Chapter : ઝિયારતે મદીના
(Page : 1 to all)
બિસ્મિહી તઆલા
ઝિયારતે મદીનહ મુનવ્વરહ : અલ્લાહ તઆલાના પવિત્ર ઘર ”ખાનએ કઅબહ”ના દીદાર અને ”હજ્જ”ના મુબારક ફર્ઝથી ફારિગ થઈ, ઝિંદગીની સૌથી મોટી નેઅમત અને સઆદત, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક રવઝહની ઝિયારત માટે મદીનહ મુનવ્વરહનો સફર કરવો છે.
તમો જો હજ્જ પછી મદીનહ મુનવ્વરહ જઈ રહયા છો તો તવાફે વદાઅ કરવાનું ભૂલશો નહિ.”મકકહ મુકર્રમહ”થી જુદાઈના રંજ અને ગમને ”મદીનહ મુનવ્વરહ”ની હાજરી અને રવઝએ પાકની ઝિયારત અને બારગાહે નબુવ્વતમાં હાજરીની ખૂશીઓથી દૂર કરો. મસ્ત થઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદો સલામ પઢો :
اللھم صل علی سیدنا محمد وعلی الہ واصحابہ وبارک وسلم کما تحب وترضی عدد ما تحب وترضی |
”સઊદી હુકૂમતે” મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહ સુધી, ડબલ લાઈન પાકી સડક બનાવી છે આ તે જ રસ્તો છે, જે રસ્તે થી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર કર્યો હતો અને એ કારણે આ સડકનું નામ પણ ”શારિઉલ હિજરત” (હિજરતનો રસ્તો)રાખવામાં આવ્યું છે.આ સડકના કારણે મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર ઘણો જ આસાન થઈ ગયો છે.
મદીનહ તય્યિબહ : કાઝી અયાઝ ફરમાવે છે, કે જે જગાઓ ઉપર વહી ઉતરી હોય અને કુર્આને પાક નાઝિલ થયું હોય, હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) તથા હઝરત મીકાઈલ (અલયહિસ્સલામ) વારંવાર ત્યાં હાજર થતા રહયા હોય, જયાંનું મૈદાન અલ્લાહ વાળાઓના ઝિક્ર અને તિલાવત તથા તસ્બીહોથી ગુંજતુ રહયું હોય, અલ્લાહના દીન અને તેના રસૂલે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્નતો જયાંથી ઝરણાની માફક વહેતી હોય તે પાક જગા (મદીનહ મુનવ્વરહ)ના મેદાનો એ લાયક છે કે તેની તઅ્ઝીમ કરવામાં આવે તેની ધૂળમાં આળોટવામાં આવે અને તેની ખૂશ્બૂ સુંઘવામાં આવે. મદીનહ મુનવ્વરહની એક એક વસ્તુ અનહદ કાબિલે કદ્ર છે.
મસ્જિદે નબવીમા દાખલો : પોતાના રૂમ ઉપર શાંતિથી પોતાનો સામાન ઠેકાણે મુકી આપો અને જો મદીનહ મુનવ્વરહ આવતાં પહેલાં આપને ગુસલ કે કપડાં બદલવાનો મોકો ના મળ્યો હોય તો ગુસલ અથવા મિસ્વાક કરી, વુઝૂ કરી લો અને ચોખ્ખા સુફેદ કપડાં પહેરી, ખુશ્બૂ લગાવી, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થવા માટે અને રવઝએ અકદસ ઉપર હાજરી આપવાના ઇરાદાથી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જવાનું શરૂ કરો.દુરૂદ શરીફ પઢતાં પઢતાં, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થાઓ અને જો શકય હોય તો ”બાબે જિબ્રઈલ”થી જમણા પગે દાખલ થશો .
રિયાઝુલ જન્નત :”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો તો તમારા ડાબા હાથ બાજુ એક રૂમ દેખાશે, આ હઝરત ફાતિમહ (રદિ.)નું ઘર હતું. જયારે તમો એના સામેથી આગળ વધશો, તો તરતજ ડાબા હાથ ઉપર મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો જે ભાગ છે, તેને ”રિયાઝુલ જન્નત” કહેવામાં આવે છે. મિમ્બરે રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને કબર શરીફના વચ્ચેનો પૂરો ભાગ રિયાઝુલ જન્નત છે.આ જગા વિશે હદીસ શરીફમાં આવ્યું છે, કે ”જે જગા મારા ઘર અને મારા મિમ્બરના વચમાં છે, તે જન્નતના બાગોમાંથી એક બાગ છે.”
