ઓરતો માટે એક ખાસ મસ્અલો

Chapter : બહેનોની હજ્જ

(Page : 159 to 162)

ઓરતો માટે એક જરૂરી મસ્અલો

                કોઈ ઓરતે ”હજ્જે તમત્તુઅ”ની નિય્યતથી એહરામ બાંધ્યું અને મકકહ મુકર્રમહ પહોંચતા પહેલા અથવા ત્યાં પહોંચીને તરતજ તેને હૈઝ (માસિક) આવી ગયું અને માસિકના કારણે આવી ઓરત ઉમરહ ના કરી શકી અને ૮ ઝિલ્હજ્જ એટલે કે મિના જવાનો દિવસ આવી ગયો તો આવી ઓરત એહરામ ઉતારવાની નિય્યતથી માથું ખોલી નાખી, માથામાં તેલ લગાવી, માથું ઓઢી લે અને ઉમરહનું એહરામ ખોલી નાખે અને હજ્જની નિય્યતથી ”તલ્‌બિયહ” પઢીને, હજ્જનું એહરામ બાંધી લે અને મિના ચાલી જાય અને હજ્જના બધા જ અરકાનો અદા કરે અને આવી ઓરતની હજ્જ ”હજ્જે ઈફરાદ” ગણાશે.

                આવી ઓરત હજ્જથી પરવારી ગયા પછી પેલા છુટેલા ઉમરહની કઝાની નિય્યતથી એક ઉમરહ કરી લે અને એક કુર્બાની પણ કરે. અને આ ”દમ” પહેલા ઉમરહના એહરામના ખોલી નાખવાના કારણથી વાજિબ થયો છે.

                આવી ઓરત ઉપર ”હજ્જે તમત્તુઅ”ના શુક્રિયહનો ”દમ” વાજિબ નથી એટલા માટે કે એની હજ્જ ”હજ્જે ઈફરાદ” થઈ છે અને ”હજ્જે ઈફરાદ” કરનાર પર કુરબાની વાજિબ નથી.

(ખયરૂલ ફતાવા ૪/ર૩૩, અયની શર્હે બુખારી ૧૦/૧ર૩, મિશ્કાત પ/૩૦૬–૩૦૭)

                માટે જે ઓરતને પોતાની માસિક આવવાની આદત પ્રમાણે એ વાતની ઉમ્મીદ ના હોય કે તેમાસિકથી પાક થઈને હજ્જના દિવસો પહેલાં ઉમરહ કરી શકશે તો આવી ઓરત માટે સારૂ એ છે કે એ ”હજ્જે ઈફરાદ”નું એહરામ બાંધે, જેથી તેણી પર ઉમરહના એહરામ ખોલી નાંખવાના કારણે જે ”દમ” વાજિબ થઈ જાય છે તે ”દમ” વાજિબ ના થાય.

                ”હજ્જે ઈફરાદ”નો અર્થ જ આ છે, કે ફકત હજ્જ કરવી જેમાં ”મીકાત”થી ફકત હજ્જનું એહરામ બાંધવામાં આવે છે, અને આ પ્રમાણે નિય્યત કરવામાં આવે છે :

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الْحَجَّ فَیَسِّرْہٗ لِیْ وَ تَقَبَّلْہٗ مِنّی

                (અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલ હજ્જ ફયસ્સિરહૂ લી વ તકબ્બલહૂ મિન્ની)

                ”અય અલ્લાહ હું હજ્જના એહરામની નિય્યત કરું છું, તેને મારા માટે આસાન ફરમાવો, અને કબૂલ ફરમાવો.”

                આ એહરામથી ફકત હજ્જ અદા કરવામાં આવે છે અને હજ્જ પહેલાં ઉમરહ કરવામાં આવતો નથી. અને આ ”હજ્જે ઈફરાદ”માં હજ્જ પહેલાં એહરામ ખોલી શકાતું નથી. બાકીના અમલો તે રીતે જ કરવાનાં છે, જેમકે ”હજ્જે તમત્તુઅ”માં કરવામાં આવે છે.

                હાં, હજ્જે ઈફરાદ કરવાવાળી ઉપર કુર્બાની વાજિબ નથી. અને ”હજ્જે ઈફરાદ”માં ”તવાફે કુદૂમ” સુન્નત છે, જયારે કે ”હજ્જે તમત્તુઅ”માં ”તવાફે કુદૂમ” કરવાનો નથી.

                ખૈર, હવે હજ્જના બધાજ, અરકાનો પૂરા થઈ ગયા છે, અને હજ્જની મહાન નેઅમત તમને મળી ગઈ છે. હવે ફકત તવાફે વદાઅ બાકી છે.

                ”તવાફે વિદાઅ” મકકહ મુકર્રમહથી પોતાના વતન પાછા ફરતી વખતે કરવો વાજિબ છે. જયાં સુધી મકકહ મુકર્રમહમાં રહો, ત્યાં સુધી બીજા નફલ તવાફ પોતાની તાકત પ્રમાણે, વધુ પ્રમાણમાં કરતી રહો.

