અરફાતથી મુઝદલિફહ માટે રવાનગી

Chapter : બહેનોની હજ્જ

(Page : 140 to 144)

અરફાતથી મુઝદલિફહ માટે રવાનગી

                હવે લાખો માણસોની આ વસ્તી ૩ માઈલ દૂર જતી રહેશે. દુન્યામાં કોઈ શહેરનું આબાદ થવું કે વેરાન થવું કોઈ નાની વાત નથી ગણાતી, એક કિયામત બરપા (મોટો બનાવ) થઈ જાય છે, એક તોફાન મચી જાય છે. સમસ્ત દુન્યામાં ચર્ચા થાય છે. પણ અહિંયાં તમે જોશો કે જાણે કશુંજ થયું નથી. બધાને હુકમ લાવ્યો હતો અને હુકમ જ લઈ જઈ રહયો છે ! ગુલામોની જેમ આવ્યાં હતા, અને ગુલામોની જેમ જ જઈ રહયાં છે.

                જુઓ થોડીવારમાં મુઝદલિફહ પણ આવી ગયું. એક મૈદાનમાં એક સાથે લાખો મુસાફિરો ઉતરી પડયા છે. આજની રાત તમને મુઝદલિફહ,   ચો તરફ આબાદ નઝર આવશે ! શું ખયરો બરકતની રાત હશે! તમને જે પણ ટાઈમ મળે, તેને ગનીમત જાણશો.

فَاِذَا قَضَیْتُمْ مِنْ عَرَفَاتٍ فَاذْکُرُوا اللّٰہَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ

મુઝદલિફહની આજની રાતના વિષે આવ્યું છે કે :

‘તમો જયારે અરફાતથી પાછા વળીને મુઝદલિફહ આવો તો અહિયા મશઅરે હરામની પાસે, અલ્લાહના ઝિક્રમાં મશ્ગૂલ રહો.”

                બતાવવામાં આવ્યું છે કે મુઝદલિફહમાં રહેવાવાળા હાજીઓ માટે આ રાત શબે કદ્રથી પણ અફઝલ અને કાબિલે કદ્ર છે.આ રાતની કદ્રો કીંમતને યાદ રાખશો, આ રાતને જાગીને વિતાવવામાં આવે.ઈબાદત, ઝિક્ર, ઈસ્તિગફાર, તૌબા અને દુરૂદ શરીફમાં મશ્ગૂલ રહેશો. બેશક તમે સુઈ પણ શકો છો, પણ સુવા માટે આખી ઝિંદગી પડેલી છે, આવી રાતો ઝિંદગીમાં વારંવાર નસીબ નથી થતી. લગભગ એવું બને છે કે અરફાતના દિવસભરની થાકેલી, પાકેલી, અહિયાં આવી સુઈ જાય છે અને રાત, સુવાની હાલતમાં જ કાઢે છે. એટલા માટે તમો એ વાતનો ખ્યાલ રાખશો કે રહમત અને બરકતવાળી આ રાત, કયાંક ઊંઘમાં વેડફાય ના જાય.

                જો થાક નો અસર હોય અને તબિયત સુવા માટે બેચેન હોય તો એમ કરવું બેહતર છે કે, પહેલાં જયારે ઈશાની નમાઝનો ટાઈમ થઈ જાય તો મગરિબ અને ઈશા બંને નમાઝો એકજ ટાઈમમાં એ રીતે પઢશો, કે પહેલા મગરિબની ત્રણ ફર્ઝ, અને પછી ઈશાની ચાર, અથવા બે રકા’ત (મુસાફિર હોય તો) ફર્ઝ અદા કર્યા પછી, મગરિબની સુન્નતો અને નવાફિલ, અને ત્યાર પછી ઈશાની સુન્નતો અને નવાફિલ અને વિત્‌ર પઢશો. મતલબ આ છે, કે બંને નમાઝોના ફર્ઝના વચમાં કોઈ સુન્નત કે નફલ ન પઢવામાં આવે.