અર્થ આ છે, કે આ જગા હકીકતમાં જન્નતનો એક ટુકડો છે, જેને દુન્યામાં લાવવામાં આવ્યો છે, અને કયામતના દિવસે આ ટુકડો પાછો જન્નતમાં જતો રહેશે. આ ”રિયાઝુલ જન્નત”માં બે રકા’ત તહિય્યતુલ મસ્જિદ પઢો અને અહીંયા જગા ના મળે, તો મસ્જિદમાં ગમે ત્યાં પઢી શકો છો. નમાઝથી ફારિગ થઈ, જયારે ”મઝારે પાક” તરફ આવો, તો એમ ખ્યાલ જમાવો કે આપણે મેલા–ગંદા અને એવા ગુનેહગાર છીએ કે, કયા મોંએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે આવીએ? પોતાની રૂહ તરફ ધ્યાન કરશો, કે એ કેટલી ગંદી છે? તે છતાં અલ્લાહ તઆલા પોતાના મહબૂબના સામે આવવા બોલાવી રહયા છે.
આ મૌકા ઉપર આ વાત યાદ રાખવી જોઈએ કે, હુઝૂર પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મઝાર મુબારક સામે ત્રણ જાળી (મોટી કમાનો બનાવેલી) છે, ફકત વચ્ચેની જ જાળી (કમાન)માં ત્રણેવ હઝરાત આરામ ફરમાવી રહયા છે. વચ્ચેની જાળીમાં એક મોટું ગોળ કાણુ રાખવામાં આવ્યું છે, જે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક ચહેરાની સામે છે. આ જ કાણાથી થોડુંક હટીને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની છાતી મુબારક છે, જયાં હઝરત અબૂબકર (રદિ.)નું માથું મુબારક છે,અહીંયા પણ એક નાનું ગોળ કાણુ છે,જે હઝરત અબૂબકર (રદિ.)ના મોં સામે છે. અને હઝરત અબૂબકર (રદિ.)ના સીનાની પાસે હઝરત ઉમરે ફારૂક (રદિ.)નું માથું મુબારક છે, તેમના મુબારક ચેહરાની સામે પણ એક નાનું ગોળ કાણું છે.
”રવઝએ અકદસ” પાસે હાજર થાઓ અને અદબથી, એવી રીતે ઉભા રહો, કે જાણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિંદગીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે ઉભા છો. પોતાનું મોં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મોં મુબારકની સામે અને પીઠ કિબ્લહ તરફ રહેશે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક સૂરતનો દિલમાં ખ્યાલ જમાવો અને આ ખ્યાલ કરો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કબર મુબારકમાં હયાત છે, મારી હાજરીની એમને ખબર છે અને મારી દરખ્વાસ્ત સાંભળી રહયા છે,અને ધીમી અવાઝે, નઝર નીચી રાખીને સલામ પઢો. સલામ પેશ કરતી વખતે, ઘણા હાજીઓ અરબી ઝુબાનથી નાવાકિફ હોવાના કારણે ઉલટ સુલટ બોલે છે, જેનાથી અર્થ બદલાઈ જાય છે. યાદ રાખો, કે સલામ તે સારી છે, કે જે અકીદત, મુહબ્બતથી પેશ કરવામાં આવે,ભલેને તે નાની હોય, એટલે જેઓ પઢવાનું નથી જાણતા, તેઓએ નીચેની નાની સલામ યાદ કરી લેવી જોઈએ અને તે જ વારંવાર પઢતા રહો.
”અસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહ’ ‘ الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ
વધુ યાદ કરી શકતા હોય, તો નીચે પ્રમાણેની સલામ જરૂર યાદ કરી લોઃ
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّہٰ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا نبی اللہ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَاحبیب اللہ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خیر خلق اللہ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خَاتَمَ الَانبِیَاء – الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا سید الانبیاء والمرسلین ورحمۃ اللہ وبرکاتہ۔ |
તમારી સલામ પઢાઇ જાય ત્યાર પછી, જો કોઈએ તમોને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં સલામ રજૂ કરવાની દરખ્વાસ્ત કરી હોય, તો હવે તેના તરફથી સલામ પેશ કરો. જેની રીત આ છે કે :
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ مُحَمَّد اِقْبَال فَلاحِیْ۔ |
”અસ્સલાતુ વસ્સલામુ અલયક યા રસૂલલ્લાહિ મિન મુહમ્મદ ઇકબાલ ફલાહી.”
