એ’તિકાફના આદાબ

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 30)

એતિકાફના આદાબ અને મુસ્તહબ્બાતની પૂરેપૂરી પાબંદી કરે, કેમ કે એતિકાફની હકીકી બરકતો        નસીબ થાય.

(૧) એતિકાફમાં સારી અને નેકીની વાતો કરવી. (નૂરુલ ઇઝાહ : ૧પર, આલમગીરી : ૧/ર૧ર)

(૨) રમઝાનુલ મુબારકના અંતિમ દસ દિવસના પૂરા એતિકાફની કોશિશ કરવી. (આલમગીરી : ૧/ર૧ર)

(૩) યથાસંભવ (બની શકે તો) જામિઅ મસ્જિદમાં એતિકાફ કરવો. (આલમગીરી : ૧/ર૧ર)

(૪) પોતાની તાકાત મુજબ પોતાના સમયને વધુમાં વધુ ઇબાદતે ઇલાહીમાં ખર્ચ કરવો. દા. ત. નવાફિલ  પઢવી, કુર્આને મજીદની તિલાવત કરવી, ઇલ્મે દીનની સહીહ અને આધારભૂત કિતાબોનું અધ્યયન કરવું, મુહસિને ઇન્સાનિયત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું જીવનચરિત્ર, હઝરાતે અમ્બિયાઅ (અલયહિ– મુસ્સલામ)ના સહીહ કિસ્સાઓ, સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ), અઇમ્મએ ઇઝામ, અવલિયાએ કિરામ (રહિમહુમુલ્લાહ)ના હાલાત–હિકાયાત અને તેમનાં બોધવચનો–ઉપદેશોનો અભ્યાસ કરવો, મસાઇલે શરઇય્યહની કિતાબો પઢવી, પરંતુ જે વાત સમજમાં ન આવે તો તે તેની કોઇ સમજૂતી યા મતલબ ન કાઢવો, બલકે કોઇ ભરોસાપાત્ર આલિમથી તેનો મતલબ સમજવો. (હાશિય–એ નૂરુલ ઇઝાહ : ૧પર, આલમગીરી : ૧/ર૧ર)

(૫) મસ્નૂન અઝકાર પઢવા, જેટલી તસ્બીહ આસાનીથી પઢી શકાય તે બધી પઢવી. તસ્બીહાત આ          છે : સુબ્હાનલ્લાહ, અલ્હમ્દુ લિલ્લાહ, અલ્લાહુ અકબર, લા ઇલા–હ ઇલ્લલ્લાહ, લા હવ્લ વલા કુવ્વ–ત ઇલ્લા બિલ્લાહ અને જે ઇસ્તિગફાર યાદ હોય તે પઢે. દા. ત. અસ્તગફિરુલ્લાહ અથવા અસ્તગફિરુલ્લાહ મિન કુલ્લિ ઝમ્બિંવ વ અતુબુ ઇલયહિ, યા રબ્બિ ઇગફિર લી અને સય્યિદુલ ઇસ્તિગફારની પણ ઘણી ફઝીલત આવી છે અને ઝિક્ર ધ્યાનથી કરવો.

(૬) દુરૂદ શરીફ પુષ્કળ પઢે. સૌથી બેહતર દુરૂદ શરીફ તે છે જે નમાઝમાં પઢાય છે. (અર્થાત દુરૂદે ઇબ્રાહીમ).

(૭) સલાતુસ્બીહ પઢવાથી દસ પ્રકારના ગુનાહ માફ થાય છે, એટલા માટે દરરોજ પઢે તો સારું છે.

(૮) ઇશરાક, ચાશ્ત, સુનને ઝવાલ, અવ્વાબીન અને તહજુદની નમાઝનો સંપૂર્ણ પ્રબંધ કરવો. તહિય્યતુલ મસ્જિદ અને તહિય્યતુલ વુઝૂને પણ ન છોડે.

(૯) ફજરથી ઇશરાક સુધી અને અસરની નમાઝથી ફારિગ થઇ સૂર્યાસ્ત (મગરિબ) સુધી ઝિુલ્લાહ, તિલાવત વગેરેમાં મશગૂલ રહેવું.

(૧૦) શબે કદ્રની પાંચ રાતોમાં જાગી ઇબાદતની  કોશિશ કરવી.

(૧૧) મુનાઝાતે મકબૂલની એક મંઝિલ દરરોજ પઢવી. તેમાં કુર્આનો–હદીસની ઘણી સરસ દુઆઓ      જમા થઇ છે.

એતિકાફમાં પડદો ન નાખવો અને ન નાખવો બન્ને રીત રહમતે આલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત છે. જો પડદો નાખવાથી રિયાકારી (દેખાડો), ઘમંડ પેદા થવાનો ખતરો હોય તો ન નાખે અને આ વાતોનો ખતરો ન હોય તો એકાંતમાં પડદો નાખવો બેહતર છે. અલબત્ત, ફર્ઝ નમાઝની જમાઅત થવા લાગે અને પડદો પડી રહેવાથી જમાઅતમાં જગા ખાલી રહેવાનો અથવા હવાની અવરજવર બંધ થવાનો ભય હોય તો પડદો હટાવી લેવો જોઇએ, બલકે બિસ્તર અને સામાન પણ ઉઠાવી લેવો જોઇએ. અલબત્ત, જો મસ્જિદ મોટી હોય તો પડદો અને સામાન ન ઉઠાવવામાં કોઇ વાંધો નથી. જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી બીજા મુઅતકિફ અને નમાઝીઓને પોતાના તરફથી કોઇ પણ જાતની તકલીફ ન પહોંચે એની કાળજી રાખવી. (આલમગીરી : ૧/ર૧ર)

Log in or Register to save this content for later.