                મગરિબ અને ઈશાની નમાઝ પઢીને થોડીવાર તસ્બીહ તથા ઈસ્તિગફાર અને અલ્લાહની હમ્દ બયાન કરી, તેના સમક્ષ દુઆ કરીને થોડીવાર માટે આરામ કરી લેશો અને પછી ઉઠીને સવાર સુધી અલ્લાહના ઝિક્રમાં મશ્ગૂલ થઈ જશો અને અરફાતના મેદાનની જેમ અહિયાં પણ દુઆઓ વગેરેમાં મશ્ગુલ રહેશો.

                ”મુઝદલિફહ”નો વુકૂફ વાજિબ છે, અને સુબ્હે સાદિક પછી વુકૂફનો ટાઈમ શરૂ થઈ જાય છે, જે સુર્ય ઉગવાના પહેલાં પહેલાં સુધી રહે છે, જે લગભગ દોઢ કલાકનો સમય થાય છે. અને સૂરજ ઉગતાં જ વુકૂફનો ટાઈમ પૂરો થઈ જાય છે, ત્યાર પછી વુકૂફ કરવું સહીહ ગણાશે નહિ, અને એના છૂટવાના કારણે મરદો ઉપર દમ વાજિબ થશે. એવી જ રીતે, સુબ્હ સાદિક પહેલાં, જો કોઈ માણસ મુઝદલિફહથી ચાલ્યો જાય, તો પણ વુકૂફ ગણાશે નહિ, અને દમ વાજિબ થશે.

                પણ, તમો ઔરતો માટે રજા આપવામાં આવી છે કે જો તમો ભીડના કારણે મુઝદલિફહમાં ના રોકાવો અને મિના ચાલી જાઓ તો તમારા ઉપર દમ વાજિબ થશે નહિ.

                ”મુઝદલિફહ”થી મિના રવાના થતાં પહેલા ખાસ યાદ રાખો કે, આપે મિનામાં શૈતાનને કાંકરીઓ મારવાની છે, તે કાંકરીઓની વ્યવસ્થા અહિંયાં મુઝદલિફહમાંથી જ કરી લેશો, એટલે કે ઓછામાં ઓછી ૭૦ કાંકરીઓ ધોઈને એક થેલીમાં મુકી આપો,(કાંકરીઓ ધોવી જરૂરી નથી પણ તમો જોશો કે નાપાક હોવાનો શક રહે છે તો ધોઈ લેવી બેહતર છે.) તે કાંકરીઓ ન તો બહું મોટી હોય અને ન, ઘણી નાની હોય, બલ્કે ચણા જેટલી અથવા ખજૂરના ઠળિયા જેટલી હોય. જો મુઝદલિફહથી કાંકરીઓ નહિ લો તો, પાછળથી આપને પરેશાની થશે કારણ કે બીજી જગાએથી કાંકરીઓ મળવી મુશ્કિલ થઈ જાય છે. (મોટા પથ્થરને તોડીને રમી માટે નાના નાના ટુકડા કરવા મકરૂહ છે, એવી જ રીતે જમરહની પાસેથી કાંકરીઓ લેવી પણ મકરૂહ છે, હદીસ શરીફમાં આવે છે કે, જેમની હજ્જ કબૂલ થાય છે, તેમની કાંકરી ઉઠાવી લેવામાં આવે છે. અને ત્યાં પડી રહેલ કાંકરીઓ, કબૂલ ન થયેલી (મરદૂદ) છે. (તેમજ નાપાક જગાએથી લેવી પણ મકરૂહ છે.)

                ”મુઝદલિફહ”માં ફજરની નમાઝ પઢીને, થોડીવાર વુકૂફ કરો અને અદબ, એહતિરામથી તૌબા, ઈસ્તિગફાર કરો. પોતાના ગુનાહોની મા’ફી માંગો. સૂરજ નીકળવાની થોડીક મિનિટો પહેલાં, વુકૂફનો ટાઈમ પૂરો થઈ જાય છે. જો કોઈ માણસ ફજરની નમાઝમાં, વુકૂફની નિય્યત કરી લે, અને તસ્બીહ, તકબીર, તલબિયહ કહી લે, તો પણ આ વાજિબ અદા થઈ જશે.

                (આ વુકૂફ સુબ્હે સાદિકથી લઈ ખૂબ અજવાળું થતાં સુધી (એટલે કે સૂર્ય ઉગવાથી પાંચ મિનીટ પહેલાં સુધી) સુન્નતે મુઅકકદહ છે.)

Log in or Register to save this content for later.