Chapter : નમાઝ
(Page : 244-245)
સવાલ :– એક આલિમનું કહેવું છે કે જુમ્અહના ખુત્બહમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાહબઝાદીઓ (રદિ.)નાં નામો પણ પઢવા જોઈએ. આપણા બુઝુર્ગોના ખુત્બાઓમાં તેમજ ખુલફાએ રાશિદીન (રદિ.)ના ખુત્બાઓમાં તેમનાં નામો નથી તો ઈમામોએ શું કરવું જોઈએ, પઢવામાં કોઈ વાંધો તો નથી, પણ ખુત્બહ લાંબો થઈ જાય છે, તો એ બાબત ખુલાસો કરશો.
જવાબ :– જુમ્અહના બીજા ખુત્બહમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાહબઝાદીઓ (રદિ.)નાં નામો લેવા જરૂરી નથી, પરંતુ તેઓનાં નામો લેવામાં આવે તો વાંધો પણ નથી. દુર્રે મુખ્તાર, તહતાવી અને આલમગીરીમાં છે કે ખુત્બહમાં ખુલફાએ રાશિદીન અને હઝ. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના બે કાકાઓ હઝ. હમઝહ અને હઝ. અબ્બાસ (રદિ.)નું વર્ણન કરવું મુસ્તહબ અને ઈચ્છનીય છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાહબઝાદીઓ (રદિ.)નું વર્ણન કરવા વિષે કોઈ ચોખવટ નથી, પરંતુ મવલાના અબ્દુલ હય લખનવી (રહ.)એ અન્ય સહાબએ કિરામ અને સલફે સાલિહીન (રદિ.)ના વર્ણનનો પણ એ જ હુકમ લખ્યો છે.
બાકી જો ખુત્બહના મસ્નૂન મઝામીન એટલે કે હમ્દ, સના, શહાદતૈન, કુરઆની તિલાવત, દુરૂદ શરીફ, નસીહત, મુસલમાનો માટે દુઆ અને ઈસ્તિગફારને અદા કરવાની સાથે સાહબઝાદીઓ (રદિ.)નાં નામો લેવાથી ખુત્બહ એટલો લાંબો થઈ જતો હોય કે તિવાલે મુફસ્સલની સૂરતથી પણ વધી જાય તો નામો ન લેવા જોઈએ, કારણ કે આવો વધુ લાંબો ખુત્બહ પઢવો મકરૂહ છે અને હદીસ શરીફમાં ખુત્બહ કરતાં નમાઝને લાંબી પઢવાનો હુકમ આપવામાં આવ્યો છે.
(શામી, ભાગ–૧/પ૪૪, ફ. મો. અબ્દુલ હય : રરપ)
Log in or Register to save this content for later.