હજ્જ

Chapter : બહેનોની હજ્જ

(Page : 110 to 115)

હજ્જ

૮ ઝિલ્હજ્જના હજ્જનું એહરામ અને મિના રવાનગી :

                જે દિવસો માટે અલ્લાહ તઆલાએ તમોને બોલાવી હતી, તે દિવસો આવી ગયા. યાદ રાખો, આ દિવસો આપના પૂરા સફરની જાન છે.

                ઝિલ્હજ્જની આઠમી તારીખથી ”હજ્જ”ના અરકાનો શરૂ થઈ જાય છે. આઠમીના સૂર્ય ઉગ્યા પછી એહરામની હાલતમાં બધા હાજીઓએ મિના જવાનું છે.

                ”અહમદાબાદ”થી કે ”મુંબઈ”થી હવાઈ જહાઝમાં બેસતા પહેલા આપે જેવી રીતે ગુસલ કરીને એહરામ બાંધ્યું હતું, એ જ પ્રમાણે આ એહરામ પણ બાંધવાનું છે. બંનેમાં કોઈ ફરક નથી.

                હજ્જનું એહરામ હુદૂદે હરમની કોઈ પણ જગાએથી બાંધી શકો છો, તમે જે મકાનમાં ઉતર્યા છે, ત્યાંથી પણ બાંધી શકો છો.

                એહરામ બાંધીને મસ્જિદે હરામમાં આવો અને સહૂલત હોય તો ”તવાફે તહિય્યહ” કરો (આ તવાફ ફર્ઝ કે વાજિબ નથી, માટે કરવો જરૂરી નથી. નફલ તવાફ કરીને બે રકા’ત વાજિબુત્તવાફ પઢો.

                જો ભીડ હોય અથવા કોઈ કારણસર તવાફ ના કરવો હોય તો, જો મકરૂહ વખત ના હોય તો, બે રકા’ત તહિય્યતુલ મસ્જિદ પઢો, ત્યાર પછી બે રકા’ત નમાઝ એહરામના સુન્નતની પઢો, અને હજ્જના એહરામની નિય્યત કરો.

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الحَجَّ فَیَسِّرْہُ لِیْ وَ تَقَبَّلْہُ مِنِّی

(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલહજ્જ ફયસ્સિરહુ લી વતકબ્બલહુ મિન્ની.)

                ”અય અલ્લાહ તઆલા હું આપની રઝામંદી માટે હજ્જનો ઈરાદો કરું છું. આપ મારા માટે એને આસાન ફરમાવી, કબૂલ ફરમાવો.”

ઉપરોકત નિય્યત કરીને પછી ”તલ્‌બિયહ” પઢો.

لَبَّیْکَ لَـبَّــیْــکَ اَلـلّٰـھــُمَّ لَـبَّـیْکَ،

لا شَرِیْکَ لَکَ لَـبَّیْکَ،

اِنَّ الْحَمْدَ وَ الـنِّعْمَۃَ لَکَ وَ الْمُلْکَ،

لا شَرِیْکَ لَکَ۔

લબ્બય્‌ક,અલ્લાહુમ્મ લબ્બય્‌ક

લબ્બય્‌ક લા શરીક લક લબ્બય્‌ક

ઈન્નલ્‌–હમ્દ વ ન્નિઅમત લક વલ મુલ્ક,

લા શરીક લક

હું હાજર છું, હે અલ્લાહ હું હાજર છું,

હું હાજર છું, આપનો કોઈ જ ભાગીદાર નથી,હું હાજર છું,

બેશક બધા વખાણ અને નેઅ્‌મતો ફકત તમારા માટે જ છે,અને મુલ્ક પણ, તમારો કોઈ જ ભાગીદાર નથી.

                ”ઉમરહ” અને ”હજ્જ”માં જયાં જયાં ”તલ્‌બિયહ” પઢવાનું આવ્યું છે, ત્યાં જયારે જયારે પઢો ત્યારે એકવાર પઢવું તો જરૂરી છે, અને ત્રણવાર પઢવું સુન્નત છે.

