Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 68)
મુઅતકિફને દિવસ યા રાતમાં સ્વપ્નદો થઇ જાયતો એતિકાફમાં કોઇ ફરક પડતો નથી. મુઅતકિફ આંખ ખુલતાં જ પ્રથમ તયમ્મુમ કરે, તેના માટે અગાઉ કાચી યા પાકી ઈંટ મૂકી રાખવી જોઇએ, નહિ તો મજબૂરીના સમયે મસ્જિદની દીવાલ યા સહન પર તયમ્મુમ કર્યા પછી ગુસલનો બંદોબસ્ત કરે. (બદાઇઅ : ર/ર૮૭)
ગુસલની વ્યવસ્થા તે પણ કરી શકે છે અને બીજો કોઇ કરી આપે તો પણ જાઇઝ છે. દા. ત. પાણી ભરવું, પાણી નાખવા માટે લોટો યા કોઇ વાસણ લાવવું અને જો બીજો કોઇ વ્યવસ્થા કરી રહયો હોય તો એટલી વાર મુઅતકિફ તયમ્મુમ સાથે મસ્જિદમાં રહે, પછી ગુસલ કરીને કપડાં પહેર્યા પછી મસ્જિદમાં આવી જાય.
મસ્અલહ : શરદીની મોસમમાં સ્વપ્નદો થઇ જાય અને ઠંડા પાણીથી નુકસાનનો ખતરો હોય તો મુઅતકિફ તયમ્મુમ કરી મસ્જિદમાં રહે અને પોતાના ઘરે ગરમ પાણીની ખબર કરે. જો આડોશ–પાડોશમાં કોઇ ગરમ હમામ (સ્નાનગૃહ) હોય તો ત્યાં પણ જઇ શકે છે. બની શકે તો હમામવાળાને પોતાના આવવાની ખબર કરી દે અને ગુસલ કર્યા બાદ તરત ચાલ્યો આવે. (શામી : ૧/૩૬૪)
મસ્અલહ : ગરમીના કારણે ઠંડક પ્રાપ્ત કરવા માટે ગુસલ કરવા માટે મસ્જિદની બહાર જવું જાઇઝ નથી. (ઇમ્દાદુલ ફતાવા : ર/૧પ૩)
મસ્અલહ : જુમ્અહના ગુસલ માટે મુઅતકિફે મસ્જિદની બહાર જવું જાઇઝ નથી. અલબત્ત, જુમ્અહ પહેલાં શરઇ અને કુદરતી જરૂરત દા.ત. જુમ્અહની નમાઝ પઢવા યા પેશાબ–પાખાના માટે બહાર ગયો હોય તો વાપસીમાં જુમ્અહનું ગુસલ કરી શકે છે. જલદી ગુસલથી ફારિગ થઇ મસ્જિદમાં આવી જાય, કેમ કે જુમ્અહનું ગુસલ મસ્નૂન અને ઇબાદત છે અને આવી સૂરતમાં દરેક ઇબાદત અદા કરી શકાય છે.
મસ્અલહ : મુઅતકિફે દરેક નમાઝ માટે ચાહે તે ફર્ઝ હોય, વાજિબ હોય, સુન્નત હોય, નફલ હોય યા કુર્આને મજીદની તિલાવત કરવી હોય, સજદ–એ– તિલાવત કરવો હોય યા કઝા નમાઝ પઢવી હોય–આ બધા કામ માટે જે સમયે ઇચ્છે વુઝૂ કરવા માટે બહાર જવું જાઇઝ છે, કેમ કે આ બધા કામ માટે વુઝૂ શર્ત છે. અલબત્ત, જે સમયે વુઝૂ કરવું શર્ત ન હોય, બલકે મુસ્તહબ હોય દા.ત. વુઝૂ પર વુઝૂ કરવું યા ઝિેક્રે ઇલાહી માટે વુઝૂ કરવું, તો વુઝૂ કરવા બહાર ન જાય. બહારથી મુરાદ તે જગા છે જ્યાં મસ્જિદમાં વુઝૂ કર્યા કરે છે. (શામી : ૩/૩૮૭)
મસ્અલહ : મુઅતકિફના કપડાં યા બદન નાપાક થઇ જાયતો તે પણ મસ્જિદની બહાર જઇ ધોઇ શકે છે, કેમ કે નાપાકી અને નાપાક વસ્તુથી મસ્જિદને બચાવવી વાજિબ છે. (શામી : ૩/૩૮૭)
મસ્અલહ : મસ્જિદમાં વુઝૂનું પાણી પૂરું થઇ ગયું હોય તો જયાંથી જલદી લાવી શકતો હોય ત્યાં જઇ પાણી લાવી શકે છે અને જો ઘરે જવું પડે તો ત્યાં પણ જઇ શકે છે, ચાહે તે વુઝૂ કરીને આવે યા મસ્જિદમાં પાણી લાવી વુઝૂ કરે. દરમિયાનમાં વગર જરૂરતે રોકાય નહિ. (મિઉર્રુમુઝ : ૩૭૮)
Log in or Register to save this content for later.