઈ ગયો, અને આપનું એહરામ પણ પુરૂ થયું. હવે આપના ઉપર એહરામની કોઈ પણ પાબંદી બાકી નથી. ન્હાવું, સીવેલા કપડાં પહેરવું, ખૂશ્બુ લગાવવી વગેરે જાઈઝ છે અને હવે તમારા માટે તે બધી જ વસ્તુઓ જાઈઝ થઈ ગઈ છે, જે એહરામના કારણે નાજાઈઝ હતી.

                ”ઉમરહ”ને હજ્જે અસગર (નાનો હજ્જ) પણ કહેવામાં આવે છે. ઈસ્તિતાઅત (શકિત) અને કુદરત હોય તો પૂરી ઉમરમાં એક વાર ઉમરહ કરવું સુન્‍નતે મુઅકકદહ છે, અને કેટલાક ફુકહાએ કિરામ વાજિબ પણ કહે છે.

                હવે ઈન્શાઅલ્લાહ ૮ ઝિલ્હજ્જનાં આપે હજ્જનું એહરામ બાંધવાનું છે, ત્યાં સુધી તમારે મકકહ મુઅઝઝમહમાં એહરામ વગર જ રહેવાનું છે. પણ આ સમયગાળામાં મિનિટે મિનિટની કદર કરશો. બેકાર કામોમાં પોતાનો ટાઈમ ના વીતાવશો અને જેટલું પણ શકય હોય, એટલું મસ્જિદે હરામમાં જ પોતાનો ટાઈમ વીતાવશો. શું ખબર ઝિંદગીમાં ફરી આવો ખૂશનસીબ મોકો મયસ્સર થાય છે કે કેમ ?

                હદીષમાં છે, કે જે માણસ થોડીવાર માટે મકકહની ગરમીને વેઠશે, તો તેનાથી જહન્‍નમ સો વર્ષ દૂર થઈ જશે.(અલબહરુર્રાઈક)

                હદીષમાં છે, કે જે માણસ મકકહ મુકર્રમહમાં એક દિવસ માટે બીમાર થાય, તો મકકહ મુકર્રમહ સિવાયની બીજી જગાની સાઈઠ વર્ષની ઈબાદતના બરાબર સવાબ લખવામાં આવશે. (અલબહરુર્રાઈક)

                માટે ખૂબ નફલ તવાફ કરો.હાજી હોવાની હૈસિયતથી મકકહ મુકર્રમહ આવનાર દરેક માણસ અલ્લાહનો મહેમાન છે. આવા મેઝબાનની લાઝવાલ નેઅ્‌મતો અને રહમતોની તલબમાં દરેક મહેમાનનો ફર્ઝ છે કે, તે વધારામાં વધારે પ્રમાણમાં તેના પવિત્ર દર ઉપર હાજરી આપતો રહે, એટલે કે તવાફ કરતો રહે, અને યાદ રાખો કે દુન્યામાં તમે જયાં પણ હશો, દરેક જગાએ, નમાઝ, રોઝહ અને તિલાવત વગેરે કરી શકો છો, પરંતુ તવાફની સઆદત ફકત અને ફકત, ખાનએ કઅબહમાં જ મયસ્સર થાય છે, એટલે આ સમયગાળાને ગનીમત સમજો, અને વધારેમાં વધારે તવાફ કરો.

                ઉગ્ર ગરમી અને વરસાદની હાલતમાં તવાફ કરવાની વધુ ફઝીલત છે. કેટલાક જાણકાર માણસો આવી પળોની રાહ જોતા હોય છે, કેટલાક દરેક નમાઝ પછી તવાફ કરે છે તો કેટલાક ભીડના સમયે તવાફ કરવાનું પસંદ કરે છે કે ન જાણે આ તવાફ કરનારાઓમાં કોની બરકતથી અમારો તવાફ પણ કબૂલ થઈ જાય અને અમારી દુઆઓ કબૂલ થઈ જાય, અલ્લાહની રહમત કોઈના તરફ મંડાયેલી હોય અને અમોને પણ ન્યાલ કરી જાય.

               એ સિવાય તિલાવત પણ ખૂબ કરો. હજ્જની તારીખો પહેલાં, હરમ શરીફમાં બેસીને ઓછામાં ઓછા, એક વખત તો કુર્આન શરીફ જરૂરથી પુરૂ કરો.

