મુસલ્લીઓની નારાજગી,ઈમામને છુટા કરવા.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 159)

સવાલ(૧પર–૩ર) આજથી એક વરસ ઉપર બોલ્ટન(ઈંગ્લેન્ડ)ખાતે એક મસ્જિદની કમીટીએ ઈમામ મૌ.અ.રશીદ (સાહબ)ને એ કારણે છુટા કરવાની નોટીસ આપી હતી કે એમની કિરાઅત બરાબર નથી, ગલતીયો થાય છે. તરાવીહમાં બેશુમાર ગલતીયો થતી હતી,તેમજ એમની નમાઝો ફાસિદ થાય છે,નમાઝો ફાસિદ થવાનો ઈલઝામ બેબુનિયાદ હતો, એટલે હમોએ કમીટીના સભ્યો સાથે વાદ–વિવાદ કરી નમાઝો ફાસિદ થતી હોવાનું સાબિત કરી આપવા ચેલેંજ આપ્યું, કમીટી ફકત બે ચાર કે દસ માણસોની ફરિયાદ ઉપર ઈમામ સા.ને નોકરીમાંથી બરતરફ કરવા માંગતા હતા,કમીટીને પોતાની ભૂલોનું ભાન થયું, અને નમાઝ ફાસિદ થતી ન હોવાનું કબૂલ કર્યુ,અને ઈમામ સા.ને ફરી નોકરીમાં ચાલુ રાખ્યા, પણ ઈમામતની જવાબદારી મહદૂદ– મર્યાદિત કરી આપી,તે એવી રીતે કે મુખ્ય ઈમામ સા.ની ગેરહાજરીમાં જ ઈમામત કરવી,તે છતાં કમીટીનું કહેવું છે કે લોકોની શિકાયતો ચાલુ છે, એટલે કમીટીએ એવું નકકી કર્યુ કે કોઈ મુફતી સાહેબને બોલાવીએ જે મજકૂર ઈમામની નમાઝ અને કિરાઅત વિષે ફતવો આપે તેના ઉપરથી ઈમામ સા.માટે વિચાર કરવો,એ રીતે નકકી કરી મૌ. અ.રશીદ (સાહબ)ને ઈમામતમાંથી બિલકુલ હટાવી દીધા,અને ફકત મદ્રસામાં સદર મુદર્રિસ તરીકે ચાલુ રાખ્યા,લંડનના મુફતી અબ્દુલ બારી સા.અત્રે આવ્યા તેમણે મૌ.અ.રશીદ (સાહબ) ને ઈમામતની જવાબદારી ફરીથી સોંપવા ફતવો આપ્યો, અને એમના ફતવાથી ફરી ઈમામતની જવાબદારી સોંપાય જવી જોઈતી હતી પણ કમીટીએ એમ કર્યુ નહિં,પછી કમીટીને મે લેખિત શિકાયત કરી કે મુફતી અ.બારી (સાહબ) ના ફતવા પછી મૌ. અ.રશીદ (સાહબ) ને કયા કારણસર ઈમામત પાછી સોંપતા નથી ? તેમજ કયા કારણસર એમને ઈમામતમાંથી હટાવવામાં આવ્યા હતા? વિગેરે,પરંતુ કમીટીએ એનો જવાબ આપ્યો નહિં, ઉપરાંત કમીટીએ પોતાની મિટિંગમાં મૌ.અ.રશીદ (સાહબ)ને બોલાવી કહયું કે લોકોની શિકાયત ઘણી છે,એટલે હમારો ફેંસલો એ છે કે તમે જાતે રાજીનામું આપી દો,કે જેથી તમારી ઈઝઝત સચવાઈ રહે,મૌ. અ.રશીદ સાહેબે કહયું કે હું નિર્દોષ છું અને હું રાજીનામું નહિ આપું,તમને જેમ ઠીક લાગે તેમ કરો, કમીટીએ મૌ. અ.રશીદ સાહેબને છુટા કરવાની નોટિસ આપી દીધી કે તમોને તા.૬/૧૧/ ૭૭ થી છુટા કરવામાં આવે છે,કેમકે તમારા કારણે અવામ સાથે અમને વારંવાર અથડાવવું પડે છે. હવે શરીઅતની રૂએ કમીટી હક પર છે ?

જવાબ(૧પર–૩ર) મુકર્રમ જનાબ મૌ.અ.રશીદ (સાહબ) (પેશ ઈમામ બોલ્ટન) વિષે દર્શાવેલ એહવાલ તથા હઝરત મુફતીએ લંડનનો ફતવો ધ્યાનપૂર્વક વાંચ્યો,જવાબમાં માલૂમ થાય કે જો સદરહુ મુફતી સાહબના અભિપ્રાય મુજબ સદરહુ પેશ ઈમામની કિરાઅત ગલત (જેનાથી અર્થ બગડી જાય) ના હોય તો નમાઝ ફાસિદ લેખાશે નહિં, દુરૂસ્ત થશે,જો સદરહુ ઈમામ (સાહબ)નો ઉચ્ચાર સાફ ના હોય,(ص،ش،س،ث)  માં બરાબર ફરક થતો ના હોય કે જેથી અર્થ બગડવાનો સંભવ છે,એના લઈ નમાઝ ફાસિદ થવાનો ભય હોવાથી ઈમામતની જવાબદારીથી (મુકતદીયોની નમાઝના ભાર) થી બરતરફ (છુટા)થવું બેહતર છે.પેશઈમામની નમાઝ ફાસિદ થવાથી મુકતદીયોની નમાઝ ફાસિદ થશે,વળી જમાઅતમાં વિખવાદ (અથડામણ) થાય નહિં જેથી રાજીનામું આપી છુટા થઈ જવું જોઈએ,કમીટીને અધિકાર છે, કે પેશ ઈમામ પસંદ ના હોય તો છુટા કરે,ઝુલ્મ લેખાશે નહીં,કારણ કે ઈમામત (ઈજારા) મજુરીનો મામલો છે,ચાહે ત્યાં સુધી રાખે,ઈચ્છે ત્યારે ના પાડે,સારાંશ કે દર્શાવેલ પરિસ્થિતિમાં પેશ ઈમામે ઈઝઝતભેર અલગ થઈ જવું જોઈએ,અને કમીટીને છુટા કરવાનો હક છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.        (કાજીખાનઃ૧/૬૯, ઈમદાદુલ ફતાવાઃ૧/૪૦૧)

Log in or Register to save this content for later.