[૩૯] મઅઝૂર માટે તહારતવાળી ઈબાદતો અદા કરવાનો તરીકો

Chapter : તહારત

(Page : 74)

સવાલ :–  મારું વુઝૂ ચાર રકાત નમાઝમાં બે–ત્રણ વાર તૂટી જાય છે, (હવા નીકળી જાય છે) તો મારે તહજજુદ, ફજર અને ઈશરાકની નમાઝ પઢવા માટે શું કરવું અને રમઝાન મુબારકમાં તરાવીહ, એઅતિકાફ અને કુર્આન  શરીફની તિલાવત માટે શું કરવું અને ફજરની નમાઝ પછી ઈશરાકની નમાઝ ઘર ઉપર પઢવી કેવી છે ? મારી ૭૦ વર્ષની ઉંમર છે માટે ઘડી ઘડી વુઝૂ કરવામાં તકલીફ થાય છે.

જવાબ :–  જો હવા નીકળવાની બીમારી શરૂ થયા પછી તમારા ઉપર કોઈ પણ એક ફર્ઝ નમાઝનો પૂરો વખત હવા નીકળવાની હાલતમાં એ પ્રમાણે પસાર થયો હોય કે તે ફર્ઝ નમાઝના પૂરા વખતમાંથી એટલો થોડો સમય પણ હવા નીકળવાથી ખાલી ન રહ્યો હોય કે જેમાં વુઝૂ અને ફર્ઝ નમાઝના ફકત ફર્ઝો અદા કરીને પણ વુઝૂ અને ફર્ઝ નમાઝ અદા કરી શકો તો તમો ફિકહની દ્રષ્ટિએ મઅઝૂર ગણાશો અને તે પછી જયાં સુધી કોઈ પણ એક ફર્ઝ નમાઝનો વખત તમારા ઉપર એ પ્રમાણે પસાર ન થાય કે તેમાં કોઈ એકવાર પણ હવા ખારિજ ન થાય ત્યાં સુધી તમો મઅઝૂર બાકી રહેશો અને વુઝૂ બાબતે તમારી ઉપર મઅઝૂરનો હુકમ લાગુ પડશે.       (‘શામી ૧/ર૦ર)

                મઅઝૂર માટે વુઝૂનો હુકમ આ પ્રમાણે છે કે તે ફજરનો વખત શરૂ થયા પછી (એટલે કે સુબ્હે સાદિક થયા પછી) ફજરની ફર્ઝ નમાઝ માટે તેણે વુઝૂ કરવું પડશે અને આ વુઝૂથી ફજરની સુન્નત, ફર્ઝ નમાઝ, કઝા નમાઝો અને કુર્આન શરીફ હાથમાં પકડીને પઢી શકાશે. આ વુઝૂ ફજરની નમાઝનો વખત પૂરો થતાં સુધી એટલે કે તુલૂએ આફતાબ સુધી બાકી ગણાશે, ચાહે આ વુઝૂ કર્યા પછી એકવાર કે અનેકવાર નમાઝ પઢતાં પઢતાં કે નમાઝથી બહાર હવા નીકળશે તો પણ તુલૂએ આફતાબ સુધી હવા નીકળવાના કારણે ફરીવાર વુઝૂ નહિ કરવું પડે, અલબત્ત જો હવાની બીમારીવાળા મઅઝૂરને હવા સિવાય અન્ય કોઈ વુઝૂ તોડનારી વસ્તુ ઉપસ્થિત થશે તો તેનું વુઝૂ તૂટેલું ગણાશે અને તે મઅઝૂરે તુલૂએ આફતાબ પહેલાં પણ ફરીવાર વુઝૂ કરવું પડશે અને ફરીવાર કરેલું વુઝૂ જો હવા સિવાય અન્ય કોઈ વુઝૂ તોડનારી વસ્તુ ઉપસ્થિત ન થાય તો તુલૂએ આફતાબ સુધી બાકી ગણાશે ચાહે તે પછી હવા નીકળતી રહે.

                તુલૂએ આફતાબ પછી ઈશરાક, ચાશ્ત, ઈદ, કઝા નમાઝ, જનાઝહની નમાઝ અને કુર્આન શરીફ પકડવા માટે ફરી વુઝૂ કરવું પડશે અને આ વુઝૂ પણ ઉપરોકત વિગત મુજબ હવા નીકળવા છતાં ઝોહરની નમાઝનો વખત પૂરો થતાં સુધી બાકી ગણાશે સિવાય એ કે ઉકત વિગત પ્રમાણે હવા સિવાય અન્ય કોઈ વુઝૂ તોડનારી વસ્તુ (જેમ કે પેશાબ, પાખાનું, સૂવું) ઉપસ્થિત થાય.

                ઝોહરનો વખત પૂરો થયા પછી (એટલે કે દરેક વસ્તુનો પડછાયો ઝવાલ વખતના તેના પડછાયા ઉપરાંત તે વસ્તુથી ડબલ થયા પછી) દરેક તે ઈબાદત માટે કે જેના માટે વુઝૂ શર્ત છે ફરીવાર વુઝૂ કરવું પડશે, જે ઉપરની વિગત મુજબ હવા નીકળવા છતાં અસરનો વખત પૂરો થતાં સુધી એટલે કે ગુરૂબે આફતાબ સુધી બાકી ગણાશે.

                મગરિબની નમાઝનો વખત શરૂ થયા પછી એટલે કે ગુરૂબે આફતાબ પછી વુઝૂની શર્તવાળી દરેક ઈબાદત માટે માત્ર એકવાર નવું વુઝૂ કરવું પડશે, આ વુઝૂ મગરિબનો વખત પૂરો થતાં સુધી એટલે કે શફકે અબયઝ ગુરૂબ થતાં સુધી ઉકત વિગત મુજબ હવા નીકળવા છતાં બાકી ગણાશે.