                અને વિશેષ રૂપે તમો એવો ખ્યાલ રાખશો કે, તમારી અહીંયાંની હાજરી કોના કરમના તુફૈલ છે ? આ બધુંજ આકાએ નામદાર સરવરે કાઈનાત હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તુફૈલથી છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના એહસાનોનો તકાઝો આ છે, કે સૌથી પહેલાં નફલ તવાફ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માટે કરવામાં આવે, અને તે તવાફમાં કોઈ પણ જાતની દુઆઓ પઢવાના બદલે પૂરા તવાફમાં ફકત દુરૂદ શરીફ જ પઢવામાં આવે,

                ત્યાર પછી, થોડીક હિંમતથી કામ લેશો, અને ખુલફાએ રાશીદીન વગેરેને બખ્શવાની નિય્યતથી પણ તવાફ કરશો. તમારા મર્હૂમો માટે, તમારા મુહસિનો માટે,તમારા સગાઓ વગેરે માટે પણ તવાફ કરશો. મતલબ કે આ મૌકાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવશો.

                એટલું યાદ રાખશો કે, દરેક તવાફ પછી બે રકા’ત નમાઝ પઢવી જરૂરી છે, માટે જયારે જયારે પણ તવાફ પૂરો થાય, પહેલા તવાફની બે રક્‌અતો પઢવી અને ત્યાર પછી જ બીજો તવાફ શરૂ કરવો. હા, મકરૂહ ટાઈમ હોય તો તવાફ કરવાનું ચાલુ રાખશો અને મકરૂહ ટાઈમ નીકળી ગયા પછી, બધાની બે બે રકા’તો પઢી લેશો.

(ફજરની નમાઝ પછીથી સુર્ય ઊગી ઊંચો થવા સુધી, ઝવાલના સમયે અને અસર પછીથી ગુરૂબ થવા સુધી, આ ત્રણ મકરૂહ ટાઈમો છે.)

                જેમકે અસરની નમાઝ પછી તવાફ કરી રહયા છો, તો અસરની નમાઝ પછી નફલ નમાઝ જાઈઝ નથી, માટે જેટલા તવાફો કરવા હોય તે કરો, અને મગરિબ પછી દરેક તવાફની બે બે રકા’તો પઢી લો. દા.ત. અસર પછી કુલ ત્રણ તવાફ કર્યા, તો મગરિબ પછી છ રક્‌અતો, બે બે રકા’તો કરીને પઢી લો.

                તમારી દરેક નમાઝ હરમ શરીફમાં જ થાય તેનો એહતિમામ કરશો. મસ્જિદે હરામમાં નમાઝ પઢવાની ફઝીલત જગતની બધી જ મસ્જિદોથી વધારે છે. એક નમાઝનો સવાબ એક લાખ નમાઝો બરાબર છે. માટે બજારોમાં હરવા, ફરવા અને શોપીંગમાં હરમ શરીફની જમાઅતો સાથેની નમાઝો ના છૂટે એનો ખ્યાલ રાખશો. હા, કોઈ ઉઝર હોય, તો પોતાના રૂમ કે નજીકની મસ્જિદમાં પણ પઢી શકો છો.

                ઉપરોકત સવાબ ફકત ફર્ઝ નમાઝોનો છે. નફલ નમાઝનો સવાબ એટલો નથી. નફલ નમાઝ પોતાના રૂમમાં પઢવું અફઝલ છે. તેમજ મજકૂર સવાબ ફકત મર્દો માટે છે, ઓરતો માટે નથી. ઓરતોા માટે પોતાના રૂમમાં જ ફર્ઝ નમાઝો પઢવું મુસ્તહબ અને અફઝલ છે.

                ઓરતોને પોતાના રૂમમાં નમાઝ પઢવાનો સવાબ ઈન્શાઅલ્લાહ એટલો જ મળશે, જેટલો કે મર્દોને મસ્જિદે હરામમાં નમાઝ પઢવાનો મળે છે. અને જો મસ્જિદે હરામમાં પઢે તો તે જગાએ પઢે કે જયાં ફકત ઓરતો જ ઈબાદત કરે છે.

                એક ખાસ મસ્અલો પણ જાણી લ્યો કે આજકાલ મસ્જિદે હરામમાં ઓરતો બાજમાઅત નમાઝમાં મર્દોની સાથે અથવા મર્દોની આગળ ઉભી થઈ જાય છે, જેને શરીઅતની ભાષામાં ”મુહાજાત” કહેવામાં આવે છે. ”મુહાજાત”થી ત્રણ માણસોની નમાજ ફાસિદ થઈ જાય છે. (૧) ઓરતથી જમણી બાજુવાળા મર્દની (ર) ઓરતથી ડાબી બાજુવાળા મર્દની (૩) ઓરતની પાછળની સફમાં ઓરતની સીધમાં ઉભા થનાર મર્દની.–––આનાથી ઓરતોએ બચવું જોઈએ.