(મતલબ એ છે કે من પછી તે માણસનું નામ લેવામાં આવે, જેણે તમોને સલામ કરવાની દરખ્વાસ્ત કરી છે.)અને જો ઘણા બધા લોકોએ સલામ પેશ કરવાની દરખ્વાસ્ત કરી હોય અને જો તમોને બધાના નામો યાદ ના હોય, તો તેમના તરફથી આ પ્રમાણે સલામ પેશ કરો :
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ جَمِیْعِ مَنْ اَوْصَانِی بِالسَّلامِ عَلَیْک |
”અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહિ મિન જમીઅ મન અવ્સાની બિસ્સલામિ અલય્ક”
પછી લગભગ એક હાથ જેટલું આગળ ચાલો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સૌથી વધુ જાન કુર્બાન કરનારા હઝરત અબૂબકર (રદિ.)ની ખિદમતમાં આ પ્રમાણે સલામ પેશ કરો :
اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا بَکْرِنِ الصِّدِّیْقِ اَلسَّلامُ عَلَیْکَ یَا خَلِیْفَۃَ رَسُوْلِ اللّٰہِ اَلسَّلامُ عَلَیْکَ یَا وَزِیْرَ رَسُوْلِ اللّٰہِ اَلسَّلامُ عَلَیْکَ یَا صَاحِبَ رَسُوْلِ اللّٰہِ فِی الْغَارِ وَ رَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ۔ |
ત્યાર પછી એક હાથ આગળ વધીને હઝરત ઉમર ફારૂક (રદિ.)ને સલામ પેશ કરો :
اَلسَّلامُ عَلَیْکَ یَا عُمَرَ بْنِ الْخَطَّابِؓ السَّلامُ عَلَیْکَ یَا اَمِیْرَ الْمُؤْمِنِیْنَ السَّلامُ عَلَیْکَ یَا عِزَّ الاسْلامِ وَ الْمُسْلِمِیْنَ اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا الفُقْرَاء وَ الضُّعَفَآءوَ الاَرَامِلِ وَ الاَیْتَامِ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔ |
યાદ રાખો કે દુરૂદો સલામ તથા દુઆ માટે કોઈ શબ્દો નકકી નથી. અને દુરૂદો સલામ લાંબા પણ છે અને ટૂંકા પણ, માટે જેનું જેમાં દિલ લાગે એ પ્રમાણે કરે.
નોટઃ
ઓરતો માટે સલાતો સલામ પઢવા માટે તેમજ રિયાઝુલ જન્નતમાં બે રકા’ત નમાઝ પઢવા માટે દરરોજ બે વખત અલગ ઈન્તિઝામ કરવામાં આવે છે. સવારના ૯ વાગ્યે અને ઝુહરની નમાઝ પછી અર્ધો કલાકે. માટે ઓરતો આ ટાઇમને યાદ રાખે.
મદીનહ મુનવ્વરહના રોકાણ દરમિયાન, દરેકે દરેક સેકન્ડને ગનીમત સમજશો, તમારો વધુ પડતો વખત મસ્જિદે નબવીમાં જવો જોઈએ. અલ્લાહ તઆલાની લાખો, કરોડો માઈલો ઝમીનમાં, આ જ તે ખૂશનસીબ ટુકડો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અલ્લાહના હુઝૂરમાં સૌથી વધુ સિજદહ કર્યા છે, નમાઝો પઢી છે, ખુતબહ આપ્યા છે, એઅ્તિકાફ કર્યા છે, જો કે હાલનું મસ્જિદે નબવીનું બાંધકામ નબુવ્વતના ઝમાનાનું જૂનુ બાંધકામ નથી પણ એમાં કોઈ શક નથી, કે ઝમીન તો તે જ છે, ફિઝા પણ તે જ છે, અનવારો બરકાત પણ તે જ છે, અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આજે પણ, ત્યાંના જ એક ભાગમાં આરામ ફરમાવી રહયા છે.
