ઝકાત ન આપવા પર વઈદ કુર્આને કરીમની રોશનીમાં

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 30-31)

સૂરએ તવબહની એક આયતે કરીમહમાં અલ્લાહ તઆલાએ મુસલમાનોને ચેતવણી આપી કે, ઉમ્મતોની બરબાદીનો મહાન સબબ ત્રણ ગ્રુપોનું બગડીને પોતાના ફર્ઝોને છોડી દેવું છે. તે પૈકી એક ગ્રુપ માલદારોનું છે.

અલ્લાહ તઆલાનો ઇરશાદ જરાક દિલની દુનિયાથી વાંચો અને જો અમલ હોય તો કહો : અલ્હમ્દુ લિલ્લાહ અને જો અમલ ન હોય તો અમલની દુનિયામાં કદમ મૂકો, તે દિવસના આવતાં પહેલાં કે જે દિવસે ક્યાંક ધનસંગ્રહ આપણા માટે આખિરતમાં અઝાબ અને વબાલનું નિમિત્ત ન બને.

ઇરશાદે ખુદાવંદી છે :…..”અને જે લોકો (કંજૂસીથી) સોના–ચાંદીનો ખજાનો એકઠો કરે છે, પણ તેને અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરતા નથી તો (હે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ !) આપ તેઓને (તે દિવસના) દુઃખદાયક અઝાબની ખુશખબર સંભળાવી દો, જે દિવસે તે માલ પર જહન્નમની આગ તપાવવામાં આવશે. ફરી તે વડે તેઓની પેશાનીઓ તથા પડખાં અને પીઠોને ડામવામાં આવશે,   (અને કહેવામાં આવશે કે) આ તે જ (ધન) છે, જેને તમે તમારા માટે સંગ્રહ કર્યુ હતું, માટે હવે પોતાના સંગ્રહ  કરવાનો સ્વાદ ચાખો.”         (સૂરએ તવબહ–આયત : ૩૩,૩૪)

ભાષ્ય : અલ્લાહ તઆલાની રાહમાં ખર્ચ કરવાનો ભાવાર્થ એ છે કે ઝકાત અદા કરે અને હકદારોના હક આપે. દોલત તો તે જ સારી છે, જે આખિરતમાં વબાલનું કારણ ન બને.

પરંતુ કંજૂસ ધનવાનને જ્યારે અલ્લાહ તઆલાના રસ્તામાં ખર્ચ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તેની પેશાની પર કરચલી પડી જાયછે. વધારે કહેવામાં આવે તો વિમુખ થઈ ફરી જાયછે. તેમ છતાં પણ છૂટકો ન થાય તો પીઠ ફેરવીને ચાલતી પકડે છે. તેથી સોનું–ચાંદી તપાવીને આ ત્રણેય જગ્યાએ એટલે કે પેશાની, પડખાં અને પીઠ પર ડામ દેવામાં આવશે કે જેથી તેને સંગ્રહ કરવા અને દાટી મૂકવાની મજા ચાખે. (ગુજરાતી તરજુમો અને તફસીર : ૧/પ૩પ)

Log in or Register to save this content for later.