[૩૭] મઅ્‌ઝૂર માટે વુઝૂનો હુકમ

Chapter : તહારત

(Page : 71)

સવાલ :– મારૂ વુઝૂ ચાર રકઅતમાં બે કે ત્રણવાર તૂટી જાય છે (હવા નીકળી જાય છે) માટે તહજ્જુદ, ફજર અને ઈશ્‍રાકનું શું કરવું? અને રમઝાનમાં તરાવીહ અને એઅ્‌તિકાફ માટે તેમજ કુર્આન શરીફની તિલાવત માટે શું કરવું? અને ફજરની નમાઝ પછી ઈશ્‍રાકની નમાઝ ઘર ઉપર પઢવી કેવી છે ? ૭૦ વર્ષની ઉમર છે, માટે ઘડી ઘડી વુઝૂ કરવાથી કંટાળો આવે છે માટે ખુલાસાવાર જવાબ આપશો.

જવાબ :– જો તમારા ઉપર કોઈ એક ફર્ઝ નમાઝનો પૂરો વખત હવા નીકળવાની હાલતમાં એ પ્રમાણે પસાર થયો હોય કે નમાઝના પૂરા વખતમાંથી એટલો સમય પણ હવા નીકળવાથી ખાલી ન રહયો હોય કે જેમાં વુઝૂ કરીને ફક્ત ફર્ઝ નમાઝ પઢી શકાય તો તમો શરીઅતની રૂએ મઅ્‌ઝૂર બની ગયા છો, માટે તમારે ફજરનો વખત શરૂ થયા પછી એક વખત વુઝૂ કરવું પડશે, તે વુઝૂથી તમો ફજરની સુન્નત–ફર્ઝ અને તિલાવત અદા કરી શકશો, ચાહે તે વુઝૂ કર્યા પછી હવા એકવાર કે અનેકવાર નમાઝ પઢતાં પઢતાં કે નમાઝથી બહાર નીકળી હોય તો પણ ફરી વુઝૂ નહીં કરવું પડે, સિવાય કે એ હવા સિવાય બીજી કોઈ વુઝૂ તોડનારી વસ્તુ ઉપસ્થિત થાય. આ વુઝૂ ફજરનો વખત પૂરો થતાં સુધી એટલે કે તુલૂએ આફતાબ સુધી બાકી ગણાશે, તુલૂએ આફતાબ પછી ઈશ્‍રાક, ચાશ્ત–તિલાવત માટે ફરી વુઝૂ કરવું પડશે અને આ વુઝૂ ઝોહરનો વખત પૂરો થતાં સુધી હવા નીકળવાથી તૂટશે નહીં અને તેનાથી બધી જ ઈબાદતો થઈ શકશે. હા, હવા નીકળવા સિવાય અન્ય વુઝૂ તોડનારી વસ્તુમાંથી કોઈ વસ્તુ (જેમ કે પેશાબ પાખાનું–સૂવું) ઉપસ્થિત થશે તો ફરી વુઝૂ કરવું પડશે અને ઝોહરનો વખત પૂરો થયા પછી અસર માટે ફરી વુઝૂ કરવું પડશે, જે હવા નીકળવા છતાં મગરીબ સુધી બાકી રહેશે અને ગુરૂબે આફતાબ પછી મગરીબ માટે નવું વુઝૂ કરવું પડશે, જે ઈશાનો વખત શરૂ થતાં સુધી રહેશે અને ઈશાનો વખત શરૂ થયા પછી કરેલું વુઝૂ હવા નીકળવા છતાં ફજરનો વખત શરૂ થતાં સુધી નહીં તૂટે અને ઈંશા પછી સૂઈ જાય તો ઉઠીને તહજ્જુદ માટે નવું વુઝૂ કરવું પડશે, જે ફજરનો વખત શરૂ થતાં સુધી રહેશે. (શામી ૧/ર૦૩)

Log in or Register to save this content for later.