ઝકાતની રકમથી પગાર આપવો – સ્કૂલના શિક્ષણ માટે

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 116)

ઝકાતની રકમથી પગાર આપવો

ઝકાતની રકમ પગાર તરીકે મુદર્રિસ યા ઇમામને આપવી જાઇઝ નથી. હા, જો તે ગરીબ હોય અને મદદ તરીકે આપવામાં આવે તો વાંધો નથી. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૭૮)

સ્કૂલના શિક્ષણ માટે

ઘણા બધા ગામડાં અને શહેરોમાં મુસ્લિમ એજ્યુકેશનના નામે સંસ્થાઓ ચાલતી હોય છે, જેમાં વિવિધ ધોરણમાં ભણતા ગરીબ–માલદાર મુસ્લિમ અને ગેરમુસ્લિમ બાળકોને ટયૂશન આપવામાં આવે છે અને આ ટયૂશન પેટે બાળકો પાસેથી કોઇ જ ફી લેવાતી નથી અને ટયૂશન આપતા શિક્ષકોને પગાર આપીને રોકવામાં આવે છે, તો આ બાબતે શરઈ હુકમ જાણી લેવો જોઇએ કે ઝકાતના હકદાર મુસ્લિમ બાળકો જે નાબાલિગ હોય તો તેમના વાલીઓની સંમતિથી અને મુસ્લિમ ગરીબ બાલિગ બાળકોની સંમતિથી ટયૂશનનો પગાર ઝકાત ફંડમાંથી આપી શકાય છે. બેહતર શકલ આ છે કે, ગરીબ, માલદાર, મુસ્લિમ, ગેરમુસ્લિમ દરેક બાળક માટે ટયૂશનની ફીસ નકકી કરવામાં આવે અને ગરીબ મુસ્લિમ નાબાલિગના વાલી તથા  ગરીબ મુસ્લિમ બાલિગ બાળકોને ફીસ ભરવા ઝકાતની રકમ આપવામાં આવે, કારણ કે ઝકાતની અદાયગીમાં કોઇ શંકા ન રહે.

માલદાર બાળકો અને ગેર મુસ્લિમ બાળકોને ટયૂશન ફીસ માટે ઝકાતની રકમ આપવી અથવા તેમના વાલીઓ કે બાલિગ બાળકોની સંમતિથી ટયૂશન શિક્ષકનો પગાર ઝકાતની રકમથી આપવો અથવા તેમને ઝકાત ફંડમાંથી વાર્ષિક ઇનામો કે નોટબૂકો આપવી બિલકુલ જાઇઝ નથી. જો તેમને ઝકાતની રકમથી ઉપરોકત વસ્તુઓ આપવામાં આવશે, તો ઝકાત આપનાર માલદારોની ઝકાત અદા નહિ થાય અને વ્યવસ્થાપકો ગુનેહગાર પણ થશે.

ઉપર મુજબ ગરીબ મુસ્લિમ બાળકો માટે જરૂરત પ્રમાણે મુસ્લિમ એજ્યુકેશનના નામે ચાલતી સંસ્થાઓ ઝકાતની રકમ લઇ શકે છે અને મુસ્લિમ માલદાર તથા ગેર મુસ્લિમ બાળકો માટે સંસ્થાએ ઝકાત લેવી અને વાપરવી જાઇઝ નથી. પછી શા માટે આપણી (કે દુન્યવી એજ્યુકેશન જે એક જરૂરત છે તેમાં વળી બીજાઓના ખાતર) પોતાની દુનિયા–આખિરતને બરબાદ કરીએ. સમજદાર દીનદાર વ્યક્તિઓ આ બાબતે  દૂર, ઘણે દૂર રહે છે.    (મુસ્તફાદ ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૪૪–ર૪૬)

Log in or Register to save this content for later.