[૧૮પ] જુમ્અહ ઘરમાં પઢવી

Chapter : નમાઝ

(Page : 250-251)

સવાલ :– સાઉથ આફ્રિકાના નાના ગામડાંઓ માલામુલે અને ગિયાની જ્યાં ન જેવા મુસ્લિમો રહે છે અથવા રહેતા જ નથી. પાંચ વખતની નમાઝ થતી નથી, જ્યાં કોઈ વકફ કરેલી જમીન કે મકાન નથી, ત્યાં ફકત રોજીરોટી કમાવા માટે દુકાનો કરે છે. આ બન્નેવ ગામડાંઓ થોયન્ડો નગર જેમાં મસ્જિદ છે, ત્યાંથી ૪૦ થી ૧૦૦ કિ. મી. દૂર આવેલ છે. આવવા માટે અડધા કલાકથી એક કલાકનો સમય લાગે છે. આ ધંધાદારી મુસ્લિમો પોતાની સહુલત માટે અને આવવા–જવાની તકલીફ દૂર કરવા માલામુલે અને ગિયાનીમાં જ જુમ્અહની નમાઝ કોઈ મુસ્લિમ કે ગેર મુસ્લિમના ઘરમાં યા ધંધાની જગ્યામાં અદા કરી શકે છે? અને જુમ્અહની નમાઝ અદા કરવા માટે શું શર્તો છે, તેનો જવાબ આપવા ભલામણ છે.

જવાબ :– જો કોઈ મુસ્લિમ કે ગેર મુસ્લિમના ઘરમાં જુમ્અહની નમાઝ પઢવા આવવાની દરેકને આમ ઈજાઝત અને એલાન હોય અને તે ઘર શહેર કે મોટા ગામ અને કસ્બામાં આવેલું હોય તો ત્યાં જુમ્અહની નમાઝ જાઈઝ અને દુરુસ્ત છે. જુમ્અહની નમાઝ દુરુસ્ત થવા માટે જે જગ્યાએ જુમ્અહની નમાઝ પઢવામાં આવે ત્યાં દરેક નમાઝ પઢનારને આવવાની ઈજાઝત હોવી શર્ત છે. જુમ્અહના સહીહ થવા માટે મસ્જિદ હોવી શર્ત નથી અને તે સ્થળ કોઈ શહેર કે મોટા ગામ–કસ્બામાં હોવું જોઈએ. નાના ગામડામાં જુમ્અહની નમાઝ ફર્ઝ નથી અને પઢવી સહીહ પણ નથી. નાના ગામડામાં ઝોહરની નમાઝ પઢવી ફર્ઝ છે, કારખાના અને કારોબારની જગ્યામાં પણ આમ ઈજાઝતની શર્ત સાથે અને શહર અથવા મોટી આબાદી હોવાની શર્ત સાથે જુમ્અહની નમાઝ પઢવી જાઈઝ છે. આ બે શર્તો સિવાય નમાઝથી પહેલાં ખુત્બહ પઢવો, જમાઅત સાથે નમાઝ પઢવી, ઝોહરનો વખત હોવો એ શર્તોનું અસ્તિત્વ પણ જુમ્અહની નમાઝ સહીહ થવા માટે શર્ત છે. (શામી, ભાગ–૧/રપપ–પ૪૬, ઈ. ફતાવા, ભાગ–૧/૬૮ર)

Log in or Register to save this content for later.