                નાના મોટા ગુનાહોથી, દરેક રીતે બચવાની કોશિશ કરો, કારણ કે અહિયા, જેમ ઈબાદતોનો સવાબ વધારે છે, તેમ ગુનાહોનો વબાલ પણ મોટો છે. માટે ત્યાંની બજાર (માર્કેટો)માં શોપીંગ માટે, અથવા ફરવા માટે વધુ નીકળવું, ગેરમહરમ મર્દો ઉપર નજર પડવી, બેકાર વાતો, ગીબત વગેરેથી પોતાને બચાવવાની કોશિશ કરો.

તવાફે વદાઅ

                જયારે મકકહ મુકર્રમહથી પાછા ફરવાનો સમય આવે, ત્યારે આપે ”તવાફે વિદાઅ” (રૂખ્સતીનો તવાફ) કરવાનો છે.(મીકાતથી બહાર રહેનારાઓ (બહારના હાજીઓ) માટે આ ”તવાફે વિદાઅ” વાજિબ છે.)

                જો તમોને હૈઝ (માસિક) આવી ગયું હોય અથવા તમો નિફાસની હાલતમાં હોય અને મકકહ મુકર્રમહથી રવાના થતાં સુધી પાક ના થઈ શકી હોય, તો તમારા માટે તવાફે વદાઅ માફ થઈ જશે હવે તમો હરમ શરીફના દરવાજા બહાર ઉભી થઈને દુઆ માંગી લ્યો અને હરમ શરીફમાં અથવા અન્ય કોઈ મસ્જિદમાં દાખલ ના થાઓ.

                જો મકકહ મુકર્રમહની આબાદી પૂરી થતાં પહેલાં જ તમો માસિક અથવા નિફાસથી પાક થઈ જાઓ તો તમારા માટે મસ્જિદે હરામમાં પાછું આવવું અને તવાફે વદાઅ કરવું જરૂરી થઈ જાય છે. અને જો મકકહ મુકર્રમહની આબાદીથી નીકળી ગયા પછી પાક થાઓ તો પછી તમારા માટે પાછું ફરવું વાજિબ નથી.

                તવાફ કરતી વખતે, પોતાના ઉપર ગમ તથા અફસોસની હાલત હોય અને જો આંખોથી આંસુ વહે તો ઘણું સારુ નહિતો, રડવાની શકલ બનાવો. તવાફ પછી બે રકા’ત નમાઝ તવાફની પઢવાની છે, ત્યાર પછી ઝમઝમ ઉપર જાઓ અને કિબ્લહ તરફ ઉભા રહી, ઝમઝમનું પાણી પેટ ભરીને, ખૂબ ધરાઈ ધરાઈને પીઓ અને બદન ઉપર તથા સીના ઉપર લગાવો. થઈ શકે તો, કઅ્‌બતુલ્લાહની ચોખટને બોસો આપો અને મુલ્તઝમ ઉપર મોં મુકીને, કઅબતુલ્લાહનો પડદો પકડીને, રડી કકડીને ખૂબ આજિઝી સાથે દુઆ માંગો, કે આ પાક જગા ના દિદાર વારંવાર નસીબ થાય. હજરે અસ્વદને બોસો આપો આ મૌકા ઉપર ,જો આપની આંખો બે આસું વહાવી આપે, તો ઘણું જ સારૂ અને મુબારક છે.

                ખાનએ કઅબહની જુદાઈ ઉપર અફસોસનો ઈઝહાર કરો. મસ્જિદમાંથી ઉલટા પગે નીકળવું ,રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત નથી, પરંતુ આલિમોએ અને બુઝુર્ગોએ કઅબહના માન અને ઈઝઝત માટે સારૂં સમજયું છે.

                બયતુલ્લાહના અદબો અને હુકૂકના વિશે જે કંઈ કોતાહીઓ આ દિવસોમાં થઈ ગઈ, તેની માફી માંગતી માંગતી મસ્જિદે હરામથી નીકળો અને કાયદા પ્રમાણે ડાબો પગ પહેલા (બાબુલ વદાઅ અથવા બીજા કોઈ પણ દરવાજાથી) મસ્જિદે હરામની બહાર કાઢો અને આ દુઆ પઢો.

اَللّٰھمَّ اغْفِرْ لِیْ ذُنُوْبِی وَ افْتَحْ لِی اَبْوَابَ رَحْمَتِکَ

                (અલ્લાહુમ્મ ગ્ફિરલી ઝુનૂબી વફતહ લી અબવાબ રહમતિક)

                ”હે અલ્લાહ ! મારા ગુનાહોને મા’ફ ફરમાવો અને મારા માટે તમારી રહમતના દરવાઝા ખોલી આપો”

                ”તવાફે ઝિયારત” પછી જો તમોએ કોઈ નફલ તવાફ કર્યો હોય તો એ તવાફ પણ ”તવાફે વદાઅ”ના કાયમ મકામ થઈ જશે.

                જો તવાફે વદાઅ કર્યા વગર મીકાતથી બહાર નીકળી જશો તો તમારા ઉપર ”દમ” વાજિબ થશે, એ ”દમ”થી બચવાની રીત, આ છે કે ફરીવાર ઉમરહનું એહરામ બાંધીને હરમમાં આવો અને પહેલાં ઉમરહ કરો, પછી તવાફે વદાઅ કરો. ફકત તવાફે વિદાઅના માટે, મીકાતથી ઉમરહના એહરામ વગર આવવું મના છે.

Log in or Register to save this content for later.