[૧પ૯] જુમ્અહની તાકીદ

Chapter : નમાઝ

(Page : 219-220)

સવાલ :– જુમ્અહની નમાઝ છોડવાની શું સજા છે ? કોઈ વ્યકિત કોઈ કારણ વગર ત્રણ અથવા તેથી વધુ જુમ્અહની નમાઝો છોડે તો તેના માટે શું હુકમ લાગુ પડે છે ?

જવાબ :– પાંચ ફર્ઝ નમાઝો પૈકી જુમ્અહના દિવસે જુમ્અહની નમાઝ પણ ફર્ઝ છે. અલબત્ત, જુમ્અહની નમાઝ માટે જમાઅત શર્ત છે, જમાઅત વગર જુમ્અહ પઢવી જાઈઝ અને દુરુસ્ત નથી, માટે જુમ્અહની નમાઝ જયાં જમાઅત સાથે પઢાતી હોય ત્યાં જઈ જમાઅત સાથે પઢવી ઝરૂરી અને લાઝિમ છે અને ફર્ઝ નમાઝ છોડવા ઉપર જે વઈદો કુર્આન–હદીસમાં આવેલી છે તે વઈદો જુમ્અહની નમાઝ છોડવા ઉપર પણ લાગુ પડશે અને ‘ફઝાઈલે નમાઝ નામી કિતાબમાં આ વઈદોનું વિસ્તૃત વર્ણન છે. માત્ર સુસ્તી અથવા નોકરીના કારણે જુમ્અહની નમાઝ છોડવા ઉપર ખાસ વઈદો પણ આવેલી છે.

               હઝરત ઈબ્ને ઉમર અને હઝરત અબૂ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે અમોએ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને મિમ્બર ઉપર ફરમાવતા સાંભળ્યા કે,

 “લોકો જુમ્અહની નમાઝ ન છોડે, નહિ તો અલ્લાહ તઆલા તેઓના દિલો ઉપર મોહર મારી આપશે, પછી તેઓ ઘેરી ગફલતમાં પડી જશે.                (‘સહીહ મુસ્લિમ શરીફ)

               હઝરત ઈબ્ને મસ્ઊદ (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જુમ્અહ છોડનારાઓના બારામાં ફરમાવ્યું કે,

“મારો મક્કમ ઈરાદો થાય છે કે કોઈને મારી જગ્યાએ ઈમામ બનાવી દઉં અને પોતે તે લોકોના ઘરો સળગાવી આપું જે જુમ્અહમાં હાજર નથી થતા.

               હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) નકલ કરે છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

               “જે માણસ વિના મજબૂરી જુમ્અહ છોડે છે તે એવી કિતાબમાં મુનાફિક લખાય જાય છે કે જેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવતો.                                   (‘મિશ્કાત શરીફ)

ઈબ્ને અબ્બાસ (રદિ.)એ ફરમાવ્યું છે કે,

 “જેણે લગાતાર અનેક જુમ્અહની નમાઝો છોડી આપી તેણે ઈસ્લામને પીઠ પાછળ નાખી દીધો.

               (‘અશિઅ્‌અતુલ લમઆત)

Log in or Register to save this content for later.