મિના રવાનગી

Chapter : બહેનોની હજ્જ

(Page : 115 to 116)

મિના રવાનગી

                ૮ ઝિલ્હજ્જના આપે ”હજ્જ”નું એહરામ બાંધવાનું છે અને આપને ૮ ઝિલ્હજ્જના ”મિના” જવાનું છે, જે ”મકકહ મુકર્રમહ”થી સાડા ત્રણ માઈલ દૂર છે. પણ એટલું યાદ રાખશો, કે હવે ”મકકહ મુકર્રમહ” તમારી વાપસી બારમી અથવા તેરમી ઝિલ્હજ્જના થશે, એટલે કે ચાર પાંચ દિવસ પછી તમારે પાછા આવવાનું થશે, તો એટલા દિવસનો જરૂરી સામાન પણ સાથે લઈ લો. મિનામાં બઝાર જેવું હોય છે, અને જે રીતે ”મકકહ મુકર્રમહ”માં ખાવા–પીવાની વસ્તુઓ મળે છે, એવી જ રીતે ”મિના”માં પણ એ બધું મળી જશે, એટલે એવી વસ્તુઓ બાંધીને લઈ જવાની જરૂર નથી.

                મિના જતી વખતે આપના મુઅલ્લિમ સાહેબ તરફથી, આપને એક કાર્ડ આપવામાં આવશે, જેમાં જે તે મુઅલ્લિમનું નામ તથા તેમનો નંબર પણ હશે અને ખાસ વાત આ કે, તેમાં આપને મિનામાં જઈ જે તંબૂમાં થોભવાનું છે તેનો નંબર પણ લખેલો હશે. તો આપ આ કાર્ડને જાળવી રાખશો.

                ”મિના” જતી વખતે, એવી જ રીતે” મિના”થી ”અરફાત” અને ત્યાંથી ”મુઝદલિફહ” અને ત્યાંથી વળી પાછા ”મિના” આવતી વખતે, દરેક જગાએથી સફર શરૂ કરતી વખતે, તમો પોતાના દિલમાં એવો જ ખ્યાલ જમાવો કે મારો મવલા હવે મને ત્યાં હાજરીનો હુકમ કરી રહયો છે. જો તમને આવો ખ્યાલ નસીબ થઈ ગયો, તો ઈન્શાઅલ્લાહ ચલત, ફિરત અને દોડભાગમાં આપને ઘણી લઝઝત આવશે.

                ”મિના” માટે સવારમાં જલ્દી નીકળી જવું જોઈએ, જેથી વધુ તડકો થતા પહેલાં ”મિના” પહોંચી જવાય અને ત્યાં પહોંચી આપના મુઅલ્લિમે આપના માટે જે ખેમા(તંબુ)માં અથવા જે જગાએ થોભવાનો ઈન્તિઝામ કર્યો છે, ત્યાં આપ આરામ કરો.

                મિનામાં હઝારો બેહતરીન ફાયરપૃફ, એરકુલરની ફેસીલીટીવાળા તંબૂઓ બનેલા છે અને બધા એક જ સરખા દેખાય છે, જેના કારણે અનેક લોકો અહિયા ભૂલા પડી જાય છે. માટે વગર જરૂરતે પોતાના તંબૂને છોડીને બહાર જવું નહિ.

Log in or Register to save this content for later.