                શફકે અબયઝ (સફેદ રોશની) ગાયબ થયા પછી એટલે કે ઈશાની નમાઝનો વખત શરૂ થયા પછી વુઝૂની શર્તવાળી એક અથવા અનેક ઈબાદત માટે માત્ર એકવાર નવું વુઝૂ કરવું પડશે જે ઉપરની વિગત મુજબ હવા નીકળવા છતાં ઈશાનો વખત પૂરો થતાં સુધી એટલે કે સુબ્હે સાદિક થતાં સુધી બાકી ગણાશે અને તેનાથી ઈશાની સુન્નતો, ફર્ઝ, કઝા, તહજજુદ, તિલાવત વગેરે અદા કરી શકાશે.

                અલબત્ત, જો જવાબની શરૂઆતમાં દર્શાવેલી વિગત મુજબ વુઝૂ કર્યા પછી પેશાબ–પાખાનું કરશે અથવા સૂઈ જશે તો નવું વુઝૂ કરવું જરૂરી ઠરશે અને તે નવું વુઝૂ હવા નીકળવા છતાં ઈશાનો વખત પૂરો થતાં સુધી બાકી ગણાશે. (‘શામી ૧/ર૦૩)

                ઈશરાકની નમાઝ ઘર ઉપર પઢવામાં કોઈ કરાહત નથી; બલ્કે અન્ય સુન્નત અને નફલ નમાઝોની જેમ ઈશરાકની નમાઝ પણ સામાન્ય સંજોગોમાં મસ્જિદ કરતાં ઘરમાં પઢવી જ અફઝલ અને મુસ્તહબ છે.

હુઝૂર રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,‘‘જે (નફલ–સુન્નત–વાજિબ) નમાઝો તમારા ઘરોમાં પઢવામાં આવે તે અફઝલ (વધુ સવાબવાળી) છે સિવાય ફર્ઝ નમાઝોના (કે તે મસ્જિદમાં પઢવી અફઝલ છે.) (‘તિરમિઝી શરીફ ૧/૧૦ર)

                ફુકહાએ કિરામે બીજી હદીસોના આધારે સુન્નત અને નફલ નમાઝોમાંથી કુલ નવ નમાઝો મસ્જિદમાં પઢવાને અફઝલ બતાવ્યું છે, પરંતુ તે નવ નમાઝોમાં ઈશરાકની નમાઝ શામિલ નથી.

                સુન્નત અને નફલ નમાઝોમાંથી જે નવ નમાઝોની અદાયગી ઘર કરતાં મસ્જિદમાં અલઝલ છે,

તે નમાઝો આ પ્રમાણે છે :

                (૧) તરાવીહ વિત્ર સાથે

                (ર) તહિય્યતુલ મસ્જિદ

                (૩) સૂર્યગ્રહણની નમાઝ

                (૪) એહરામ પહેલાંની બે રકાત નમાઝ

                (પ) તવાફ પછીની બે રકાત નમાઝ

                (૬) મુઅ્‌તકિફની દરેક સુન્નત અને નફલ નમાઝ

                (૭) સફરથી પાછા ફરીને પઢવાની નમાઝ

                (૮) મસ્જિદથી નીકળીને ઘરમાં જઈ પઢવા જતાં જે સુન્નત અને નફલ નમાઝ છૂટી જવાનો ભય હોય અથવા ઘરમાં નમાઝના ખુશૂઅ અને ધ્યાનમાં કમીનો ભય હોય

                (૯) જુમ્‍અહની સુન્નતો. (‘શામી ૧/૪પ૮, ‘મઆરિફુસ્‌ સુનન ૪/૧૧૦)

                અલબત્ત જો કોઈ માણસ ફજરની નમાઝ પછી તુલૂએ આફતાબ સુધી મસ્જિદમાં પોતાની જગ્યાએ બેસી ઝિક્ન તિલાવત કરવાની અને મકરૂહ વખત પૂરો થયા પછી ઈશરાકની નમાઝ પઢીને મસ્જિદથી નીકળવાની હદીસમાં આવેલી ફઝીલત અને સવાબ હાસિલ કરવાની નિય્યતથી ઈશરાકની નમાઝ મસ્જિદમાં પઢવા ચાહે તો આ મખસૂસ સૂરતમાં તેના માટે ઈશરાકની નમાઝ મસ્જિદમાં પઢવી અફઝલ છે.

હઝરત અનસ (રદિ.) નકલ કરે છે કે,

હુઝૂર રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,‘‘જે માણસ ફજરની નમાઝ જમાઅત સાથે પઢે અને પછી બેસીને તુલૂએ આફતાબ સુધી ઝિક્નુલ્લાહ કરતો રહે તે પછી બે રકાત નમાઝ  પઢે તો તેને પૂરા હજ અને પૂરા ઉમરહના સવાબની જેમ સવાબ મળશે.(‘તિરમિઝી ૧/૧૩૦)

                પરંતુ હવાની બીમારીવાળા મઅઝૂર માણસે મસ્જિદના અદબ ખાતર મસ્જિદમાં ન બેસતાં ઘર ઉપર જઈ ઈશરાકની નમાઝ પઢવી બેહતર છે કારણકે મસ્જિદમાં હવા છોડવી એ મકરૂહ કાર્ય છે, એટલે જ મુઅતકિફ માણસને હવા છોડવા માટે મસ્જિદથી બહાર નીકળવાની ઈજાઝત છે.  (‘ઈમ્દાદુલ્‌ ફતાવા ભાગ ર, ‘નફઉલ્‌ મુફતી પ૪)

Log in or Register to save this content for later.