                નોટ : મસ્જિદે હરામમાં નમાઝ પઢતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે, નમાઝમાં તમારુ મોં અને છાતી, એકદમ કિબ્લહ તરફ થવાં જોઈએ, એટલે કે જો નમાઝીના ચેહરા સામેથી એક સીધી લીટી ખેંચવામાં આવે તો તે લીટી બયતુલ્લાહના કોઈ ભાગને ચીરીને આગળ નીકળી જાય, આના માટે સઊદી હુકૂમતે, મસ્જિદે હરામમાં કિબ્લહરૂખ માટે જે પટ્ટીઓ બનાવી છે તે મુજબ જ નમાઝમાં ઊભુ રહેવું જરૂરી છે, જો આવું નહીં કરો તો નમાઝ થશે નહીં.

                અને જો ઓરતોની સફ આગળ અને મર્દોની સફ પાછળ હોય, તો મર્દોની નમાઝ સહીહ થશે નહિ.

                નફલો, તિલાવત, ઝિક્ર માટે આ જગાથી બેહતર કઈ જગા હોઈ શકે છે ? અને જો ખાલી હરમ શરીફમાં બેસવાનું પણ થાય, તો મુહબ્બત અને અઝમતના સાથે બયતુલ્લાહ શરીફને વારંવાર જોતા રહેશો. રબ્બુલ આલમીનનું આ તે ઘર છે, જેના તરફ જોવું પણ ઈબાદત છે.

                હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, કે અલ્લાહ તઆલા કા’બા શરીફ ઉપર હર વખત એકસો વીસ (૧ર૦) રહમતો ઉતારે છે. જેમાંથી સાઈઠ (૬૦) તવાફ કરવાવાળાઓ ઉપર, ચાલીસ (૪૦) નમાઝ પઢનારાઓ ઉપર અને વીસ (ર૦) કા’બા શરીફને જોવાવાળાઓ માટે. (તબરાની)

                હદીષનો અર્થ આ થયો, કે જે માણસ બયતુલ્લાહનો તવાફ પણ કરે છે, મસ્જિદે હરામમાં નમાઝ પણ પઢે છે, અને કઅબતુલ્લાહને જુએ પણ છે, તો તે બધીજ એટલે કે ૧ર૦ (એકસોવીસ) રહમતોનો હકદાર થશે.

                એક રિવાયતમાં છે કે જે માણસ બયતુલ્લાહનો તવાફ કરે છે તે એક પગ ઉઠાવીને બીજો પગ મુકે એટલામાં અલ્લાહ તઆલા તેની એક ભૂલ માફ કરી આપે છે અને એક નેકી લખી આપે છે અને એક દરજો બુલંદ કરે છે.

                હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)ની રિવાયત છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું છે કે જે માણસ બયતુલ્લાહના પચાસ તવાફ કરે તો તે સગીરહ ગુનાહોથી એવો પાક થઈ જાય છે કે જાણે આજે જ એની માંએ એને જન્મ આપ્યો હોય. (તિરમિઝી)

                ઉલમાએ કિરામ ફરમાવે છે કે ઉપરોકત ફઝીલત પ્રાપ્ત કરવા માટે એકજ સમયે લગાતાર તવાફ કરવું જરૂરી નથી, બલ્કે ઝિંદગી ભરમાં થોડા થોડા કરીને એ પચાસની સંખ્યા પૂરી કરે તો પણ એ ફઝીલત પ્રાપ્ત થશે. ઈન્શાઅલ્લાહ.

                કઅબતુલ્લાહની બુલંદીનો અંદાઝ એનાથી લગાવી શકાય છે, કે ખાતિમુલ અંબિયા વલ મુરસલીન, સય્યિદુલ અવ્વલીન વલ્‌ આખિરીન, હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પણ એનો તવાફ કર્યો છે. અને એના તરફ નમાઝ પઢવાનો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને હુકમ હતો, અને હવે કિયામત સુધી, માત્ર તે અને તે જ ઘર ખુદાપરસ્તો માટે કિબ્લહ છે.

Log in or Register to save this content for later.