ઈમામ અહમદ (રહ.)એ હઝરત અનસ (રદિ.)થી રિવાયત બયાન કરી છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : જે માણસ મારી મસ્જિદમાં ચાળીસ નમાઝો એ રીતે અદા કરે, કે કોઈ નમાઝ ફૌત ના થાય, તો તેને દોઝખના અઝાબ અને નિફાકથી પાક કરી દેવામાં આવશે.
માટે તમો આઠ દિવસ મદીનહ મુનવ્વરહમાં રોકાઓ, અને ચાળીસ નમાઝો પૂરી કરો. અને મસ્જિદે નબવીની ખાસ ઈબાદત, દુરૂદ શરીફ પઢવું છે, એટલે પહેલે થી પોગ્રામ બનાવીને જાઓ, કે આ આઠ દિવસના સમયગાળામાં ૭૦૦૦ અથવા ઓછામાં ઓછા પ૦૦૦ વાર દુરૂદ શરીફ પણ પઢીશ. એક મુખ્તસર દુરૂદ આ પણ છે :
اَللّٰھُمَّ صلِّ عَلٰی مُحَمَّدنِ النبی الامی وَ عَلٰی اٰلِہٖ وَ سَلَّم تسلیماً |
”અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિ નિન્નબિય્યીલ ઉમ્મિય્યિ વ અલા આલિહી વ સલ્લિમ તસ્લિમા”
આ દુરૂદ શરીફ ઘણી જ આસાનીથી, આઠ દિવસમાં દસ હજાર, વખતે પઢી શકાય એમ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે, કે જે મારી કબર પાસે દુરૂદ શરીફ પઢે છે તેને હું ઓળખું છું.
ઈમામ ગઝાલી (રહ.) લખે છે કે મુસ્તહબ આ છે કે દરરોજ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સલામ પઢીને, જન્નતુલ બકીઅની ઝિયારત માટે જાય, જો દરરોજ બકીઅમાં ના જઈ શકાતું હોય તો, જુમ્અહના દિવસે ખાસ ઝિયારત કરે.
મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બરકતવંત સાત થાંભલાઓ: એમ તો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ખુણે ખુણો બાબરકત છે, પણ રિયાઝુલ જન્નતના સાત થાંભલાઓ, ખાસ વર્ણનના કાબિલ છે, જેમને સંગે મરમર અને સોનેરી ડીઝાઈનોથી મુમતાઝ પણ કરવામાં આવ્યા છે. આ થાંભલાઓને ”સુતૂનહાએ રહમત” કહેવામાં આવે છે.
(૧) ઉસ્તુવાને આઈશહ સિદ્દીકહ (રદિ.)(ર) ઉસ્તુવાને અબૂ લુબાબહ (રદિ.) (૩) ઉસ્તુવાને વુફૂદ (૪) ઉસ્તુવાનેે સરીર :(પ) ઉસ્તુવાને અલી ( અથવા ઉસ્તુવાને હારિસ)ઃ(૬) ઉસ્તુવાને તહજજુદ :(૭)ઉસ્તુવાને હન્નાનહ :
આ બધા સુતૂનો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તે જ ભાગ અને જગામાં છે, કે જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં હતી, ત્યાં જઈને દુઆ માંગો, ઈસ્તિગ્ફાર કરો અને જયારે પણ મૌકો મળે, ત્યાં સુન્નતો તથા નફલો અદા કરો. આ તે મુબારક જગા છે, જેને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક નઝર અને મુબારક કદમોના સ્પર્શનું સૌભાગ્ય પ્રાપ્ત છે.
