[ર૦૩ ] ઈબાદતખાનામાં જુમ્અહ પઢવી

Chapter : નમાઝ

(Page : 269-270-271)

સવાલ :– ભરૂચ શહેરના બજારમાં માર્કેટોની વચમાં ભરચક એરિયામાં વેપારીઓ, નોકરિયાત અને ગ્રાહકો વિગેરેને જમાઅત સાથે ફર્ઝ નમાઝો પઢવામાં પડતી તકલીફ નિવારવા અમે એક ઈબાદતગાહ શરૂ કરી છે, જેમાં દિન પ્રતિદિન નમાઝીઓની સંખ્યા વધતી જાય છે અને જેના કારણે ઈબાદતગાહ અને વુઝૂ વિગેરેની વ્યવસ્થામાં વધારો કરવો પડયો છે.

               આ ઈબાદતગાહથી દૂર આવેલી મસ્જિદોમાં જુમ્અહના દિવસે ઘણી ભીડ થાય છે અને ઘણા ભાઈઓને શરઈ મસ્જિદથી બહાર ઉભા રહીને જુમ્અહની નમાઝ પઢવી પડે છે અને ઈબાદતગાહના એરિયાના વેપારીઓ, નોકરિયાત અને ગ્રાહકો વિગેરેને જુમ્અહની નમાઝ પઢવામાં તકલીફ પડે છે અને જુમ્અહ છૂટી જવાનો ભય રહે છે.

               હવે સવાલ એ છે કે મજકૂર ઈબાદતગાહ જેમાં ઈમામ સાહબ નકકી છે, અને મસ્જિદ જેવી બધી વ્યવસ્થા છે અને ત્યાં ઘણા ભાઈઓ જુમ્અહની નમાઝ શરૂ કરવા કહે છે, તો શું આ ઈબાદતગાહમાં જુમ્અહ પઢવી જાઈઝ છે અથવા જુમ્અહ સહીહ થવા માટે શરઈ મસ્જિદ હોવી શરત છે અને મસ્જિદોની ભીડના કારણે મજકૂર ઈબાદતગાહમાં જુમ્અહની નમાઝ શરૂ કરવી જાઈઝ છે કે નહિ?

જવાબ : – જુમ્અહની નમાઝ સહીહ અને જાઈઝ થવા માટે જે જગ્યાએ જુમ્અહ પઢવામાં આવે તે જગ્યાનું શહેરમાં અથવા શહેરના ફીના (પટાંગણ)માં કે મોટા ગામમાં હોવું જરૂરી છે, ચાહે તે જગ્યા શરઈ મસ્જિદ હોય કે કોઈ ઈબાદતગાહ હોય કે કોઈ હોલ હોય જયાં નમાઝીઓને આવવાની છૂટ હોય, જુમ્અહના સહીહ અને જાઈઝ થવા માટે તે જગ્યાનું શરઈ મસ્જિદ હોવું શરત અને જરૂરી નથી.

               માટે સવાલમાં લખવા મુજબ શહેરમાં આવેલ મજકૂર ઈબાદતગાહમાં જુમ્અહની નમાઝ જાઈઝ અને સહીહ છે. અને સવાલમાં દર્શાવેલ વિગત મુજબ મસ્જિદોની ભીડ અને ઘણા ભાઈઓની જુમ્અહ છૂટી જવાના ભયના કારણે મજકૂર ઈબાદતગાહમાં જુમ્અહની નમાઝ શરૂ કરવી જાઈઝ છે, અલબત્ત મસ્જિદે શરઈથી બહાર જુમ્અહ પઢવા કરતા મસ્જિદે શરઈમાં જુમ્અહ પઢવાનો સવાબ વધારે છે અને તે અફઝલ છે. (શામી –૧, કબીરી)

Log in or Register to save this content for later.