                ”તલ્‌બિયહ” પઢતી વખતે, દિલમાં એવો ખ્યાલ જમાવો કે (મારા માલિક અને મારા પરવરદિગારે આજથી હઝારો વર્ષ પહેલા, પોતાના ખલીલ હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) મારફત પોતાના બંદીઓજ્બંદાઓને હજ્જ માટે બોલાવ્યા હતા) હું તેનો જવાબ આપી રહી છું, અને મારા માલિકથી કહી રહી છું અને તે સાંભળી રહયો છે અને મારી હાલત જોઈ રહયો છે.

                ”તલ્‌બિયહ”પછી જે પણ દિલ ચાહે તે દુઆ કરી શકો છો પણ ખાસ કરીને આ દુઆ માંગવી જોઈએ :

                ”અય અલ્લાહ, હું તમારા હુકમ ઉપર અમલ કરવા માટે અને તમારી રઝામંદી માટે પોતાનો દેશ અને ઘરબાર છોડીને તમારા દરવાઝા ઉપર હાજર થયી છું અને મેં હજ્જનું એહરામ બાંધ્યું છે. તમો પોતાની ખાસ મદદ અને તૌફીકથી મારા આ હજ્જને અદા કરાવી આપો અને એને કબૂલ ફરમાવો અને હજ્જની બરકતોથી મને નવાઝો. હું તમારાથી તમારી રઝામંદી અને જન્નતનો સવાલ કરું છું અને દોઝખ તેમજ તમારી નારાજગીથી પનાહ માંગું છું. અય અલ્લાહ ! દુન્યા અને આખિરતની ભલાઈઓ તેમજ આફિયત મને નસીબ ફરમાવો અને મારી બધી જ ભૂલો અને ગુનાહોને માફ ફરમાવો.

                નિય્યત કરવાથી અને તલ્‌બિયહ પઢવાથી હવે ફરીવાર આપના ઉપર તે બધી જ પાબંદીઓ આવી ગઈ, જે ઉમરહના એહરામ વખતે હતી. હવે ૧૦ તારીખના કુર્બાની કર્યા પછી, જયારે બાલ કપાવશો ત્યારે જ આપનું એહરામ ખતમ થશે. અલબત્ત, સોહબતની પાબંદી તવાફે ઝિયારત ન કરવામાં આવે ત્યાં સુધી બાકી રહેશે.

                જો ૮ઝિલ્હજ્જ પહેલાં જ માસિક શરૂ થઈ જાય, તો તેવી જ હાલતમાં હજ્જનું એહરામ બાંધી લો, હજ્જની નિય્યત કરી લો અને તલબિયહ પઢી લો.–મિના, અરફાત, અને મુઝદલિફહમાં નમાઝો ના પઢશો, પણ તલબિયહ, તકબીર, લાઈલાહ ઈલ્લલ્લાહ, અને તસ્બીહ પઢતી રહેજો અને જો ત્યાર પછી પણ હાલતે હૈઝમાં હોય, તો તવાફે ઝિયારત ના કરજો, પાક થયા પછી તરત જ તવાફે ઝિયારત કરી લીજો.

                ”ઉમરહ”ના એહરામ વખતે જે ”તલ્‌બિયહ” પઢતી હતી, તે ”તવાફ” શરૂ કરતાંજ ખતમ થઈ ગઈ હતી. આ ”તલ્‌બિયહ” પણ હવે આપે ઉઠતાં, બેસતાં અને નમાઝો પછી પઢવાની છે અને જયારે તમો ૧૦ ઝિલ્હજ્જના ”જમરએ અકબા”ની રમી માટે પહેલી કાંકરી મારવાનું શરૂ કરશો, કે તરતજ આ ”તલ્‌બિયહ” પઢવાનું પણ ખતમ થઈ જશે. પછી તમારે ”તલ્‌બિયહ” પઢવાની નથી.

Log in or Register to save this content for later.