અસ્હાબે સુફફહ :મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં, એક ચબુતરો છે. બાબે જિબ્રઈલથી જો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થાઓ તો જમણા હાથ ઉપર આવશે. જે સહાબએ કિરામ (રદિ.) અહીંયા રહેતા હતા, તેઓને ”અસ્હાબે સુફફહ” કહેવામાં આવે છે. આ લોકો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી દીનની તા’લીમ પ્રાપ્ત કરીને અન્ય જગાએ દીનને ફેલાવવા જતા હતા. આમ તો લગભગ સહાબએ કિરામ (રદિ.)ની ઝિંદગી તદ્દન સાદગીભરી હતી, પરંતુ અસ્હાબે સુફફહ (રદિ.)ની ઝિંદગી સૌથી વધુ સાદગીભરી, તંગીવાળી અને દુન્યાથી બેરગબતી વાળી હતી. દુન્યાનો આ પહેલો દારૂલ ઉલૂમ છે, કે જેના ઉસ્તાઝ ખૂદ અલ્લાહના હબીબ હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હતા અને તલબા, સહાબએ કિરામ (રદિ.) હતા. તમે પણ આ જગાએ નમાઝ, તિલાવત, દુરૂદ શરીફ પઢીને અહદ કરશો, કે અલ્લાહનો દીન પૂરી દુન્યામાં ફેલાઇ જાય એના માટે જરૂરથી કોશિશ કરીશ.
મદીનહ મુનવ્વરહની તે મુબારક જગ્યાઓ, જેની ઝિયારત કરવી જોઈએજન્નતુલ બકીઅ :
આ ”મદીનહ મુનવ્વરહ”નું કબ્રસ્તાન છે, અને ”જન્નતુલ બકીઅ”ના નામથી મશ્હૂર છે. મદીનહ મુનવ્વરહમાં મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને રવઝએ મુકદ્દસહ પછી સૌથી અહમ જગા અહિંયાનું આ જૂનુ કબ્રસ્તાન છે, જે હરમે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પ/૧૦ મિનિટના અંતરે છે.ફજરની તેમજ અસરની નમાઝ પછી જન્નતુલ બકીઅનો દરવાઝો ખોલવામાં આવે છે.
એક હદીસમાં છે, કે કિયામતના દિવસે આ કબ્રસ્તાનથી ૭૦૦૦૦ (સીત્તેર હઝાર) એવા માણસો ઉઠશે, જેમના ચહેરા ચૌદમી રાતના ચાંદ જેવા હશે અને તેઓને હિસાબ કિતાબ વગર જન્નતમાં દાખલ કરી આપવામાં આવશે. કિયામતના દિવસે સૌથી પહેલા ”જન્નતુલ બકીઅ” વાળાઓ ઉઠાવવામાં આવશે.
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) રાતના ટાઈમે આ કબ્રસ્તાન તશરીફ લઈ જતા હતા. એટલા માટે દરેક હાજીએ જયાં સુધી મદીનહ મુનવ્વરહમાં રહે, દરરોજ અથવા જુમ્અહના દિવસે ”જન્નતુલ બકીઅ” જવું જોઈએ અને તેઓના માટે, અલ્લાહ તઆલાથી મગફિરત,રહમત અને દરજાતની બુલંદી માટે દુઆઓ કરવી જોઈએ.
સય્યિદના જુન્નુરયન (હઝરત ઉસ્માન રદિ.) ઉપર સલામ : જન્ન્તુલ બકીઅમાં હઝરત ઉસ્માન (રદિ.) (કે જેઓ ત્રીજા ખલીફહ છે.)ની કબર ઉપર આ પ્રમાણે સલામ પેશ કરો :
اَلسَّلَامُ عَلَیْکَ یَا اِمَامَ الْمُسْلِمِیْنَ-اَلسَّلَامُ عَلَیْکَ یَا ثَالِثَ الْخُلَفآئِ الرَّاشِدِیْنَ-اَلسَّلاَمُ عَلَیْکَ یَا ذَا النُّوْرَیْنِ- اَلسَّلاَمُ عَلَیْکَ یَا مُجْھِزَ جَیْشِ الْعُسْرَۃِ بِالنَّقْدِ وَالْعَیْنِ- اَلسَّلَامُ عَلَیْکَ یَا صَاحِبَ الْھِجْرَتَیْنِ-اَلسَّلَامُ عَلَیْکَ یَا جَامِعَ الْقُرْآنِ بَیْنَ الدِّقَّتَیْنِ-اَلسَّلَامُ عَلَیْکَ یَا صَبُوْرًا عَلٰی اْلَاکْدَارِ- اَلسَّلاَمُ عَلَیْکَ یَا شَھِیْدَ الدَّارِ-اَلسَّلاَمُ عَلَیْکَ وَرَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ
”મદીના મુનવ્વરહ” માં ”મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સિવાય બીજી ઘણી મસ્જિદો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તથા સહાબએ કિરામ (રદિ.)એ નમાઝો પઢી છે. આ મસ્જિદોમાંથી ઘણી મસ્જિદો અત્યારે આબાદ છે. અને ઘણી વેરાન પણ થઈ ગઈ છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં બંધાયેલ કોઈ જ મસ્જિદ અત્યારે પોતાની અસલી હાલત ઉપર નથી. બધી નવેસરથી બનાવવામાં આવેલી છે, પણ જગા તો તે જ છે, એટલે બરકત અને રહમતથી સહેજ પણ ખાલી નથી, એટલે આ મસ્જિદોની ઝિયારત કરવી પણ મુસ્તહબ છે. મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પાસેથી ભાડાની ટેક્ષીઓ મળે છે જે દરેક જગાએ લઈ જાય છે અને ઝિયારત કરાવે છે.
મસ્જિદે કુબા, મસ્જિદે જુમ્અહ, મસ્જિદે કિબ્લતૈન, મસ્જિદે ગમામહ, મસ્જિદે ફત્હ, મસ્જિદે ઈજાબહ :
જબલે ઉહદ : ”મદીનહ મુનવ્વરહ”થી ઉત્તર દિશાએ, લગભગ ૪ માઈલ દૂર એક પહાડ છે, જેને ”જબલે ઉહદ”ના નામથી ઓળખવામાં આવે છે. આ પહાડ વિશે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે ”ઉહદ અમારાથી મુહબ્બત કરે છે અને અમો ઉહદથી મુહબ્બત કરીએ છીએ.” આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અહીંયા તશરીફ લાવતા હતા અને ઉહદવાળાઓને સલામ અને દુઆથી નવાઝતા હતા.
સન હિજરી ૩ માં ઉહદની મશ્હૂર લડાઈ આ જ પહાડની પાસે લડવામાં આવી હતી, જેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પણ ઝખ્મી થયા હતા.
આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકા, (બધા શહીદોના સરદાર) હઝરત હમઝહ (રદિ.) અને બીજા ૭૦ સહાબએ કિરામ (રદિ.) (જેમાં હઝરત મુસ્અબ ઈબ્ને ઉમૈર (રદિ.), હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને જહ્શ (રદિ.) પણ શામિલ છે.) વગેરેએ ઇસ્લામ ખાતર શહાદત વહોરી હતી. આ બધાની કબરો ત્યાં જ છે અને એક એક કબરમાં કેટલાય માણસોને દફન કરવામાં આવ્યા હતા.
એક વખત તો અહીંયા જરૂર જાઓ,અને ઉહદના શહીદોને સલામ પહોચાડો અને રાહત, મગફિરત, અને દરજાઓ બુલંદ થવાની દુઆ કરો.
હઝરત હમઝહ (રદિ.) અને બીજા શહીદોને નીચે પ્રમાણે સલામ પૈશ કરો :
اَلسَّلَامُ عَلَیْکَ یَا سَیِّدَنَا حَمْزَۃَ بْنِ عَبْدِ الْمُطَّلِبِ – اَلسَّلاَمُ عَلَیْکَ یَا عَمَّ رَسُوْلِ اللّٰہِ ﷺ-اَلسَّلَامُ عَلَیْکَ یَا عَمَّ حَبِیْبِ اللّٰہِ ﷺ- اَلسَّلَامُ عَلَیْکَ یَا عَمَّ الْمُصْطَفٰی ﷺ- اَلسَّلَامُ عَلَیْکَ یَا سَیِّدَ الشُّھَدَآئِ – اَلسَّلَامُ عَلَیْکَ یَا اَسَدَ اللّٰہِ وَاَسَدَ رَسُوْلِہٖ – اَلسَّلَامُ عَلَیْکُمْ یَا شُھَدَآئَ ، یَا سُعَدَآئَ – اَلسَّلَامُ عَلَیْکُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَی الدَّارِ -اَلسَّلَامُ عَلَیْکُمْ یَا شُھَدَآئَ اُحَدٍ کَآفَّۃً ، عَآمَّۃً وَّ رَحْمَۃُ اللّٰہِ وَ برَکَاتُہٗ
મદીનહ મુનવ્વરહની ખજૂર : હદીસ શરીફમાં મદીનહ મુનવ્વરહની ખજૂરની ઘણી ફઝીલત આવેલી છે. મદીનહ શરીફનું ખજૂર ”અજવા” ખાવાથી ઝહેર પણ અસર કરતું નથી. (મુસ્લિમ શરીફ ભાગ–ર પેઈજ ૧૮૧)
એટલે તમો જયારે મદીનહ મુનવ્વરહથી પાછા પોતાના વતન આવો ત્યારે ઝમઝમનું પાણી અને મદીનહ મુનવ્વરહનું ખજૂર જરૂરથી સાથે લાવો અને પોતાનાં સગાવહાલા, સંબંધીઓ અને દોસ્તોને ખવડાવો અને પીવડાવો આ બરકતનો સબબ છે અને આપણા બુઝુર્ગોથી સાબિત છે. (મુસ્તફાદ નકશે હયાત, જિલ્દ,૧ સફા–૮પ)
લોકોને તોહફો આપવા માટે મકકહ મુકર્રમહનું ઝમઝમ અને મદીનહ મુનવ્વરહના ખજૂરથી વધીને દુન્યાની કોઈ પણ વસ્તુ અફઝલ નથી.
નોટ :– મદીનહ શરીફમાં ખજૂરનું મોટું માર્કેટ છે, ત્યાંથી ખજૂર લેવું વધુ મુનાસિબ રહે છે.
પોતાના વતન પાછા આવવાના અદબો : જયારે સરદારે દોઆલમ, તાજદારે મદીનહ, આકાએ નામદાર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત, મસાજિદ તથા ઝિયારતના કાબિલ જગાઓની ઝિયારતથી ફારિગ થઈ, પોતાના વતન પાછા આવવાનો ઈરાદો હોય, તો રવાનગીના દિવસે ફજરની નમાઝ પછી ”જન્નતુલ બકીઅ”ની અલવિદાઈ હાજરીનો એહતિમામ કરવો જોઈએ અને બધા માટે દુઆઓ કરી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં જઈને રિયાઝુલ જન્નતમા અથવા એનાથી નઝદીક જયાં પણ જગા મળે, બે રકા’ત નમાઝ પઢો, ત્યાર પછી રવઝએ અતહર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર હાજરી આપીને સલામ પઢો, અને દીનો દુન્યાની જરૂરતોની અને હજ્જ તથા ઝિયારતના કબૂલ થવાની તેમજ પોતાના ઘરે સહીસલામત પહોંચી જવાની દુઆઓ માંગો
અને આ ટાઈમે જેટલો ગમ અને મલાલનો દેખાવ થઈ શકતો હોય એટલો જરૂરથી કરો અને હજ્જ, ઉમરહ, ઝિયારતના આ લાંબા સફરમાં જયાં જયાં રડયા છો, તે પછીનું જે કંઈ પાણી આપની આંખોમાં બાકી રહી ગયું હોય, તે બધું જ આ મૌકા ઉપર વહાવી આપો. આ ટાઈમે આંસુઓનું નીકળવું અને દિલના ઉપર ગમ તારી થવો કબૂલિયતની નિશાની છે. પછી રડતાં રડતાં, દરબારે રિસાલતની જુદાઈ ઉપર હસરત અને અફસોસ કરતાં કરતાં, પોતાની પાસે જે ગુંજાઈશ હોય એટલું મદીનહ મુનવ્વરહના ફકીરો ઉપર સદકહ કરી આપો, અને સફરની દુઆઓ પઢતાં પઢતાં, પોતાનો સફર શરૂ કરી આપો.
આપને આ પણ યાદ અપાવું, કે તમારે જિદ્દહ થોડુંક રોકાવવાનું થશે, માટે ત્યાંની જરૂરત માટે પોતાના પાસે થોડાક રિયાલ જરૂરથી રાખશો. જેથી જરૂરત પડયે કામ આવી શકે.
અલ્લાહ તઆલા આપની હાજરીને કબૂલ ફરમાવે અને ભલાઈ તથા બરકતોથી નવાઝે , ઝિન્દગીનો રૂખ સહીહ થવાનો ઝરિયો બનાવે, દેરક મુસલમાનને તેના મુકદ્દસ ઘરની અને રવઝએ અકદસની ઝિયારતથી માલામાલ ફરમાવે,આમીન.
Log in or Register to save this content for later.